પાકિસ્તાન કબજાવાળા કાશ્મીરને પાકિસ્તાન આઝાદ કાશ્મીર ગણાવે છે અને ભારત તેને પોતાનું અભિન્ન અંગ ગણાવે છે. ત્યારે હવે પાકિસ્તાને PoKને લઈને જાતે જ પોતાની જ પોલ ખોલી નાખી છે. પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પાકિસ્તાનના એક સરકારી વકીલે પીઓકેને લઈને નિવેદન આપ્યું છે. જે બાદ ત્યાં તેની ટીકા થઈ રહી છે.
ફેડરલ પ્રોસિક્યૂટર જનરલ ઈસ્લામાબાદથી અપહ્યત થયેલા કવિ અહમદ ફરહાદને લઈને સરકારનો બચાવ કરી રહ્યાં હતા ત્યારે તેમણે કહ્યું કે તેઓ 2 જૂન સુધી આઝાદ કાશ્મીરમાં રિમાન્ડ પર રહેશે. કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી અપહરણ કરાયેલા કવિ અને પત્રકાર અહેમદ ફરહાદ શાહને વિદેશી નાગરિક ગણાવ્યો હતો. સરકારી વકીલે કહ્યું કે તેણે ઈસ્લામાબાદ કોર્ટ સમક્ષ રજૂ ન કરી શકાય કેમકે આઝાદ કાશ્મીર આપણો નહીં પરંતુ એક વિદેશી ક્ષેત્ર છે.
ફરહાદ શાહનો કેસ લડી રહેલા એડવોકેટ ઈમાન મઝારી હજીરે આ દાવો કર્યો છે. તેમણે કોર્ટની બહાર મીડિયાને કહ્યું કે સરકારી વકીલ એવી દલીલ કરી રહ્યા હતા કે કાશ્મીર વિદેશી જમીન છે.
સરકારી વકીલના દાવા પર હાઈકોર્ટે પણ પરેશાન થયા અને તેમણે કહ્યું કે, જો આઝાદ કાશ્મીર એક વિદેશી ક્ષેત્ર છે તો પછી પાકિસ્તાન રેન્જર્સ ત્યાં પાકિસ્તાનમાંથી કઈ રીતે પ્રવેશી ગયા.
પાકિસ્તાનના પત્રકારે પણ આ દાવા પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે આ દાવો ન્યાયિક પ્રણાલી અને આઝાદ કાશ્મીરની સ્થિતિ પર અનેક સવાલો ઊભા કરે છે. તેમણે કહ્યું કે, જો આઝાદ કાશ્મીર આપણું નથી તો પાકિસ્તાનને એક વિદેશી ક્ષેત્રમાં સૈનિકોની તૈનાતી અને પ્રશાસનનો અધિકાર કઈ રીતે મળ્યો.
પાકિસ્તાને કાશ્મીરના જે ભાગને કબજે કર્યો છે, તે તેને આઝાદ કાશ્મીર કહે છે. તે જ સમયે, ભારત તેને PoK એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર કહે છે. ભારત માને છે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (PoK) એ જમ્મુ-કાશ્મીરનો એક ભાગ છે જેના પર પાકિસ્તાને બળપૂર્વક કબજો જમાવ્યો છે.