મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, 23 નવેમ્બરે પરિણામો

election-date-declare

મહારાષ્ટ્રમાં 288 બેઠક પર 20મી નવેમ્બરે એક જ તબક્કામાં, તો ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરે એમ બે તબક્કામાં મતદાન

આજે ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્યની 288 વિધાનસભા બેઠક પર 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે ઝારખંડમાં 81 બેઠકો માટે બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરે મતદાન થશે. બંને રાજ્યોના ચૂંટણી પરિણામો 23 નવેમ્બરે આવશે. આ સાથે જ આજથી મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આદર્શ આચાર સંહિતા લાગૂ થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે અને ઝારખંડનો કાર્યકાળ 5 જાન્યુઆરી 2025ના રોજ પૂરો થાય છે. ચૂંટણી પંચે આજે એટલે કે મંગળવારે બપોરે 3.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને 14 રાજ્યોની 48 વિધાનસભા અને 2 લોકસભા સીટો માટે પેટાચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી હતી. આજે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુની ઉપસ્થિતિમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આ ચૂંટણીની જાહેરાત કરી છે.

આ સિવાય 13 રાજ્યની 48 વિધાનસભા સીટો માટે પેટાચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે, જેમાં ઉત્તરપ્રદેશની 10, રાજસ્થાનની 7, પશ્ચિમ બંગાળની 6, આસામની 5, બિહારની 4, પંજાબની 4, કર્ણાટકની 3, કેરળની 2, મધ્યપ્રદેશની 2, સિક્કિમની 2, ગુજરાતની 1 બેઠકનો સમાવેશ થાય છે. ઉત્તરાખંડની 1 અને છત્તીસગઢની 1 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.

આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહેવાની છે. મહારાષ્ટ્રમાં ભાજપ શિંદે જૂથની શિવસેના અને અજિત પવાર જૂથની NCP મહાયુતિ ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસ ઉદ્ધવ જૂથની શિવસેના અને શરદ પવાર જૂથની NCP મહા વિકાસ અઘાડી ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે.

કેરળની વાયનાડ બેઠક રાહુલ ગાંધીના રાજીનામાને કારણે ખાલી થઈ છે, મહારાષ્ટ્રની નાંદેડ બેઠક કોંગ્રેસના સાંસદનું અવસાન થવાથી ખાલી થઈ છે અને પશ્ચિમ બંગાળની બસીરહાટ બેઠક તૃણમૂલના સાંસદના નિધનને કારણે ખાલી થઈ છે.

કેરળના વાયનાડમાં 13 નવેમ્બરે અને મહારાષ્ટ્રના નાંદેડમાં 20 નવેમ્બરે લોકસભા બેઠકો માટે મતદાન થશે. તે જ સમયે, 13 નવેમ્બરે 47 વિધાનસભા બેઠકો અને ઉત્તરાખંડની કેદારનાથ વિધાનસભા બેઠક પર 20 નવેમ્બરે મતદાન થશે. તમામ પરિણામો 23 નવેમ્બરે આવશે.