‘પૂનમબેને કરેલી ટિપ્પણી મને માફક ના આવી તેથી સેલ્ફ રિસ્પેક્ટ માટે મારે બોલવું પડ્યું’ : રિવાબા

જ્યારે શ્રદ્ધાંજલિ અને સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે ત્યારે હું નહીં પણ સામાન્ય નાગરિકને પણ લાગી આવે : : રિવાબા

આજે જામનગરમાં યોજાયેલા ‘મેરી મિટ્ટી મેરા દેશ’ કાર્યક્રમ અંતર્ગત શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં ભાજપની જ ત્રણ દિગ્ગજ મહિલા નેતાઓ વચ્ચે થયેલી રકઝકથી માહોલ ગરમાયો હતો.
જામનગરમાં ભાજપના MLA રિવાબા જાડેજા ગુસ્સે થઈને સાંસદ પૂનમબેન માડમ અને મેયરને જેમ-તેમ બોલતા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો. આ પછી રિવાબા જાડેજાએ મીડિયા સમક્ષ આ ઘટના અંગે વિગતવાર વાત કરીને ખુલાસો કર્યો છે. મીડિયા સાથે વાતચીત કરતાં રિવાબાએ કહ્યું કે, શહિદના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પૂનમબેન માડમે મારા પર કોમેન્ટ કરી હતી કે, અમુક લોકોને ભાન પડતી નથી તે ઓવરસ્માર્ટ થઈને ચપ્પલ કાઢીને શ્રદ્ધાંજલિ આપે છે. જેથી મેં મારી સેલ્ફ રિસ્પેક્ટ જાળવવા માટે જવાબ આપ્યો હતો. મહત્ત્વનું છે કે, આ અંગે મેયર બીનાબને મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે, આ ભાજપ પરિવારિક મામલો છે. મારે કંઈ કહેવું નથી.

ભાજપનાં ધારાસભ્ય-સાંસદ અને મેયર વચ્ચે બોલચાલથી શરૂ થયેલી વાતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં ધારાસભ્ય રિવાબા વધારે ગુસ્સામાં આવી સાંસદ તેમજ મેયર પર વરસી ગયાં હતાં. આ ઘટના બાદ રિવાબાએ મીડિયા સમક્ષ આવી શું હતો સમગ્ર મામલો અને કેમ આ પ્રકારનું વર્તન કરવાની જરૂર પડી એ અંગે જણાવ્યું હતું. તો બીજી તરફ મેયરે કહ્યું હતું કે આ અમારી પાર્ટીનો પારિવારિક મામલો છે હું કંઈ બોલવા માગતી નથી.

ઘટના બાદ રિવાબાએ મીડિયા સમક્ષ આવી સમગ્ર ઘટના વિશે જણાવતાં કહ્યું, કોર્પોરેશનનો મેરી મિટ્ટી મેરા દેશ અંતગર્ત શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ હતો, જેમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતનાં અગ્રણીઓ હાજર હતાં. જ્યારે એમ.પી. માડમ શહીદ સ્મારકને હાર અર્પણ કરવા ગયાં ત્યારે તેમણે ચંપલ પહેરેલા હતા. ત્યાર બાદ હું માળા અર્પણ કરવા ગઇ ત્યારે મેં શહીદોનું રિસ્પેક્ટ કરીને ચંપલ ઉતારીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યાર બાદ ઘણા આગેવાનોએ ચંપલ ઉતારીને શ્રદ્ધાંજલિ આપી હતી.

વધુમાં રિવાબાએ કહ્યું હતું કે શ્રદ્ધાંજલિ આપીને અમે બધાં સાઇડમાં ઊભાં હતાં, ત્યારે એમ.પી. માડમે જોરથી કહ્યું, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ આવા કાર્યક્રમમાં ચંપલ નથી ઉતારતા, પણ અમુક લોકોને ભાન નથી પડતી એવા એક્સ્ટ્રા ઓવર સ્માર્ટ થઇને ચંપલ કાઢીને શ્રદ્ધાંજલિ આપે છે. આ તેમનું સ્ટેટમેન્ટ હતું, મને આ ટીપ્પણી માફક ન આવી એટલે મારે ન છૂટકે સેલ્ફ રિસ્પેક્ટ માટે બોલવું પડ્યું, કારણ કે આવા કાર્યક્રમમાં જ્યાં આપણે શહીદોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ ત્યાં તેમની આવી ટિપ્પણી મને માફક ન આવી એટલે મેં સેલ્ફ રિસ્પેક્ટના ભાગરૂપે તેમને કહ્યું- બેન, તમે મારા વિશે જે ટિપ્પણી કરી છે એ યોગ્ય નથી. મેં પાર્ટી વિરુદ્ધ કોઇ કામ નથી કર્યું, મેં તમને કંઇ નથી કહ્યું. મેં શહીદોને એકસ્ટ્રા રિસ્પેક્ટ આપીને ચંપલ ઉતાર્યા છે, એ કોઇ ખોટી વાત નથી.

તમે જે કોઇને કહેતા હોવ પર્સનલી કહો મેં એમપીને એવું કહ્યું તો તેમણે કહ્યું, મેં તમને કંઇ નથી કહ્યું, હું બીનાબેનને કહું છું, પણ મેં જ પહેલા ચંપલ ઉતારીને શ્રદ્ધાંજલિ આપી હતી, એટલે મેં તેમને કહ્યું હતું કે તમે જે કોઇ વ્યક્તિને કહેતા હોવ, નામજોગ વાત કરો અથવા તેમને પર્સનલી કહો, જાહેરમાં આવી ટિપ્પણી ન કરો. એટલે આમાં બીનાબેન જોડે કોઇ વાત નહોતી. મારી અને એમપી માડમ વચ્ચેની જ વાત હતી પરંતુ આ દરમિયાન મેયર બીનાબેન એમ.પી.ની ફેવર લઇને મારી સાથે વાત કરતાં હતાં અને મારા મોઢા પર આવીને બોલતાં હતાં એટલે સેલ્ફ રિસ્પેક્ટ જાળવવા મારે તેમને કહેવું પડ્યું. કારણ કે આ મેટરમાં તેમને કંઈ લેવા દેવા નહોતી છતાં પણ તેઓ વચ્ચે કૂદી પડીને મારી સાથે તોછડાઇથી વાત કરતાં હતાં, એટલે મારે તેમને ન છૂટકે કહેવું પડ્યું. બીનાબેનનો લોકો સાથે વાતચીત કરવાનો જે ટોન છે એ જામનગરની જનતા જાણે જ છે. મારે એમાં કંઇ કહેવાની જરૂર નથી.

મીડિયાએ જ્યારે રિવાબાને સવાલ કર્યો કે પાર્ટી દ્વારા કોઇ ઠપકો મળ્યો? તો જવાબમાં રિવાબા જાડેજાએ કહ્યું, એમાં ઠપકો શેનો? મેં ચંપલ કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી એમાં પાર્ટી ઠપકો આપે કે શાબાશી આપે? આપણા વડાપ્રધાન સંસદભવનનું ઉદઘાટન થતું હોય ત્યારે દંડવંત કરે છે એ કંઇ પ્રોટોકોલ નથી. જ્યારે શ્રદ્ધાંજલિ અને સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે ત્યારે હું નહીં પણ સામાન્ય નાગરિકને પણ લાગી આવે. આ મેટર કોઇ એટલી બધી મોટી નથી.