ખાલિસ્તાની સમર્થકોએ ગઈ કાલે ભારત વિરુદ્ધ પ્રદર્શન કર્યું, ભારતનાં વડાપ્રધાન મોદીનું પણ અપમાન કર્યું
આ પ્રદર્શન માટે શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ હાંકલ કરી હતી
કેનેડાના સાંસદ જસ્ટિન ટ્રૂડોએ આ હત્યામાં ભારત સરકારની ભૂમિકાનો આરોપ લગાવ્યો હતો જે બાદ બંને દેશ વચ્ચે તણાવ વધી ગયો છે. ખાલિસ્તાન મામલે ભારત-કેનેડાના સંબંધો દિવસે ને દિવસે વણસતા જાય છે. તેવામાં ખાલિસ્તાની સમર્થકોએ ગઈ કાલે કેનેડામાં ભારત વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન માટે એલાન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ હાંકલ કરી હતી. જેમાં ભારતના તિરંગાનું પણ અપમાન કરવામાં આવ્યું છે.

કેનેડામાં વાનકુવરમાં કેટલાક ખાલિસ્તાની સમર્થકો ભારતીય દૂતાવાસની બહાર એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય તિરંગાનું મોટું બેનર જમીન પર પાથર્યું હતું અને તેના પર ચાલતા પણ જોવા મળ્યા હતા. તેમજ ભારતીય તિરંગાનું અપમાન કરતા અને તેને ફાડતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં સાથે સાથે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર લગાવીને તેમનું અપમાન પણ કરવામાં આવ્યું હતું.
ગુરપતવંત સિંહ પન્નુ વતી લોકોને ભારતીય દૂતાવાસની બહાર દેખાવો માટેનું એલાન આપવામાં આવ્યું હતું. SFJનો અંદાજ હતો કે સેંકડો લોકો આ પ્રદર્શનમાં પહોંચશે, પરંતુ એવું થયું નહીં. માત્ર 30 જેટલા લોકો પ્રદર્શન માટે આવ્યા હતા. તેમાંથી મોટાભાગના દૈનિક વેતન મામલે પ્રદર્શન માટે એકઠા થયા હોવાનું પણ જાણવા મળ્યુ છે.

ભારત સરકારે હાલમાં વિરોધ કરી રહેલા ખાલિસ્તાની સમર્થકોની ભીડમાં ચહેરાઓને ઓળખવાનું કામ શરૂ કર્યું છે. ખાલિસ્તાની સમર્થક વિરુદ્ધ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા આ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય બાદ ભારતીય દૂતાવાસ બહાર ખાલિસ્તાની સમર્થકોની ભીડ દિવસે ને દિવસે ઘટી રહી છે. આ ઓળખ પછી ભારત સરકાર આ તમામ દેખાવકારોના OCI કાર્ડ રદ કરવા જઈ રહી છે. OCI એટલે ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા, જે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોને બેવડી નાગરિકતા પ્રદાન કરે છે. હવે વિદેશમાં સ્થાયી થયેલા ખાલિસ્તાની સમર્થકો ભારત પરત નહીં આવી શકે તેવા ડરથી ખુલ્લેઆમ આગળ આવવાનું ટાળી રહ્યા છે.
કેનેડાએ ભારતમાં રહેતા તેના નાગરિકો માટે તેની ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરી છે. આમાં તેમને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.