ઇન્દોરના રહેવાસી રાજા રઘુવંશીના હત્યા કેસનો સસ્પેન્સ આખરે ખુલ્યો છે. મેઘાલય પોલીસે આ કેસમાં તેની પત્ની સોનમ રઘુવંશીની ધરપકડ કરી છે. એવો આરોપ છે કે સોનમનો રાજ કુશવાહા નામના યુવક સાથે અફેર હતો અને બંનેએ મળીને આ આખું કાવતરું ઘડ્યું હતું…
રાજા રઘુવંશી હત્યા કેસના ત્રણ આરોપીઓ – રાજ કુશવાહા, વિશાલ અને આકાશ – ને સાત દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. હવે મેઘાલય પોલીસ આ ત્રણેયને શિલોંગ લઈ જશે અને ત્યાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, રાજાની પત્ની સોનમને હજુ કોર્ટમાં હાજર કરાઈ નથી, પરંતુ મેઘાલય પોલીસ તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે પણ અપીલ કરશે.
ઉત્તર પ્રદેશ પોલીસ અને શિલોંગ પોલીસ સોનમ રઘુવંશીને લઈને જિલ્લા હોસ્પિટલમાં પહોંચી હતી. અહીં સોનમની તબીબી તપાસ કરવામાં આવી રહી છે. સોનમની તબીબી તપાસ પછી, તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં મેઘાલય પોલીસ ટ્રાન્ઝિટ રિમાન્ડ માંગશે.
વિપિન રઘુવંશી (રાજા રઘુવંશીના ભાઈ) એ ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાત કરતા કહ્યું કે સોનમ વિશે આવા સમાચાર બહાર આવ્યા છે અને પ્રામાણિકપણે કહું તો, અમે બધા આઘાતમાં છીએ કારણ કે અમે પહેલા ક્યારેય આવા સમાચાર સાંભળ્યા નહોતા. આ વાર્તામાં એક નવો વળાંક આવ્યો છે. અત્યાર સુધી અમે સોનમને શોધી રહ્યા હતા અને હવે સોનમ મળી ગઈ છે. અમને શંકા છે કે આમાં કોઈ સંડોવાયેલ હોઈ શકે છે. મેઘાલય પોલીસના જણાવ્યા અનુસાર, સોનમ આ હત્યાનો માસ્ટરમાઇન્ડ છે. અમે ઇચ્છીએ છીએ કે જો તેને મેઘાલય લાવવામાં આવે અને તપાસ કરવામાં આવે, તો અમને પણ બોલાવવામાં આવે. અમે સોનમને પણ પૂછવા માંગીએ છીએ કે તેણે આવું કેમ કર્યું?
હનીમૂન માટે મેઘાલય ગયેલા રાજા રઘુવંશીના હત્યા કેસનો સસ્પેન્સ આખરે ખુલ્યો છે. મેઘાલય પોલીસે આ કેસમાં રાજાની પત્ની સોનમ રઘુવંશીની ધરપકડ કરી છે. જાણવા મળ્યું છે કે સોનમનું રાજ કુશવાહા નામના યુવક સાથે અફેર હતું અને તેની સાથે મળીને સોનમે તેના પતિ રાજાને મારી નાખવાની સોપારી આપી હતી.
આ માહિતી આપતાં મેઘાલય પોલીસના ડીજીપીએ જણાવ્યું હતું કે ઇન્દોરના રહેવાસી રાજા રઘુવંશીના હત્યા કેસમાં તેની પત્ની સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. મેઘાલયના ડીજીપી આઈ નોંગરાંગે જણાવ્યું હતું કે રાજા રઘુવંશી હત્યા કેસમાં પત્ની સોનમ યુપીના ગાઝીપુરમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી ચૂકી છે. મોડી રાત્રે દરોડામાં ત્રણ અન્ય હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, યુપીમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બે અન્ય આરોપીઓને એસઆઈટીએ ઇન્દોરથી પકડ્યા હતા.