PM મોદી આજે વાયનાડ પહોંચ્યા, ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું કર્યું હવાઈ નિરીક્ષણ

Modi-in-Wainad

રાહુલ ગાંધીએ પીએમ મોદીનો આભાર માન્યો અને કહ્યું કે મને વિશ્વાસ છે કે વડાપ્રધાન એને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરશે

વડાપ્રધાન મોદી આજે કેરળના વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે છે, જ્યાં 30 જુલાઈએ ભૂસ્ખલનને કારણે ઘણી તબાહી થઈ હતી, 400થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો હજુ પણ લાપતા છે. આ દુર્ઘટના બાદ કેન્દ્ર સરકારે તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.

PM મોદીએ આજે વાયનાડમાં ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો. તેઓ સવારે 11 વાગે ખાસ ફ્લાઇટ દ્વારા કન્નુર એરપોર્ટ પહોંચ્યા હતા. કન્નુરથી મોદી સવારે 11:15 વાગ્યે ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા વાયનાડ ગયા હતા. તેમણે રસ્તામાં ભૂસ્ખલન પ્રભાવિત ચુરામાલા, મુંડક્કાઈ અને પુંચીરીમટ્ટમ ગામોનું હવાઈ સર્વેક્ષણ કર્યું. આ સિવાય પીએમ ઘાયલોની ખબરઅંતર પૂછવા માટે હોસ્પિટલ પણ ગયા હતા.

હવાઈ સર્વેક્ષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ હાજર હતા. આ પછી વડાપ્રધાન ભૂસ્ખલનથી પ્રભાવિત લોકો હાલમાં જ્યાં રહે છે તે રાહત શિબિરોમાં પણ ગયા હતા અને અસરગ્રસ્ત લોકો સાથે વાત કરીને તેમની સમસ્યાઓ જાણી છે. ત્યારબાદ મોદી સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં તેમને ઘટના અને ચાલી રહેલા રાહત પ્રયાસો વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે. પીએમ સાથે કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપી પણ વાયનાડ ગયા છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પીએમ મોદીનો આભાર માન્યો
પીએમ મોદીની મુલાકાત પહેલા વિપક્ષના નેતા અને વાયનાડના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે, આ ભયાનક દુર્ઘટનાનો વ્યક્તિગત રીતે અભ્યાસ કરવા માટે વાયનાડ આવવા બદલ મોદીજીનો આભાર. આ એક સારો નિર્ણય છે. મને વિશ્વાસ છે કે એકવાર વડાપ્રધાન આ વિનાશની તીવ્રતા જાતે જોશે તો તેઓ તેને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરશે.

રાહુલ ગાંધીએ સંસદમાં વાયનાડ દુર્ઘટના રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવાની માગ કરી છે. કેરળ સરકારે અસરગ્રસ્ત લોકોના પુનર્વસન માટે કેન્દ્ર પાસેથી રૂ. 2000 કરોડના વિશેષ પેકેજની વિનંતી કરવાનો નિર્ણય લીધો છે. મોદી આજે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સાથે પણ વાત કરશે.

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પણ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીની વાયનાડની મુલાકાત દરમિયાન કેન્દ્ર સરકાર આ આપદાને રાષ્ટ્રીય અને ગંભીર આપદા જાહેર કરવાની આશા વ્યકત કરી હતી.