આજે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના મોંઘવારી ભથ્થા (DA)માં 2% નો વધારો મંજૂર કર્યો છે. આ વધારો 7મા પગાર પંચ હેઠળ કરવામાં આવ્યો છે.
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સરકારે માર્ચ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે. આ વધારો 1 જાન્યુઆરી, 2025થી ગણવામાં આવશે. જેથી કર્મચારીઓને બે મહિનાનો બાકી રહેલા વધારો પણ માર્ચના પગાર સાથે ચૂકવવામાં આવી શકે છે
મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો થતા તે 53% થી વધીને 55% સુધી પહોંચી ગયું છે. આ નિર્ણયથી લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને સીધો લાભ મળશે, જેનાથી તેમના નાણાકીય સ્થિરતામાં વધારો થશે.
અગાઉ, સરકારે જુલાઈ 2024માં મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો હતો. ત્યારે મોંઘવારી ભથ્થું 50 ટકાથી વધારીને 53 ટકા કરવામાં આવ્યું હતું. મોંઘવારી ભથ્થામાં વધારાથી કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓને વર્તમાન ફુગાવાના દર અને તેમના મૂળ પગારના આધારે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) વધારવામાં આવી છે.
મોંઘવારી ભથ્થું એવું નાણું છે, જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવનધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવે છે. એ સંબંધિત પગાર ધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ હોઈ શકે છે.
મોંઘવારી ભથ્થું કેવી રીતે ગણવામાં આવે છે?
મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે, ફોર્મ્યુલા છે [છેલ્લા 12 મહિનાના ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ (AICPI)ની સરેરાશ – 115.76)/115.76]×100. હવે જો આપણે PSU (પબ્લિક સેક્ટર યુનિટ)માં કામ કરતા લોકોના મોંઘવારી ભથ્થા વિશે વાત કરીએ તો એની ગણતરીની પદ્ધતિ છે- મોંઘવારી ભથ્થાની ટકાવારી = (છેલ્લા 3 મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ (બેઝ વર્ષ 2001 = 100)- 126.33) )x100