ટીમ ઈન્ડિયા સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. રોહિત શર્માની નિવૃતિના થોડા દિવસો પછી રેડ બોલ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. હવે એક એવો સમય આવી ગયો છે કે, જ્યારે T20 અને ટેસ્ટ, હાલમાં બંન્ને ફોર્મેટમાં રોહિત અને વિરાટની જોડી જોવા નહીં મળે.
વિરાટ કોહલીએ 10 મેના રોજ BCCIને કહ્યું હતું કે હું ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા માગું છું. BCCIએ કોહલીને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું.
વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે, ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વાર બેગી બ્લુ જર્સી પહેર્યાને 14 વર્ષ થઈ ગયા છે. પ્રામાણિકપણે, મેં ક્યારેય કલ્પના કરી નહોતી કે આ ફોર્મેટ મને આટલી સફર પર લઈ જશે. મારી કસોટી કરી છે, મને આકાર આપ્યો છે અને મને એવા પાઠ શીખવ્યા છે જે હું જીવનભર યાદ રાખીશ. વ્હાઇટ જર્સીમાં રમવું એ મારા માટે ખૂબ જ ખાસ અને વ્યક્તિગત અનુભવ છે. મહેનત, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી, પણ એ હંમેશાં તમારી સાથે રહે છે.
વિરાટ કોહલીએ વધુમાં લખ્યું કે, જેમ જેમ હું આ ફોર્મેટ છોડી રહ્યો છું, તે સરળ નથી – પરંતુ તે યોગ્ય લાગે છે. મેં તેને મારી પાસે જે હતું તે બધું આપ્યું છે, અને તેણે મને આશા કરતાં ઘણું વધારે પાછું આપ્યું છે. હું કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે વિદાય લઈ રહ્યો છું – હું રમત માટે, મેદાન પરના લોકો માટે અને આ સફરમાં મને સપોર્ટ આપનારા દરેકનો આભારી છું. હું હંમેશા મારી ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ. #269, સાઇન ઓફ.
સિંહ જેવો ઝનૂની માણસ..તને મિસ કરીશઃ ગોંતમ ગંભીર
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે X પર પોસ્ટ કરીને વિરાટને ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લેવા પર ઇમોશનલ પોસ્ટ કરી. તેણે લખ્યું કે ‘સિંહ જેવો ઝનૂની માણસ..તને મિસ કરીશ ચીક્સ’. ભારતીય ડ્રેસિંગ રૂમમાં વિરાટનું હુલામણું નામ ચીકુ છે.
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સે કહ્યું- સાચો લિજેન્ડ:
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સે નિવૃત્તિ પર વિરાટ કોહલીને એક સાચો લિજેન્ડ ગણાવ્યો. એબીડીએ કહ્યું કે કોહલીની કુશળતા હંમેશા પ્રેરણાદાયક રહી છે. તે કોહલીને પ્રેમથી biscotti કહેતો. આ ઇટાલિયન શબ્દનો અર્થ બિસ્કીટ થાય છે.
ટેસ્ટમાં ભારતના સૌથી સફળ કેપ્ટન
વિરાટ કોહલીએ સૌરવ ગાંગુલી, મોહમ્મદ અજહરુદ્દીન અને એમએસ ધોની જેવા દિગ્ગજ કેપ્ટનોને પરાસ્ત કર્યા છે. વિરાટ કોહલીએ ટેસ્ટમાં ભારતના સૌથી સફળ કેપ્ટન રહ્યા છે. તેમના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 68 ટેસ્ટ મેચોમાં 40 પર જીત મેળવી હતી. તેમના નેતૃત્વમાં ભારતની જીત 58.82 ટકા કહેવામાં આવી રહી છે. 10 થી વધુ ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરનાર ખેલાડીઓમાં વિરાટની જીત સૌથી વધુ છે.
કોહલીનું ટેસ્ટ કરિયર
વિરાટ કોહલીએ તેના કરિયરમાં 123 ટેસ્ટ મેચ મેચમાં 46.85ની એવરેજથી સરેરાશથી 9230 રન બનાવ્યા છે. કોહલીએ ટેસ્ટમાં 30 સેન્ચુરી અને 31 અડધી સદી ફટકારી હતી. તેને 2017 અને 2018માં ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કર્યો હતો. કોહલીએ પોતાની કેપ્ટનશિપ હેઠળ રેકોર્ડ 7 બેવડી સદી ફટકારી હતી. સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સહેવાગ બંન્નેએ ટેસ્ટમાં 6-6 બેવડી સદી ફટકારી છે.