વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે જે રીતે અમારી સેનાએ પાકિસ્તાનના મુખ્ય એરબેઝ અને ડિફેન્સ સિસ્ટમ પર હુમલો કર્યો, તેણે તેને ઘૂંટણિયે લાવી દીધું. અંતે પાકિસ્તાનના જ સૈન્ય અધિકારીઓએ ભારતના ડીજીએમઓને ફોન કરીને યુદ્ધવિરામની અપીલ કરી હતી. અમારી તરફથી આ રીતે યુદ્ધવિરામનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસો સુધી ચાલેલા સંઘર્ષ પછી થયેલા યુદ્ધવિરામ માટે શું તમે અમેરિકાનો આભાર માનશો? આ પ્રશ્ન પર વિદેશ મંત્રી એસ. જયશંકરે જોરદાર જવાબ આપ્યો. આ પ્રશ્ન તેમને જર્મન અખબાર ફ્રેન્કફર્ટરના એક પત્રકારે પૂછ્યો હતો, જેના જવાબમાં જયશંકરે કહ્યું હતું કે યુદ્ધવિરામનું કારણ અમારી સેના છે.
ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જર્મન અખબાર ફ્રેન્કફર્ટર ઓલ્ગેમીન ઝેઈટંગને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા યુદ્ધવિરામ માટે આભાર ભારતીય સેનાને આપવો જોઈએ, અમેરિકન સરકારને નહીં. ડૉ. જયશંકરે કહ્યું કે આ યુદ્ધવિરામ બંને દેશોના લશ્કરી કમાન્ડરો વચ્ચે સીધા સંપર્ક પછી જ થયો હતો. તેમણે કહ્યું, “યુદ્ધવિરામના એક દિવસ પહેલા, ભારતીય સેનાએ પાકિસ્તાનના મુખ્ય એરબેઝ અને હવાઈ સંરક્ષણ પ્રણાલી પર હુમલો કરી તેને ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું હતું. અંતે, પાકિસ્તાનના પોતાના લશ્કરી અધિકારીઓએ ભારતના ડીજીએમઓને ફોન કરીને યુદ્ધવિરામની અપીલ કરી. અમારા તરફથી આ રીતે યુદ્ધવિરામનો સ્વીકાર કરવામાં આવ્યો. તો હું યુદ્ધવિરામ માટે કોનો આભાર માનું? હું ભારતીય સેનાનો આભાર માનું છું કારણ કે તેમની કાર્યવાહીથી પાકિસ્તાનને કહેવાની ફરજ પડી કે તેઓ યુદ્ધ બંધ કરવા માટે તૈયાર છે.”
તેમણે કહ્યું કે આ રીતે શક્તિ દર્શાવવા બદલ અમે સેનાનો આભાર માનીએ છીએ. વિદેશ મંત્રીએ કહ્યું કે અમારી સેનાએ બતાવ્યું કે ભારત કેવી રીતે જવાબ આપે છે અને અંતે પાકિસ્તાને કહ્યું કે અમે યુદ્ધવિરામ ઇચ્છીએ છીએ. તેમણે કહ્યું, ‘ગોળીબાર બંધ કરવાનો નિર્ણય બંને પક્ષોના લશ્કરી કમાન્ડરો વચ્ચે થયેલ વાતચીત બાદ લેવામાં આવ્યો હતો.’ બંને વચ્ચે સીધી વાતચીત થઈ હતી. તે પહેલાં અમે સવારે ખૂબ જ અસરકારક રીતે જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના મુખ્ય એરબેઝ અને સંરક્ષણ પ્રણાલીઓને મોટું નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં, યુદ્ધ રોકવા બદલ આપણે કોનો આભાર માનવો જોઈએ? અમે ભારતીય સેનાનો આભાર માનીએ છીએ, જેમની કાર્યવાહીને કારણે પાકિસ્તાને કહ્યું – અમે સિજફાયર માટે તૈયાર છીએ.
તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 મેના રોજ યુદ્ધવિરામ થયો હતો. સરકારના જણાવ્યા અનુસાર, ભારતના ડીજીએમઓએ તેમના પાકિસ્તાની સમકક્ષો સાથે હોટલાઇન પર વાત કરી હતી અને યુદ્ધવિરામની માંગણી કરી હતી. આ પછી નિર્ણય લેવામાં આવ્યો. જોકે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર યુદ્ધ બંધ કરવાનો દાવો કરતી પોસ્ટ કરી હતી. આ પછી, પ્રશ્ન ઉભો થવા લાગ્યો કે શું અમેરિકાએ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાવ્યો છે. પાકિસ્તાન આનો શ્રેય અમેરિકાને આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, ભારતનું કહેવું છે કે ભારતીય સેનાની કાર્યવાહીને લીધે પાકિસ્તાનની વિનંતીને કારણે અમે યુદ્ધવિરામનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ઓપરેશન સિંદૂર દ્વારા પણ પાકિસ્તાનને પાઠ ભણાવવામાં આવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર અને પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ માટે અમેરિકાને શ્રેય આપવામાં આવ્યો હતો, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકાની ભૂમિકા ચિંતા વ્યક્ત કરવા પૂરતી મર્યાદિત છે. ડૉ. જયશંકરે કહ્યું કે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે સંપર્ક કર્યો હતો, પરંતુ તેમની ભૂમિકા ફક્ત વાટાઘાટો પૂરતી મર્યાદિત હતી. ભારતે સ્પષ્ટ કરી દીધું હતું કે જો પાકિસ્તાન લડાઈ બંધ કરવા માંગે છે, તો તેના સેનાપતિએ ભારતીય જનરલ સાથે સીધી વાત કરવી પડશે. અને આવુ જ બન્યું.
જયશંકરને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો: શું ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થઈ શક્યું હોત? આ અંગે જયશંકરે કહ્યું કે અમે આ પ્રશ્નથી કંટાળી ગયા છીએ. અમે આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. એવું કોઈ પગલું લેવામાં આવ્યું ન હતું જેનાથી સામાન્ય લોકો ભોગ બને. છતાં જ્યારે પાકિસ્તાની સેનાએ અમારા પર ગોળીબાર કર્યો, ત્યારે અમે જવાબ આપ્યો. પછી અમે તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલીને નુકસાન પહોંચાડ્યું અને પછી યુદ્ધવિરામ થયો. તે ક્યારેય પરમાણુ સ્તર સુધી વધ્યું નહીં.” તેમણે કહ્યું કે એક ગેરસમજ છે કે આપણા ક્ષેત્રમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે પરમાણુ ખતરાને સીધું વધારે છે. આ વિચાર આતંકવાદને પ્રોત્સાહન આપે છે.