ગુજરાતની 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર: 22 જૂને મતદાન, 25 જૂને મતગણતરી

gramPanchayatElection

ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે, ઈવીએમનો ઉપયોગ થશે નહીં

ગુજરાતની 8326 ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવી છે. આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર દ્વારા રાજ્યમાં 2.5 વર્ષથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યના ચૂંટણી કમિશનર ડો એસ મુરલીકૃષ્ણ ચૂંટણીની જાહેરાત કરતા માહિતી આપી કે આ ચૂંટણી કાર્યક્રમમાં ચૂંટણીનું જાહેરનામું 2જી જૂન 2025ના બહાર પાડવામાં આવશે. જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 9 જૂન 2025 રહેશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરાશે અને 11 જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. 22 જૂન 2025ના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જ્યારે 25 જૂન 2025ના રોજ મત ગણતરી થશે. આજથી આચારસંહિતા અમલમાં આવશે.

મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ 27 મી મે 2025 ના રોજ કરવામાં આવી હતી અને આજે ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે. કુલ 8326 પંચાયતોમાંથી 4688 પંચાયતોની સામાન્ય, મધ્યસત્ર અને વિભાજન ચૂંટણી, જ્યારે 3638 પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે. જેમાં 5115 સરપંચ પદ માટેની ચૂંટણી થશે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 1.30 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

સરપંચ પદનો ઉમેદવાર કેટલો ખર્ચ કરી શકશે? ગુજરાતમાં યોજાઈ રહેલી ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર માટે ચૂંટણીખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમાં 12 વોર્ડની ગ્રામપંચાયત હોય તો 15 હજારની મર્યાદા, 13થી 22 વોર્ડ હોય તો 30 હજાર અને 23 વોર્ડથી વધુ હોય તો 45 હજારની મર્યાદામાં ખર્ચ કરી શકાશે. વોર્ડના સભ્યો માટે ખર્ચની કોઈ જોગવાઈ નથી.

આપને જણાવી દઈએ કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે, ઈવીએમનો ઉપયોગ થશે નહીં. કુલ 44,850 વોર્ડની ચૂંટણી થશે. એના માટે 16,500 મતદાન મથક ઊભાં કરાશે, જેમાં 28,300 મતપેટીનો ઉપયોગ કરાશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ 4 હજાર ગ્રામ પંચાયતમાં 3 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, જેમાં વધુ 1400 પંચાયતોની મુદ્દત 30 જૂને પૂર્ણ થઈ રહી છે.

OBC અનામતના કારણે ચૂંટણીપ્રક્રિયા અટકી હતી ગુજરાતમાં ગ્રામપંચાયતોની ચૂંટણી માટે રોટેશન પ્રક્રિયામાં ઓબીસી માટે અનામત 10 ટકાથી વધારી 27 ટકા કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ હતી. આ માટે રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરીને વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો હતો. આ કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતાં ગ્રામપંચાયતોની ચૂંટણી લંબાઈ હતી, પરંતુ હવે તમામ જિલ્લા કલેક્ટરોને સરપંચ સહિતનાં પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના આપવામાં આવી છે. ગ્રામપંચાયતની ચૂંટણી યોજવા માટે સૂચના અપાયા બાદ 1 એપ્રિલ 2022થી 30 જૂન 2025 સુધીમાં જે ગ્રામપંચાયતોની મુદત પૂર્ણ થતી હોય એની ચૂંટણી યોજાશે.