કર્નલ સોફિયા કુરેશી અંગે વિવાદિત ટિપ્પણી પર વિજય શાહની માફીને સુપ્રિમ કોર્ટે નામંજુર કરી, SIT તપાસનો આદેશ

sofiaAnsari-vijayshah

મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ મુશ્કેલીમાં મુકાયા છે. સુપ્રીમ કોર્ટે ડીજીપીને ત્રણ વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓની એસઆઈટી બનાવવાનો નિર્દેશ આપ્યો છે.

કર્નલ સોફિયા પર વિવાદાસ્પદ નિવેદન આપનાર મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહને કર્નલ સોફિયા કુરેશી પરની ટિપ્પણી બદલ ફટકાર લગાવી અને કહ્યું કે તેમણે અભદ્ર ટિપ્પણી કરતા પહેલા વિચાર કરવો જોઈએ.

કોર્ટે આ મામલાની તપાસ માટે ત્રણ વરિષ્ઠ IPS અધિકારીઓની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ મામલો ગંભીર છે અને તેને કોઈ રાજકીય રંગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સૂર્યકાંતની બે સભ્યોની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. વિજય શાહ વતી વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહ કોર્ટમાં હાજર રહ્યા. આ કેસની સુનાવણી કરતી વખતે, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ એસવીએન ભટની બેન્ચે રાજ્ય સરકારને કડક શબ્દોમાં કહ્યું કે અમે આ કેસને ખૂબ જ નજીકથી જોઈ રહ્યા છીએ અને આ સરકાર માટે એક કસોટી છે. કોર્ટે કહ્યું કે મંત્રીને તેમના નિવેદનના પરિણામો ભોગવવા પડશે અને કાયદાને તેનું કામ કરવા દેવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે વિજય શાહ વિરુદ્ધ નોંધાયેલી FIRની તપાસ માટે SIT ની રચના કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે રચવામાં આવનારી SITમાં મધ્યપ્રદેશ કેડરના ત્રણ વરિષ્ઠ IPS અધિકારીઓનો સમાવેશ થવો જોઈએ, પરંતુ તેઓ રાજ્યના ન હોવા જોઈએ. આ અધિકારીઓમાંથી એક મહિલા હોવી જોઈએ. આ ટીમનું નેતૃત્વ આઈજી રેન્કના અધિકારી કરશે જ્યારે અન્ય બે અધિકારીઓ એસપી રેન્ક કે તેનાથી ઉપરના હશે. કોર્ટે મધ્યપ્રદેશના ડીજીપીને મંગળવારે 10 વાગ્યા સુધીમાં એક ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. પહેલો સ્ટેટસ રિપોર્ટ 28 મેના રોજ સબમિટ કરવાનો રહેશે. વિજય શાહની ધરપકડ પર હાલ રોક રહેશે.

સુપ્રીમ કોર્ટે વિજય શાહના વકીલને પૂછ્યું કે હાઇકોર્ટે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. ત્યાર પછી આ મામલે શું થયું? શું કોઈ તપાસ થઈ છે? તેમણે એમ પણ પૂછ્યું કે તમે કઈ માફી માંગી છે? આ અંગે વિજય શાહના વકીલે કહ્યું કે તેમણે માફી માંગી લીધી છે.

આ પછી સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે તમે કેવા પ્રકારની માફી માંગી છે. ઘણી વખત લોકો પરિણામોથી બચવા માટે દિલગીર હોવાનો ડોળ કરે છે. અમે જાણવા માંગીએ છીએ કે તમે કેવા પ્રકારની માફી માંગી છે. કોર્ટે વિજય શાહના વકીલને પૂછ્યું, “તમે કહ્યું કે તેમણે (વિજય શાહે) માફી માંગી છે, તો તે માફી ક્યાં છે, તે વીડિયો ક્યાં છે?” કોર્ટે વધુમાં કહ્યું કે કેટલાક લોકો ઈશારા દ્વારા પણ માફી માંગે છે. કેટલાકે મગરના આંસુ વહાવે છે. આમાથી તમે કેવી માફી માગી.

બેન્ચે કહ્યું કે અમારે આવી માફી નથી જોતી. તમે પહેલા ભૂલ કરો છો, પછી તમે કોર્ટમાં આવો છો. તમે એક જવાબદાર રાજકારણી છો. તમારે સમજી વિચારીને બોલવું જોઈએ, પણ તમે ખૂબ જ ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો છે. આ અંગે વિજય શાહના વકીલ મનિન્દર સિંહે કહ્યું કે તેમણે માફી માંગી છે અને માફી માંગતો વીડિયો પણ જાહેર કર્યો છે.

આના પર કોર્ટે કહ્યું, ‘તે માફી માંગવાની રીત પર આધાર રાખે છે.’ તમારી ભાષા અને શૈલી પરથી એવું લાગતું નથી કે તમે શરમ અનુભવો છો. તમે કહી રહ્યા છો કે જો કોઈને દુઃખ થયું હોય તો માફ કરશો. અમે તમારી માફીની અરજી નકારીએ છીએ. તમે માફી માંગી છે કારણ કે કોર્ટે આમ કહ્યું છે. તમે 12 માર્ચે આ નિવેદન આપ્યું હતું, તમે જાણતા હતા કે જ્યારે જનતાની લાગણીઓ સેના અને દેશની બહાદુરી સાથે હતી, ત્યારે તમે જાહેરમાં આવી સસ્તી ભાષા અપનાવી હતી.

સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે આ મુદ્દાને વધુ પડતો ઉછાળો આપીને રાજકીય રંગ આપવામાં આવશે નહીં અને સત્ય બહાર લાવવા માટે નિષ્પક્ષ તપાસ જરૂરી છે. આ મામલે રાજ્ય સરકારને નોટિસ જારી કરીને કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે હવે જાહેર જીવનમાં જવાબદારી સુનિશ્ચિત કરવાનો સમય આવી ગયો છે.

કોર્ટે વધુમાં કહ્યું કે, આ એક એવો દેશ છે જે કાયદાના શાસનમાં વિશ્વાસ રાખે છે. ભલે તે નાનો હોય કે મોટો. ન્યાયાધીશો કોઈની સામે પૂર્વગ્રહ રાખતા નથી. આ કોર્ટના આદેશથી કોઈને નુકસાન થશે નહીં.

આખો દેશ તમારાથી શરમ અનુભવે છે. તમે તમારી જાતને કેવી રીતે સુધારશો તે તમારા પર નિર્ભર છે. અમે કોઈ સૂચના આપી નથી. હાઈકોર્ટે તમને દોષિત ઠેરવ્યા છે તે કહેવું યોગ્ય નથી.