સોશિયલ મીડિયોમાં અફવા અને સેનાનું મનોબળ તૂટે એવી પોસ્ટ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવા ગૃહમંત્રીનો જિલ્લા પોલીસવડાઓને આદેશ
ભારત પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને લઈને ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારતના સરહદી જિલ્લાઓમાં પાકિસ્તાન હુમલો કરે તેવી આશંકાને લઈને ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર ખાતે મહત્ત્વની બેઠક મળી હતી. બેઠકમાં તકેદારીના ભાગરૂપે કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં આગામી 15મી મે સુધી લગ્ન સહિતના પ્રસંગોમાં ફટાકડા ફોડવા તેમજ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આગામી 15 મે સુધી લગ્નપ્રસંગે અથવા કોઇ પણ કાર્યક્રમમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કરી લોકોને સહકાર આપવા માટે અપીલ કરી છે. જો કોઈ નિયમ તોડશે તો તેના સામે કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્ય ગૃહ વિભાગની સૂચના અનુસાર, 15 મે સુધી રાજ્યના કોઈપણ ભાગમાં જાહેરસ્થળો પર કોઈપણ પ્રકારના ડ્રોન ઉડાડવા કે ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં નહીં આવે. આવો નિર્ણય કોઈ ખાસ સમારોહ કે સામૂહિક કાર્યક્રમ હોય તો પણ લાગૂ રહેશે. આ પ્રતિબંધનો ઉદ્દેશ જનતાની સલામતી અને શાંતિ જાળવવો છે. સરકારે નાગરિકોને સહકાર આપવા તથા તમામ માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ પણ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેલિફોનિક વાત કરી મુખ્યમંત્રી પાસેથી ગુજરાતની સુરક્ષા અંગેની માહિતી મેળવી હતી. સુરક્ષા કારણોસર ભૂજ એરપોર્ટ સેનાના હવાલે કરી દેવામાં આવ્યું છે. તેમજ ભૂજમાં 30 જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ભુજમાં વધારાની 30 એમ્બ્યુલન્સની ફાળવણી કરાઈ છે. આ સાથે જ સરહદી ગામોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સુરક્ષા કારણોસર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામો પણ વધારાનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તેમજ અનેક શહેરોની સરકારી હોસ્પિટલોમાં બેડ અને વધારાના મેડિકલ સ્ટાફની તૈનાતી કરી દેવામાં આવી છે.
જો ઇમર્જન્સીની સ્થિતિ થાય તો એને પહોંચી વળવા રાજ્યના આરોગ્ય વિભાગ હસ્તકની આરોગ્યલક્ષી સેવાઓ સાથે સંકળાયેલા તમામ તબીબો, પેરામેડિકલ તથા અન્ય અધિકારી-કર્મચારીઓની માંદગી સિવાયની તમામ પ્રકારની રજાઓ રદ કરવામાં આવી છે. તેમની ફરજ પર તાત્કાલિક હાજર થવા આપ્યો છે. આ ઉપરાંત હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે. આ સાથે આરોગ્ય વિભાગ દવાઓનો પૂરતો સ્ટોક, ડોક્ટરોની ટીમો, લાઈટ કટ થાય તો જનરેટરોની વ્યવસ્થા કરવા સહિતની સૂચનાઓ આપી દેવામાં આવી છે.
ગુજરાત પોલીસ પણ રાજ્યમાં અરાજક્તા અને ભય ના ફેલાય તે માટે સાવચેતીવા પગલા લઈ રહી છે. સોશિયલ મીડિયોમાં અફવા અને સેનાનું મનોબળ તૂટે એવી પોસ્ટ કરનારા ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આવા લોકો સામે કડક કાર્યવાહી કરવા ગૃહમંત્રીએ જિલ્લા પોલીસવડાઓને આદેશ આપ્યો છે. વધુમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, આ પ્રકારની કોઈ પણ હરકત ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં.
તમામ સરકારી અધિકારી અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક રદ કરાઈ
ભારત-પાક વચ્ચેની તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના તમામ વિભાગો અને કચેરીઓ તેમજ બોર્ડ, કોર્પોરેશન, પંચાયત, મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વાયત્ત અને ગ્રાન્ટ-ઇન-એઇડ સંસ્થાઓના અધિકારીઓ અને કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ તાત્કાલિક રદ કરવામાં આવી છે.