સમગ્ર પરીક્ષામાં ગેરરીતિ થઈ તેના કોઈ પુરતા પુરાવા સામે આવ્યા નથી
સુ્પ્રીમ કોર્ટે NEET પરીક્ષાને લઈને મોટો આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેનો ફેંસલો જણાવતાં કહ્યું કે સમગ્ર પ્રક્રિયામાં ગેરરીતિ મોટા પાયા પર થઈ તેના કોઈ પુરતા પુરાવા સામે આવ્યા નથી. જેથી સુપ્રીમ કોર્ટે ફરીથી પરીક્ષાનો આદેશ આપવાનો ઈનકાર કરી દીધો છે.
દેશના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે ચુકાદો આપ્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું કે અમારી સમક્ષ રજૂ કરવામાં આવેલી સામગ્રી અને ડેટાના આધારે પ્રશ્નપત્રના લીક થવાના કોઈ પુરાવા મળ્યા નથી. જે સંકેત આપે છે કે પરીક્ષાની પારદર્શિતા સાથે કોઈ છેડા થયા નથી.
ચીફ જસ્ટિસે કહ્યું કે અત્યારે અમે ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓને અલગ કરી શકીએ છીએ. તપાસ દરમિયાન ગુનેગારોની ઓળખ થશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી આ છેતરપિંડીમાં સંડોવાયેલો જણાશે તો તેને પ્રવેશ મળશે નહીં.
સુનાવણીમાં ચીફ જસ્ટિસની બેન્ચે કહ્યું કે, કોર્ટ સમક્ષ આ કેસનો મુખ્ય મુદ્દો એ હતો કે પ્રશ્નપત્ર લીક થયું હતું. અને પરીક્ષાના આયોજનમાં પ્રણાલીગત ખામીઓ હોવાના આધારે ફરીથી પરીક્ષા લેવા માટેનો નિર્દેશ આપવામાં આવે. નીટનું આયોજન 14 વિદેશી શહેરો ઉપરાંત દેશના 571 શહેરોના 4750 કેન્દ્રો પર કરવામાં આવ્યું હતું. 24 લાખ વિદ્યાર્થીઓ 1,08,000 બેઠકો માટે આ પરીક્ષાની સ્પર્ધામાં હતા.
જો કે કોર્ટે હજુ સુધી તેનો અંતિમ નિર્ણય અનામત રાખ્યો છે, જેના માટે કોઈ તારીખ જારી કરવામાં આવી નથી. કોર્ટના આદેશ બાદ હવે 24 જુલાઈથી કાઉન્સેલિંગ પ્રક્રિયા શરૂ થશે.
NEET કેસમાં પાંચમી સુનાવણી મંગળવારે CJI બેન્ચ સમક્ષ થઈ. 5 મેના રોજ NEET UG 2024ની પરીક્ષાનું આયોજન રદ કરવાની અને 4 જૂને જાહેર કરાયેલા પરિણામોની પુનઃ આયોજિત કરવાની માગણી કરતી 40થી વધુ અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી.
સુનાવણી દરમિયાન, અરજદાર તરફથી વિનંતી કરવામાં આવી હતી કે જો બધા વિદ્યાર્થીઓ નહીં તો ઓછામાં ઓછા તે વિદ્યાર્થીઓ કે જેમને NTA દ્વારા NEET UGમાં સફળ જાહેર કરવામાં આવ્યા છે તેમની ફરીથી પરીક્ષા કરવી જોઈએ. જો કે સુપ્રીમ કોર્ટે ફરીથી પરીક્ષા લેવાનો ઈન્કાર કર્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે આ વર્ષના પરિણામોની તુલના છેલ્લા 3 વર્ષના આંકડા સાથે પણ કરી છે, જેમાં અમને કોઈ વ્યાપક ગરબડ લાગી નથી રહી. અમે ઇચ્છીએ છીએ કે ખોટી પદ્ધતિઓ અપનાવનારા કોઈ પણ વિદ્યાર્થી લાભ ન લઈ શકે. અને ભવિષ્યમાં પણ પ્રવેશ મેળવી શકે નહી. અમે માનીએ છીએ કે ફરીથી પરીક્ષા લેવાથી 20 લાખથી વધુ વિદ્યાર્થીઓને અસર થશે. શૈક્ષણિક સત્ર ખોરવાઈ જશે, અભ્યાસમાં પણ વિલંબ થશે. તેથી, અમે ફરીથી પરીક્ષાને વાજબી માનતા નથી.
ઉલ્લેખનીય છે આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે જ્યાં સુધી મોટા પાયા પર પરીક્ષામાં ગેરરીતિ થઈ છે તેના પુરાવા નહિ મળે ત્યાં સુધી સમગ્ર પરીક્ષા ફરી વાર યોજવાનો આદેશ નહિ અપાય. પરીક્ષા બીજીવાર યોજવાથી લાયક વિદ્યાર્થીઓને પણ અન્યાય થશે.