સહાયની રકમ અંગે સસ્પેન્સ હતું કે શું આ રકમ ફક્ત તે લોકો માટે છે જેઓ અકસ્માતનો ભોગ બનેલા વિમાનમાં સવાર હતા? કે પછી જે લોકો વિમાનમાં સવાર ન હતા પરંતુ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યા તેમના પરિવારો પણ તેના હકદાર બનશે?
અમદાવાદથી લંડન જવા માટે રવાના થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થયા પછી ગણતરીની મિનિટમાં જ ક્રેશ થઈ હતી. ફ્લાઈટ મેઘાણીનગર વિસ્તારમાં આવેલી બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ પર ક્રેશ થયું હતું અને આગની લપેટમાં આવી ગઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળેથી કાળો ધુમાડો દૂર દૂર સુધી દેખાતો હતો.
આ એર ઇન્ડિયાની ફ્લાઈટમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાંથી 241 લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત ફ્લાઈટ જે બિલ્ડીંગમાં ટકરાઈ ત્યાં હાજર મેડિકલ કોલેજના MBBS વિદ્યાર્થીઓ, ડોક્ટરો, તેમજ અન્ય સ્ટાફનાં પણ મોત થયા છે. જેમની સંખ્યા 24 આસપાસ હોવાનું કહેવાય છે. આ દૂર્ઘટનામાં કુલ 265 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 60 થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ વિમાન દુર્ઘટના બાદ ટાટા ગ્રુપે માર્યા ગયેલ મૃતકનાં પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આ સહાય ફક્ત વિમાનમાં સવાર લોકોને જ આપવામાં આવશે કે પછી જે લોકો વિમાનમાં સવાર ન હતા અને જેમનું મોત થયુ છે તેમના પરિવારોને પણ આપવામાં આવશે, તે સ્પષ્ટ થયુ ન હતું. પરંતુ હવે તે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે.
દરેક મૃતકનાં પરિવારને મળશે સહાય
એર ઇન્ડિયાના માલિક ટાટા ગ્રુપે હવે સ્પષ્ટ કર્યું છે કે આ અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાયની રકમ આપવામાં આવશે, પછી ભલે તેઓ વિમાનમાં હોય કે ન હોય.. એટલે કે જે 24 લોકો વિમાનમાં સવાર ન હતા પરંતુ આ અકસ્માતમાં જીવ ગુમાવ્યા તેમના પરિવારો પણ સહાયની રકમના હકદાર રહેશે. આ મૃતકોમાં ઓછામાં ઓછા પાંચ MBBS વિદ્યાર્થીઓ, એક PG રેસિડેન્ટ ડૉક્ટર અને એક સુપરસ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની પત્નીનો સમાવેશ થાય છે. જોકે, વિમાનમાં ન હોય તેવા લોકો વિશે હજુ વધુ માહિતી ઉપલબ્ધ થઈ નથી.
ઘાયલોની સારવારનો ખર્ચ તેમજ અન્ય મદદની જાહેરાત
ટાટા ગ્રુપે એ પણ સ્પષ્ટતા કરી છે કે અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોની સારવારનો ખર્ચ ઉઠાવવાની સાથે, તેઓને સંપૂર્ણ સહાય અને જરૂરી સંભાળ મળે તે પણ સુનિશ્ચિત કરશે.
હોસ્પિટલ અને પુનર્નિર્માણ સહાય
ટાટા ગ્રુપે એમ પણ કહ્યું છે કે અમે બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ બિલ્ડિંગના પુનઃનિર્માણમાં પણ મદદ કરીશું.
નોંધનીય છે કે, ગુરુવારે એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી લંડન માટે ઉડાન ભરી હતી. ટેકઓફ કર્યા પછી તરત જ આ વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. ઉડાન ભર્યાના થોડા સમય પછી વિમાન મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ બિલ્ડિંગ પર ક્રેશ થયું અને આગના ગોળામાં ફેરવાઈ ગયું. બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર સિવાય, વિમાનમાં સવાર 241 લોકોના મોત થયા. અકસ્માત થયો ત્યારે બપોરના ભોજનનો સમય હતો અને મોટી સંખ્યામાં ડોકટરો અને વિદ્યાર્થીઓ હોસ્ટેલના મેસમાં બપોરના ભોજન માટે હાજર હતા. અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયા છે, જ્યારે 60 થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોની સારવાર ચાલી રહી છે.