“ઓપરેશન સિંદૂર ચાલુ છે” જો પાકિસ્તાન વળતો હુમલો કરશે તો ભારત પણ સામે જવાબ આપશે: રાજનાથ સિંહ

Operation Sindoor Continue

‘ઓપરેશન સિંદૂર બાદ ઘણાં ફેક ન્યૂઝ વાઈરલ થયા છે. હું તમામને કોઈપણ પ્રકારની ખોટી માહિતી કે ખોટા સમાચાર પર વિશ્વાસ કરશો નહીં. માત્ર અધિકૃત સમાચાર પર જ વિશ્વાસ કરો.

પહેલગામમાં હુમલાને લઈને ભારતે જવાબી કાર્યવાહી કરતાં પાકિસ્તાનમાં 9 સ્થળોએ હવાઈ હુમલા કરી આતંકવાદીઓના ઠેકાણાઓને તબાહ કરી દીધા. આ ઓપરેશનને “ઓપરેશન સિંદૂર” નામ આપવામાં આવ્યું હતું. આજે આ મામલે સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે જો પાકિસ્તાન હુમલો કરશે તો ભારત પણ તેને આકરો જવાબ આપતો હુમલો કરશે. ઓપરેશનની ટેક્નિકલ વિગતો હાલ જાહેર કરી શકાય નહીં.

ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં આ ઓપરેશન અંતર્ગત ભવિષ્યની વ્યૂહનીતિની ચર્ચા કરવામાં આવી હતી. સરકાર વતી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કિરેન રિજિજુ, જે.પી. નડ્ડા હાજર રહ્યા હતાં.

કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક પૂર્ણ થયા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મહત્ત્વનું નિવેદન કર્યું છે. રાજનાથ સિંહે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું. ભારત દ્વારા હાલમાં કરાયેલી એર સ્ટ્રાઈકમાં ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા છે. ઓપરેશન સિંદૂર હેઠળ બુધવારે રાત્રે ભારતીય સેનાની એર સ્ટ્રાઈકમાં પાકિસ્તાન અને POKમાં ઓછામાં ઓછા 9 આતંકી ઠેકાણાં નષ્ટ કર્યા હતા.’

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે રાજકીય નેતાઓએ કાર્યવાહી માટે સેનાને અભિનંદન આપ્યા છે. રાજકીય પક્ષો લોકોનો અવાજ છે અને નેતાઓ એક અવાજમાં બોલી રહ્યા છે. મને લાગે છે કે આ પણ આપણી સફળતાઓમાંની એક છે.

વધુમાં તેમણે કહ્યું કે ‘ઓપરેશન સિંદૂર બાદ ઘણાં ફેક ન્યૂઝ વાઈરલ થયા છે. હું તમામને કોઈપણ પ્રકારની ખોટી માહિતી કે ખોટા સમાચાર પર વિશ્વાસ કરશો નહીં. માત્ર અધિકૃત સમાચાર પર જ વિશ્વાસ કરો.

તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂરના પહેલા હુમલા પછી શું ચાલી રહ્યું છે તે કહેવું યોગ્ય નથી અને તેથી અધિકારીઓને બેઠકમાં બોલાવવામાં આવ્યા ન હતા.

સર્વપક્ષીય બેઠક અંગે કોંગ્રેસના સાંસદ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ‘આ સંકટના સમયે અમે સરકારની સાથે છીએ.’ અમે કેન્દ્ર સરકારની વાત સાંભળી. તેમણે એમ પણ કહ્યું કે કેટલીક ગુપ્ત માહિતી બહાર શેર કરી શકાતી નથી.

આ સર્વપક્ષીય બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમે સરકારને અમારો સંપૂર્ણ ટેકો આપ્યો છે. આ મુદ્દે તમામ પક્ષોએ સરકારને સમર્થન આપ્યું છે. આ બેઠકમાં થયેલી અમુક ગુપ્ત વાત જાહેર કરી શકાય નહીં.

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, “…પીએમ મોદીના નેતૃત્વમાં, આપણી ત્રણેય સેનાઓએ આતંકવાદીઓને હંમેશા માટે મિટાવવાનું કામ કર્યું છે. આજે, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો છે… આ યુદ્ધ આતંકવાદને ખતમ કરવા માટેનું યુદ્ધ છે…”

બેઠક બાદ લોકસભાના સાંસદ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે મેં કેન્દ્ર સરકાર અને ભારતીય સેનાના વખાણ કર્યા છે. મારા માટે સૌથી મોટી વાત એ છે કે બહાવલપુર અને મુરીદકે બે આતંકવાદી સ્થળોનો નાશ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે અમે સરકાર સમક્ષ માગ મૂકી છે કે, આપણે TRF વિરૂદ્ધ વૈશ્વિક સ્તરે અભિયાન ચલાવવાની જરૂર છે. તેમજ ચીનને પણ સમજાવવાની જરૂર છે કારણકે, આપણે તેની સાથે મોટાપાયે વેપાર કરી રહ્યા છીએ. પુંછમાં જીવ ગુમાવનારા લોકોને આતંકવાદ પીડિત જાહેર કરવા જોઈએ અને સરકારે તેમને વળતર આપવું જોઈએ. કારણ કે પાકિસ્તાનના યુદ્ધવિરામ ઉલ્લંઘનને કારણે તેમણે બધું ગુમાવ્યું છે.