સાંજના 4થી 8 વાગ્યા સુધી મોકડ્રિલ, 7.30થી 8 વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ થશે, બ્લેક આઉટ સમયે નાગરિકોએ શું કરવું? તે તમામ માહિતી…
પહેલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોનાં મોત થયા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ પેદા થઈ છે. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે યુદ્ધની પરિસ્થિતની ધ્યાને રાખી આવતીકાલે (7 મે)ના રોજ તમામ રાજ્યોને ‘સિવિલ ડીફેન્સ મોક ડ્રીલ’ યોજવાના નિર્દેશ આપ્યા છે.
ગુજરાતનાં 19 શહેરની સાથે દેશનાં 244 શહેરમાં મોકડ્રિલ યોજવાનો નિર્ણય કર્યો છે, જેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ મોકડ્રિલને લઈ ગાંધીનગરમાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં આવતીકાલે મોક ડ્રીલ વખતે કંઈ કંઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે મહત્ત્વની માહિતી અપાઈ છે.
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ચીફ સેક્રેટરી પંકજ જોશી, ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં તમામ જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં મોક ડ્રીલની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં GEB, અગ્નિશામક, વન, PWD, તબીબી, હોમગાર્ડ, મહેસૂલ, કલેક્ટર અને પોલીસ ડીપાર્ટમેન્ટ, મ્યુનિશિપલ કમિશ્નર જેવા વિવિધ વિભાગની તૈયારીઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
જે લોકો લાઇટ બંધ નહીં કરે તેના ઘરની લાઇટ વોલેન્ટિયર્સ બંધ કરાવશે: અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર
અમદાવાદ કલેક્ટર સુજીત કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મોકડ્રિલ યોજાશે. સાંજે 4થી 8 વાગ્યા સુધી મોકડ્રિલ યોજાશે. 7.30 કલાકે બ્લેકઆઉટ થઈ શકે છે. એર સ્ટ્રાઇક જેવા ડિફિકલ્ટ સંજોગોથી લોકોને જાગરૂક કરવા આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઔધોગિક વસાહત, પાવર સ્ટેશન, કોમર્શિયલ જગ્યાઓ, લોકોની અવર જવર હોય, પર્યટન સ્થળ હોય તેમ મોકડ્રિલ થશે. ગ્રામ વિસ્તારોમાં પંચાયત સુધી આયોજન કરવામાં આવ્યું છે. સાયરન વાગે એટલે સુરક્ષિત સ્થળે જતા રહેવું. ડિઝાસ્ટરમાં ઘરની બહાર જવાનું હોય, પરંતુ મોકડ્રિલમાં ઘરની અંદર જવાનું હોય છે. મોકડ્રિલમાં રેસ્ક્યુની કામગીરી કેવી રીતે થાય તે દર્શાવાશે.
મેડિકલ, શેલ્ટર, ભોજન જેવી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. બ્લેકઆઉટ વખતે વાહન વ્યવહાર ચાલુ રહેશે. ઘરની લાઈટો બંધ રાખવાની રહેશે. અડધો કલાક બ્લેકઆઉટ રહેશે. જે લોકો લાઇટ બંધ નહીં કરે તેના ઘરની લાઇટ વોલેન્ટિયર્સ બંધ કરાવશે. 1,900 સિવિલ વોલેન્ટિયર્સ ખડેપગે રહેશે. સરકારી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ વોલેન્ટિયર્સ બનાવાશે. 7.45થી 8.15 બ્લેકઆઉટ રહશે. અમદાવાદ કલેક્ટર તરીકે અપીલ કરું છું કે, લોકો સહકાર આપે. પોલીસ વિભાગ, જિલ્લા પંચાયત વિભાગ, સિવિલ ડિફેન્સ વિભાગ, ઉર્જા વિભાગ, ફાયર વિભાગ વિગેરે સાથે વહીવટી તંત્ર સંકલનમાં રહેશે. કોઈ ભય સંદર્ભે મોકડ્રિલ કરાય છે? જે સવાલના જવાબમાં કલેકટરે કશું કહ્યું નહીં, ફક્ત સૂચના મળતા મોકડ્રિલ કરીએ છીએ તેમ કહ્યું.
ડિફિકલ્ટ પરિસ્થિતિને પહોંચી વળવા મોકડ્રિલ યોજવામાં આવી રહી છે. સાંજે 4 થી 8.15 સુધી લોકો બહાર જવાનું ટાળે. સાયરન બધી જગ્યાએ નથી લાગ્યા, તેને લગાવવામાં આવશે. મોકડ્રિલ બાદ પણ પ્રેસ સાથે વાત કરવામાં આવશે. Sop અને પેમ્પલેટ જાહેર કરાશે. ઇન્ટરનેશનલ નિયમો મુજબ હોસ્પિટલ ઉપર એર સ્ટ્રાઇક નથી થતી. તેની ઉપર રેડ ક્રોસનો ધ્વજ લાગે છે. અધિકારીઓ મોકડ્રિલની જગ્યાએ હાજર રહેશે.
કેન્દ્ર સરકારના જણાવ્યા મુજબ ગુજરાતના 18 જિલ્લાઓમાં આવતીકાલે (7 મે, 2025) સાંજે 4 થી 8 વાગ્યા સુધી સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે. આ અંગે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે, 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ થશે. સાઇરન અને બ્લેક આઉટ બાબતે લોકોને સજાગ કરાશે. આ અંગે સંપૂર્ણ માર્ગદર્શિકા સિવિલ ડિફેન્સ અને મહેસુલ વિભાગ દ્વારા બનાવાઈ છે.
મોક ડ્રીલ વખતે આ બાબતોનું રાખવું ધ્યાન
- ચેતવણી આપવામાં આવે ત્યારે નાગરિકોએ સતર્ક રહી બે પ્રકારના સાયરનને સમજવા જોઈએ. જેમાં (1) વોર્નિંગ સિગ્નલ: સંભવિત હવાઈ હુમલાનો સંકેત આપતો લાંબો સાયરન વાગશે. (2) ઓલ ક્લીયર સિગ્નલ: ટૂંકો અને સ્થિર સાયરન જે ખતરો પસાર થઈ ગયો છે, તે દર્શાવે છે.
- કોઈપણ પ્રકારની ઈમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક નાગરિક પ્રતિભાવ તરીકે તમામ બાહ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી વૃદ્ધો, બાળકો અને દિવ્યાંગ નાગરિકોને સહાય કરવી જોઈએ. આ ઉપરાંત લિફ્ટનો ઉપયોગ ટાળવો જોઈએ તથા સ્થળાંતર સમયે સીડીનો ઉપયોગ કરવો જોઈએ.
આવતીકાલે (7 મે) રાજ્યમાં સાંજે 7.30 થી 7.30 દરમિયાન વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ સમયે અડધો કલાક માટે બ્લેકઆઉટ રહેશે, જે દરમિયાન ઘરો, ઓફિસો અને વાહનોમાં તમામ લાઇટ બંધ કરો અથવા ઢાંકી દો. પ્રકાશ લીકેજ અટકાવવા માટે બ્લેકઆઉટ પડદા અથવા ભારે કાપડનો ઉપયોગ કરો. બારીઓ પાસે મોબાઇલ ફોન અથવા ફ્લેશલાઇટનો ઉપયોગ કરવાનું ટાળો.
નાગરિક સંરક્ષણ અધિકારીઓ તરફથી રેડિયો અથવા જાહેરાતો દ્વારા સત્તાવાર સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરો, અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવી નહીં તથા જેઓ પ્રક્રિયાઓથી અજાણ છે તેવા પડોશીઓને મદદ અને માર્ગદર્શન આપો.
‘કોઈએ ગભરાવાની જરૂર નથી’
મોક ડ્રીલ વખતે રાખવામાં આવતી તકેદારીની માહિતી આપવાની સાથે ગૃહરાજ્યમંત્રીએ તમામ નાગરિકોને અનુરોધ કર્યો છે કે, ‘આ મોક ડ્રીલ એ માત્ર સતર્કતા અને પૂર્વ તૈયારી રૂપે થવાની છે, તેથી કોઈએ ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી.’ તેમણે જે જિલ્લાઓમાં મોક ડ્રીલ થવાની છે તેની વિગતો આપતાં કહ્યું કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરુચ (અંકલેશ્વર), તાપી (કાકરાપાર), સુરત, ભાવનગર, જામનગર, દેવભૂમી દ્વારકા (ઓખા, વાડીનાર), કચ્છ-પૂર્વ (ગાંધીધામ), કચ્છ-પશ્ચીમ (ભુજ, નલીયા) ઉપરાંત પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ અને મોરબી એમ કુલ-૧૮ જિલ્લાઓમાં મોક ડ્રીલ થશે.
ગૃહરાજ્યમંત્રીએ મોક ડ્રીલ વખતે અન્ય પ્રક્રિયાઓની પણ આપી માહિતી
- સિવિલ ડિફેન્સના સામાન્ય સિદ્ધાંતો અનુસાર કુલ 12 વિવિધ પ્રકારની સેવાઓ છે, જે આ પ્રકારની પરિસ્થિતિમાં સક્રિયપણે ભાગ લેશે, જેમાં સીવીલ ડીફેન્સના પ્રશિક્ષિત વોર્ડન/સ્વયંસેવકોનો સમાવેશ થાય છે.
- ઇન્ડિયન એર ફોર્સે હોટલાઇન દ્વારા સિવિલ ડિફેન્સને ગુપ્ત સંદેશ મોકલ્યો
- સિવિલ ડિફેન્સ/જાગૃત નાગરિકો સાયરન/SMS દ્વારા નાગરિકોને પ્રથમ પ્રતિભાવ આપનાર તરીકે મદદ કરે છે.
- સિવિલ ડિફેન્સ જાગૃત નાગરિકો SMS દ્વારા નાગરિકોને હવાઈ હુમલાની માહિતી આપશે.
- ફાયર ફાઇટર નાગરિકોને સ્થળ પરથી બહાર કાઢવામાં મદદ કરે છે અને તબીબી ટીમ દ્વારા ફિલ્ડમાં સારવાર આપવામાં આવે છે.
- PWD કાટમાળ અને જર્જરિત ઇમારતો દૂર કરવામાં અને સ્થળ સાફ કરવામાં મદદ કરે છે.
- વન વિભાગનો સ્ટાફ યુદ્ધ સ્થળોએથી પ્રાણીઓને બહાર કાઢવાની કામગીરી કરે છે.
- પોલીસની મદદમાં રહી હોમગાર્ડ કાયદો અને વ્યવસ્થા જાળવશે.
- મહેસૂલ અધિકારીઓ દેખરેખ રાખશે.
- એકંદર સ્થિતિમાં જિલ્લા કલેકટરની દેખરેખ હેઠળ સમગ્ર કાર્યવાહી કરવામાં આવે છે.
- પોલીસ ખાતાએ આવી પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાની હોય છે.
- વિદ્યાર્થીઓ સહિત સામાન્ય પ્રજાને સિવિલ ડિફેન્સ, SDRF અને SRP દ્વારા સંવેદનશીલ બનાવવાની અને જાગૃતિ વિસ્તૃત કરવાની દિશામાં તાલીમ આપવામાં આવશે.
- ગામનાં સરપંચોને પણ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
સુરત કલેક્ટર સૌરભ પારગી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સુરતમાં કાલે 51 સાયરન વગાડવામાં આવશે. 2 મિનિટ માટે સાયરન વગાડવામાં આવશે. ખાનગી કંપની, ઉદ્યોગ ગૃહો પણ પોતાની રીતે વગાડશે. 7થી 7.30 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવામાં આવશે. હજીરા ઓદ્યોગિક એકમોને પણ સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ હાજર રહ્યા હતા.