ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતાં તણાવને જોતા રાજ્યના સરહદી વિસ્તારના 18 જિલ્લાઓ હાઈએલર્ટ પર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિભાગોના સચિવો અને સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તમામ સરકારી કર્મચારીઓની રજા તાત્કાલિક અસરથી રદ્દ કરી દેવામાં આવી છે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્ણય મુજબ, પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.
આટલું જ નહીં, રજા પર ગયેલા આવા અધિકારી-કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ પર હાજર કરવાની સૂચનાઓ પણ સંબંધિત વિભાગ કે ખાતાના વડાને અપાઈ છે. તેમજ અધિકારી- કર્મચારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિભાગના વડા, ખાતાના વડા કે કચેરીના વડાની પૂર્વ મંજૂરી મેળવ્યા વગર મુખ્ય મથક(હેડ ક્વાર્ટર) નહીં છોડવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.
તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે અમદાવાદથી સરહદીય જિલ્લાઓમાં જતી પાંચ ટ્રેનો રદ્દ કરાઈ
પશ્ચિમ રેલવેએ અમદાવાદ ડિવિઝનથી દોડતી કેટલીક ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
1. તા. 10 મે 2025ની ટ્રેન નં. 09446/09445 ભુજ-રાજકોટ-ભુજ સ્પેશિયલ
2. તા. 9 મે 2025ની ટ્રેન નં. 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ
૩. તા. 10 મે 2025ની ટ્રેન નં. 94802 ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ
૪. તા. 9 મે 2025ની ટ્રેન નં. 22483 જોધપુર-ગાંધીધામ એક્સપ્રેસ
૫. તા. 10 મે 2025ની ટ્રેન નં. 22484 ગાંધીધામ-જોધપુર એક્સપ્રેસ
ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.