અકસ્માત કેસમાં મૃતકના પરિવારજનને 9 વર્ષ બાદ IFFCO વીમા કંપનીએ 5.40 કરોડ ચૂકવ્યા

LokAdalat

પરિવારજનોએ ઇન્શ્યોરન્સ કંપની સામે ભરૂચની ટ્રિબ્યુનલમાં તમામ ખર્ચ જોતાં 3.94 કરોડનો દાવો કર્યો હતો

રાજ્યભરમાં આજે રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરાયું છે ત્યારે નેશનલ લૉ સર્વિસના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અને ગુજરાત હાઇકોર્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પણ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. 170 જેટલા કેસો આજની લોકઅદાલત અંતર્ગત ચાલશે. આ લોકઅદાલતમાં વર્ષ 2014માં અકસ્માતે મૃત્યુ પામેલા ખાનગી કંપનીના મેનેજરના પરિવારજનોએ ઇન્શ્યોરન્સ કંપની સામે ભરૂચની ટ્રિબ્યુનલમાં તમામ ખર્ચ જોતાં 3.94 કરોડનો દાવો દાખલ કર્યો હતો, જે કેસમાં આજે લોકઅદાલતમાં ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં સૌથી મોટું સેટલમેન્ટ થયું છે. એમાં મૃતકનાં પરિવારજનને IFFCO વીમા કંપનીએ 5.40 કરોડનો ચેક આપ્યો છે.

આ કેસમાં વર્ષ 2014માં ખાનગી કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા ભરૂચના પ્રકાશભાઈ વાઘેલા અમદાવાદ એરપોર્ટથી વડોદરા જતા હતા. જ્યાં નારોલ ટોલ પ્લાઝા ખાતે ડ્રાઇવરના બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગથી ટ્રક સાથે અકસ્માત થતાં 40 વર્ષીય પ્રકાશભાઈ વાઘેલાનું નિધન થયું હતું. એની સામે પરિવારજનોએ ઇન્શ્યોરન્સ કંપની સામે ભરૂચની ટ્રિબ્યુનલમાં તમામ ખર્ચ જોતાં 3.94 કરોડનો દાવો દાખલ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે અકસ્માતમાં મૃતક પ્રકાશભાઈ વાઘેલા બી. ટેકની ડીગ્રી ધરાવતા હતા, જેમનું વાર્ષિક પેકેજ 31 લાખ રૂપિયાનું હતું. તેમની ઉપર પત્ની, બે સગીર પુત્ર અને માતા-પિતાની જવાબદારી હતી. 2014માં અરજીની તારીખથી હુકમની તારીખ સુધી 9%ના વ્યાજ પર રૂ. 6,31,35,000ની દાવા અરજી દાખલ કરી હતી, જેની સામે વીમા કંપનીએ વાટાઘાટોના અનેક રાઉન્ડ પછી એડવોકેટ હિરેન મોદી અને ક્રિતી પાઠકના સહયોગથી રૂ. 5,40,45,998 ચૂકવવા સંમત થયા હતા. આ રકમ અરજદારના ખાતામાં 4 અઠવાડિયાંમાં જમા થશે.