હનીમૂન પર પતિની હત્યા પાછળની વાસ્તવિક વાર્તા સામે આવી, પત્ની સોનમે જ કરી પતિની હત્યા

sonamRaghuvanshi

આ કેસમાં, પોલીસને તે ટુરિસ્ટ ગાઇડના નિવેદનથી મદદ મળી જેણે છેલ્લે રાજાને જીવતો જોયો હતો. પોલીસ ઘણા દિવસોથી રાજાના હત્યારાઓ અને તેની પત્નીને શોધી રહી હતી. આ દરમિયાન, ટુરિસ્ટ ગાઇડે પોલીસને જણાવ્યું કે તેણે છેલ્લે રાજા સાથે ત્રણ લોકોને જોયા હતા.

ઇન્દોરની નવપરિણીત સોનમ રઘુવંશી હવે દેશભરમાં હેડલાઇન્સમાં છે. લગ્નના માત્ર એક મહિનાની અંદર, મેઘાલયમાં તેના પતિની હત્યાના આરોપમાં મુકાયેલી સોનમની ગાઝીપુરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જે ખુલાસા થઈ રહ્યા છે તે આખા કેસને વધુ રસપ્રદ બનાવી રહ્યા છે. ખાસ કરીને, સોનમના પ્રેમી રાજ કુશવાહાના સામે આવ્યા પછી, આ વાર્તા વધુ પ્રખ્યાત થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, ઇન્દોરની રહેવાસી સોનમ રઘુવંશીના પિતા દેવી સિંહ રઘુવંશીની એક પ્લાયવુડ ફેક્ટરી છે. સોનમ તેના પિતા અને ભાઈને વ્યવસાયમાં પણ મદદ કરતી હતી. આ ફેક્ટરીમાં રાજ કુશવાહા નામનો એક યુવાન કામ કરતો હતો. તે સોનમથી લગભગ પાંચ વર્ષ નાનો હતો. સોનમ કામ માટે આવાર નવાર ફેક્ટરીમાં જતી હતી. જે દરમ્યાન રાજ કુશવાહા સાથે તેની મિત્રતા વધતી ગઈ જે પ્રેમમાં ફેરવાઈ ગઈ. પરિવાર સોનમના લગ્ન સમાજમાં કરાવવા માંગતો હતો અને સોનમ પણ તેના પરિવારની વિરુદ્ધ જવા માંગતી ન હતી. ફેક્ટરીના કર્મચારીઓએ બંનેને ઘણી વાર વાત કરતા પણ જોયા હતા, પરંતુ કોઈને ખ્યાલ નહોતો કે મામલો એટલો આગળ વધી જશે કે લગ્ન પછી સોનમ તેના પતિની જિંદગી બરબાદ કરી દેશે.

શિલોંગમાં હનીમૂન માટે ગયેલા રાજા રઘુવંશીની હત્યા તેની પત્ની સોનમ રઘુવંશીએ જ કરી હતી. મૃત હોવાનો ડોળ કરવા માટે તેણે પોતાનું જેકેટ ખાડામાં ફેંકી દીધું હતું, પરંતુ પછી શિલોંગ પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો. સોનમ 16 દિવસ સુધી પોલીસથી છુપાઈ રહી, પરંતુ આખરે સોનમે શરણાગતિ સ્વીકારવી પડી.

શિલોંગ પોલીસને કોલ ડિટેલ્સ અને સોનમ અને રાજા સાથે શિલોંગમાં જોવા મળેલા ત્રણ પ્રવાસીઓ વિશે માહિતી મળી. તેમણે હત્યારાઓ ક્યાં રોકાયા હતા તે સ્થળોની માહિતી એકત્રિત કરી અને બધી માહિતી ઇન્દોર પોલીસ સાથે શેર કરી. ક્રાઇમ બ્રાન્ચે સાંજ સુધીમાં છટકું ગોઠવ્યું અને રાત્રે ઇન્દોરથી વિક્કી ઉર્ફે વિશાલ ચૌહાણ, રાજ કુશવાહા અને આકાશ રાજપૂતની ધરપકડ કરી હતી.

સોનમ રઘુવંશી હત્યારાઓના સંપર્કમાં હતી, જ્યારે તેને ખબર પડી કે હત્યામાં સંડોવાયેલા ત્રણેય સાથીઓની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે 16 દિવસથી ગુમ સોનમ રાત્રે અચાનક ગાઝીપુર પહોંચી ગઈ અને રાત્રે 1 વાગ્યે તેના ભાઈ ગોવિંદને ફોન કરીને ગાઝીપુરમાં હોવાની જાણ કરી.

ઢાબાના માલિક સાહિલ યાદવના જણાવ્યા અનુસાર, “સોનમ રાત્રે લગભગ 1 વાગ્યે આવી અને તેના ભાઈને ફોન કરવા માટે મોબાઇલ માંગ્યો. તે રડતી રડતી હતી અને કહેવા લાગી કે તેના પતિની હત્યા કરવામાં આવી છે અને તેને લૂંટવામાં આવી છે. સવારે 3 વાગ્યે પોલીસે સોનમની ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લાના નંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઢાબામાંથી ધરપકડ કરી હતી.

આ હત્યા પાછળનું કારણ સોનમ અને રાજ કુશવાહા વચ્ચેનો અફેર હોવાનું કહેવાય છે. સોનમ લગ્ન પહેલા અને પછી કલાકો સુધી રાજ કુશવાહા સાથે વાત કરતી હતી. તેની કોલ ડિટેલ્સથી પોલીસમાં શંકા જાગી અને મેઘાલય પોલીસે તેના વિશે ઇન્દોર પોલીસને માહિતી આપી. હત્યા પછી, રાજાના શરીર પાસે પણ હથિયાર મળી આવ્યું હતું. જો હત્યારાઓએ સોનમની હત્યા કરવી હોત, તો તેઓ આ જ હથિયારનો ઉપયોગ કરતા. આનાથી પોલીસ અધિકારીઓને ખ્યાલ આવ્યો કે સોનમની હત્યા થઈ નથી. તે ગુમ થઈ ગઈ હતી. તેના બંને ફોન પર નજર રાખવામાં આવી હતી, પરંતુ હત્યા પછી સોનમ બંનેમાંથી એકનો પણ ઉપયોગ કરતી નહોતી.

23 મેના રોજ સોનમે તેની સાસુ સાથે ચર્ચા કરી. બપોર પછી ત્રણેય ફોન અચાનક બંધ થઈ ગયા હતા. રાજા અને સોનમના ફોન અચાનક બંધ થઈ જવાથી ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. સોનમે ગુવાહાટી માટે પ્લેન ટિકિટ બુક કરાવી હતી. તેણે બધી યોજના બનાવી હતી, પરંતુ પરત ફરવાની ટિકિટ બુક કરાવી ન હતી. આ હકીકત પણ ઘણા પ્રશ્નો ઉભા કરી રહી હતી. આ તમામ પ્રશ્નોને પોલીસે તપાસ દરમ્યાન ધ્યાને લીધા હતા.

રાજા-સોનમના લગ્ન અને હનીમૂન
સોનમ અને રાજા રઘુવંશીના લગ્ન ૧૧ મેના રોજ ઇન્દોરમાં થયા હતા. લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા અને બંને પરિવારોએ સંપૂર્ણ સંમતિથી કર્યા હતા. લગ્નના ૯ દિવસ પછી, એટલે કે ૨૦ મેના રોજ, આ દંપતી હનીમૂન માટે મેઘાલય જવા રવાના થયું. ૨૨ મેના રોજ, બંને ભાડાના સ્કૂટર પર ટ્રેકિંગ માટે મેઘાલયના માવલાખિયાત વિસ્તારમાં પહોંચ્યા. ત્યાંથી, તેઓ લગભગ ૩,૦૦૦ સીડીઓ ઉતરીને નોંગરિયાટ ગામમાં ગયા અને શિપ્રા હોમસ્ટેમાં રોકાયા. ૨૩ મેની સવારે તેઓએ ચેકઆઉટ કર્યુ, પરંતુ ત્યારબાદ બંનેનો કોઈ પત્તો લાગ્યો નહીં. ૨૪ મેના રોજ, શિલોંગ-સોહરા રોડ પર એક કાફેની બહાર સ્કૂટર બિનવારસી હાલતમાં મળ્યુ હતું. ત્યાર બાદ ૨ જૂનના રોજ રાજાનો મૃતદેહ ઊંડા ખાડામાંથી મળી આવતા પોલીસની શંકા વધુ ઘેરી બની હતી.

ટ્રેકિંગ ગાઇડના નિવેદનની આવ્યો નવો વળાંક
હવે આ કેસમાં એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે એક લોકલ ગાઈડ આલ્બર્ટ પીડીએ કેટલીક વાતો જણાવી. આલ્બર્ટે દાવો કર્યો છે કે તેણે 23 મેના રોજ સોનમ અને રાજાને ત્રણ અન્ય પુરુષો સાથે ટ્રેકિંગ કરતા જોયા હતા. તેમના મતે, ચાર માણસો ટ્રેકિંગમાં આગળ ચાલી રહ્યા હતા, અને સોનમ પાછળ હતી. તેઓ હિન્દીમાં વાત કરી રહ્યા હતા પરંતુ ગાઇડ ફક્ત ખાસી અને અંગ્રેજી સમજતો હોવાથી, તે વાતચીતનો અર્થ સમજી શક્યો નહીં. આલ્બર્ટે એમ પણ કહ્યું કે 22 મેના રોજ, તેણે દંપતીને ટ્રેકિંગ સેવા ઓફર કરી હતી, પરંતુ સોનમ અને રાજાએ તેને ના પાડી દીધી અને તેને કહ્યું કે તેઓ પહેલાથી જ બીજા ગાઇડને ભાડે રાખી ચૂક્યા છે. પાછળથી તપાસમાં જાણવા મળ્યું કે તેઓએ ‘ભા વાંસાઈ’ નામના ગાઇડને ભાડે રાખ્યા હતા અને ‘શિપારા હોમસ્ટે’માં રોકાયા હતા. ગાઇડના મતે, 23 મેની સવારે, જ્યારે દંપતી ચઢાઈ કરી રહ્યું હતું, ત્યારે તેમની સાથે કોઈ ગાઇડ નહોતો. પછી પ્રશ્ન ઉભો થયો કે બીજા ત્રણ લોકો કોણ હતા?

પ્લાન સાથે હત્યા
મેઘાલયના સોહરા વિસ્તારમાં વિસાવાડોંગ ધોધ પાસે 2 જૂનના રોજ રાજા રઘુવંશીનો મૃતદેહ ખાડામાંથી મળી આવ્યો હતો. મૃતદેહની હાલત ખૂબ જ ખરાબ હતી. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે રાજાની સોનાની વીંટી અને ચેન શરીરમાંથી ગાયબ હતી. જેના કારણે પોલીસને શંકા ગઈ કે લૂંટ પછી આ આયોજિત હત્યા હોઈ શકે છે. હવે એવું સામે આવ્યું છે કે સોનમે તેના પ્રેમી અથવા અન્ય લોકો સાથે મળીને આ યોજનાને અંજામ આપ્યો હતો, જેથી કોઈને શંકા ન થાય.

ગાઝીપુર ઢાબામાંથી ધરપકડ અને પિતાની સીબીઆઈ તપાસની માંગ
સોનમના પિતા કહે છે કે તેમને તેમની પુત્રી સાથે વાત કરવાનો મોકો પણ મળ્યો નહીં. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી છે. દેવી સિંહનો દાવો છે કે તેમની પુત્રી 100% નિર્દોષ છે અને મેઘાલય પોલીસ શરૂઆતથી જ ખોટું બોલી રહી છે.