બાંગ્લાદેશનાં હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને ત્યાંની હાઇકોર્ટે આજે (30 એપ્રિલ) જામીન આપ્યા છે. દેશદ્રોહના કેસમાં તેઓ છેલ્લા પાંચ મહિનાથી જેલમાં બંધ હતા. ચિન્મયના વકીલ અપૂર્વ કુમાર ભટ્ટાચાર્યએ 23 એપ્રિલે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી.
ચિન્મય કૃષ્ણ દાસના વકીલ અપૂર્વ કુમાર ભટ્ટાચાર્ય કહે છે, “…7 મહિના પછી, કોર્ટને કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી અને આજે અમે તેમના પક્ષમાં તમામ પ્રકારના દસ્તાવેજો રજૂ કર્યા અને કોર્ટે તેમને જામીન આપ્યા. અમને આશા છે કે તેઓ એક અઠવાડિયામાં મુક્ત થઈ જશે… આવી કોઈ જોગવાઈ નથી, પરંતુ મને લાગે છે કે સરકાર સ્ટે માટે પ્રયાસ કરશે, અને તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે…”
ચિન્મય કૃષ્ણ દાસ દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ ન્યાયાધીશ મોહમ્મદ ઉતાઉર રહમાન અને ન્યાયાધીશ મોહમ્મદ અલી રજાની બેંચે અરજી પર સુનાવણી હાથ ધરી આ આદેશ પસાર કર્યો છે. જો બાંગ્લાદેશી સુપ્રીમ કોર્ટ આ નિર્ણય પર રોક નહીં લગાવે તો ચિન્મય દાસને મુક્ત કરવામાં આવશે.
જોકે સંભાવના એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચિન્મય દાસને હજુ પણ જેલમાં જ રહેવુ પડશે, કારણ કે સુપ્રીમ કોર્ટ જામીનના આદેશ પર રોક લગાવી શકે છે. આ પહેલા 2 જાન્યુઆરીના રોજ, ચટગાંવની નીચલી કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી.
ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કેમ કરવામાં આવી હતી?
ચિન્મય દાસ પર બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ છે. આ કેસમાં, રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો અને 25 નવેમ્બર 2024ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
બાંગ્લાદેશના ચટગાંવમાં ઑક્ટોબર-2024માં ‘સનામત જાગરણ મંચ’ નામથી રેલી યોજાઈ હતી, જેમાં ચિન્મય દાસે સંબોધન કર્યું હતું. તે જ દિવસે ન્યુ માર્કેટ વિસ્તારમાં ભગવો ધ્વજ લહેરાયો અને તેમાં લખ્યું હતું કે, આમી સનાતની.
રેલી પછી, 31 ઓક્ટોબરના રોજ, બેગમ ખાલિદા ઝિયાના BNP પક્ષના નેતા ફિરોઝ ખાને ચિન્મય કૃષ્ણ દાસ સહિત 19 લોકો સામે ચટગાંવમાં રાજદ્રોહનો કેસ દાખલ કર્યો. તેમના પર રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, આ ધ્વજની ઘટનાના કારણે બાંગ્લાદેશના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન થયું છે. ત્યારબાદ ચિન્મય દાસ સહિત 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ચિન્મય કૃષ્ણ દાસ કોણ છે?
ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીનું સાચું નામ ચંદન કુમાર ધર છે. ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચના પ્રમુખ નેતા અને ઈસ્કોન ચટગાંવના પુંડરીક ધામના અધ્યક્ષ છે. તેમને લોકો ચિન્મય પ્રભુ નામથી પણ ઓળખે છે. બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારો વિરુદ્ધ તેઓ સશક્ત અવાજ ઉઠાવતા રહ્યા છે.