હોર્ડિંગ્સ પર લાગેલા ભારતનાં નક્શામાં કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે
કર્ણાટકના બેલગાવીમાં આજે ગુરુવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવાની છે. આ બેઠક કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠક પહેલાં, કાર્યકરોએ બેલાગવીમાં પોસ્ટરો લગાવ્યાં છે. જેમાં ભારતનો ખોટો નકશો બતાવવામાં આવ્યો છે. જેને લઈને ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે અને કોંગ્રેસ પર તૃષ્ટિકરણનો આરોપ લગાવ્યો હતો.
કોંગ્રેસે હોર્ડિંગ્સ પર ભારતનો ખોટો નકશો મૂક્યો છે, જે તેમની તુષ્ટિકરણની રાજનીતિનો એક ભાગ છે.
બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા સાઈટ X પર કોંગ્રેસ દ્વારા લગાવેલ ભારતનાં ખોટા નકશાની તસવીર પોસ્ટ કરી છે અને લખ્યું છે કે, કોંગ્રેસે બેલાગવીમાં તેના કાર્યક્રમમાં, કોંગ્રેસે તેના તમામ હોર્ડિંગ્સ પર ભારતનો ખોટો નકશો મૂક્યો છે, જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રાના ફોટોગ્રાફ્સ સાથે, કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું છે. આ ભૂલ ન હોઈ શકે. આ એક નિવેદન છે. આ તેમની તુષ્ટિકરણની રાજનીતિનો એક ભાગ છે, જે માને છે કે ભારતીય મુસ્લિમો ભારત કરતાં પાકિસ્તાન પ્રત્યે વધુ વફાદાર છે. કોંગ્રેસ નવી મુસ્લિમ લીગ છે. તે ભારતને ફરીથી તોડવા માંગે છે.
કોંગ્રેસ ભારત તોડનારા લોકોની સાથે છે
બીજેપી સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, આજે એક એવી તસવીર સામે આવી છે જે દિલને ઠેસ પહોંચાડે છે. બીજેપી કર્ણાટકે એક ટ્વિટ કર્યું છે જેમાં જોઈ શકાય છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને અક્સાઈ ચીન ભારતના નકશામાં સામેલ નથી જે કોંગ્રેસ દ્વારા બેલગાવીમાં આયોજિત કાર્યક્રમમાં લગાવાયું છે. તેઓ અગાઉ પણ આવાં કામો કરી ચૂક્યાં છે. ભારતને તોડવાનો પ્રયાસ કરી રહેલી તાકાતો સાથે કોંગ્રેસનો સંબંધ હવે સ્પષ્ટ થઈ ગયું છે.
કોંગ્રેસ ફરી એકવાર પાકિસ્તાનના ગુણગાન ગાય છે
ભાજપના નેતા શેહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે કોંગ્રેસનું ‘ભારત જોડો’નું સૂત્ર એક ઢોંગ છે. બેલગાવીમાં તેમના કાર્યક્રમમાં, તેમણે વિકૃત નકશો બતાવીને ભારતની એકતા અને સાર્વભૌમત્વ પ્રત્યે અનાદર દર્શાવ્યો હતો જેમાં કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. તેઓ અખંડ ભારત કે બંધારણમાં માનતા નથી, પરંતુ બ્રેક ઈન્ડિયામાં માને છે.
ઇલ્હાન ઓમરને મળવું, 370 ને સમર્થન આપવું, જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવું, સોનિયા ગાંધી એક સંસ્થાના સહ-અધ્યક્ષ છે જે કાશ્મીરને ભારતથી અલગ કરવાનું સમર્થન કરે છે.. સંયોગ નથી પરંતુ એક મત બેંક ઉદ્યોગ છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું આ મુદ્દે મૌન
વધુમાં તેમણે કોંગ્રેસના આ કૃત્યને ‘અક્ષમ્ય ભૂલ’ ગણાવતા કહ્યું કે કોંગ્રેસે આવું પહેલીવાર કર્યું નથી. તેમણે શશિ થરૂરના ઉલ્લેખ અને જ્યોર્જ સોરોસ વિવાદ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા ખોટા નકશાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ વિવાદ મુદ્દે કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ભાજપના સતત આક્ષેપો છતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ મૌન જાળવી રાખ્યું છે.
આજથી કોંગ્રેસનું બે દિવસીય અધિવેશન
બેલગાવીમાં 26 ડિસેમ્બરથી કોંગ્રેસનું બે દિવસીય સત્ર શરૂ થઈ રહ્યું છે. આ સત્રનું આયોજન 1924માં યોજાયેલા કોંગ્રેસના 39માં અધિવેશનના 100 વર્ષ પૂરાં થવાના અવસર પર કરવામાં આવ્યું છે.