ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં 100થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આમાં માર્યા ગયેલા આતંકવાદીઓની વિગતો ત્રણ દિવસ પછી જાહેર થઈ છે. ન્યૂઝ એજન્સી ANIએ શનિવારે ગુપ્તચર એજન્સીઓને ટાંકીને 5 આતંકવાદીઓની યાદી જાહેર કરી છે. જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો ભાઈ અબ્દુલ રઉફ અઝહર ઉપરાંત લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર અબુ જુંદાલ અને જૈશના ભંડોળ એકત્ર કરનાર હાફિઝ મોહમ્મદનાં નામ પણ આમાં સામેલ છે.
ગુપ્તચર એજન્સીઓનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય હુમલામાં માર્યા ગયેલા પાંચ આતંકવાદીનાં નામ મુદસ્સર ખાદિયન ખાસ, હાફિઝ મુહમ્મદ જમીલ, મોહમ્મદ યુસુફ અઝહર, ખાલિદ (અબુ અકાશા) અને મોહમ્મદ હસન ખાન છે. યુસુફ કંધાર હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ હતો અને જુંદાલ મુંબઈ હુમલામાં સામેલ હતો.
- મુદસ્સર ખાડિયાન ઉર્ફે અબુ જુંદાલઃ લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી. તે મુરીદકેમાં સ્થિત લશ્કર-એ-તૈયબાના મુખ્ય મથક મરકઝ તૈયબાનો વડા હતો. તે 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ આતંકવાદી હુમલામાં સામેલ હતો. તેના અંતિમસંસ્કારમાં પાકિસ્તાન સેનાએ તેને ગાર્ડ ઓફ ઓનર આપ્યું. તેની અંતિમયાત્રા એક સરકારી શાળામાં અદા કરવામાં આવી હતી, જેની આગેવાની JUI (એક વૈશ્વિક આતંકવાદી સંગઠન)ના હાફિઝ અબ્દુલ રઉફે કરી હતી. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે તેને દફનાવ્યા અને તેના માટે ફાતિહા પઠન કરી. પાકિસ્તાન આર્મીના એક સેવારત લેફ્ટનન્ટ જનરલ અને પંજાબ પોલીસના આઈજીએ અબુ જુંદાલની નમાઝ-એ-જનાઝામાં હાજરી આપી હતી.
- હાફિઝ મુહમ્મદ જમીલ: જૈશ-એ-મોહમ્મદનો એક મોટો આતંકવાદી. મૌલાના મસૂદ અઝહરનો સૌથી મોટો સાળો. બહાવલપુરમાં જૈશના મુખ્યાલય મરકઝ સુભાન અલ્લાહનો ઈન્ચાર્જ હતો. યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને ફંડ પૂરું પાડવામાં સક્રિય હતો.
- મોહમ્મદ યુસુફ અઝહર ઉર્ફે ઉસ્તાદજી, મોહમ્મદ સલીમ, ઘોસી સાહબ: તે જૈશ-એ-મોહમ્મદનો મુખ્ય કમાન્ડર અને મસૂદ અઝહરનો સાળો હતો. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં શસ્ત્ર તાલીમનો પ્રભારી હતો. તે આતંકવાદીઓને આપવામાં આવતી શસ્ત્ર તાલીમની દેખરેખ રાખતો હતો. તે જમ્મુ અને કાશ્મીરમાં અનેક આતંકવાદી હુમલાઓમાં સામેલ હતો અને IC-814 વિમાન હાઇજેકિંગ એટલે કે કંધાર હાઇજેકિંગનું કાવતરું ઘડનારાઓમાં તેનો સમાવેશ થતો હતો.
- ખાલિદ ઉર્ફે અબુ અકાશા: લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી. અફઘાનિસ્તાનથી હથિયારોની દાણચોરીમાં સામેલ હતો. જમ્મુ અને કાશ્મીરમાં ઘણા આતંકવાદી હુમલાઓમાં સામેલ. તેને ફૈસલાબાદના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો હતો. પાકિસ્તાન સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને ફૈસલાબાદના ડેપ્યુટી કમિશનરે અબુ અકાશાની નમાઝ-એ-જનાઝામાં હાજરી આપી હતી.
- મોહમ્મદ હસન ખાન: જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી. પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના ઓપરેશનલ કમાન્ડર મુફ્તી અસગર ખાન કાશ્મીરીનો પુત્ર હતો. જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓનું આયોજન કરવામાં મોહમ્મદ હસનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી.
22 એપ્રિલે પહેલગામ હુમલા બાદ ભારતે 9 આતંકવાદી ઠેકાણાઓને મિસાઇલોથી નિશાન બનાવ્યા હતા.