અમદાવાદનાં ચંડોળા તળાવ પર મેગા ડિમોલિશનની કાર્યવાહી, ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયા, હાઈકોર્ટે સ્ટેની અરજી ફગાવી

megaDemolition

અમદાવાદનાં ચંડોળા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ બુલડોઝર એક્શન શરુ કરવામાં આવ્યુ છે. બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં બનેલા ગેરકાયદેસર ઝૂંપડાઓ અને વૈભવી ફાર્મ હાઉસ આજે તોડી પાડ્યા છે. હજુ પણ ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી ચાલુ છે. આ કાર્યવાહી પર સ્ટે મૂકવા સ્થાનિક લોકોએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો, જેના પર હાઈકોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને અરજી ફગાવી દીધી હતી.

સોમવાર રાત્રિથી જ ચંડોળા તળાવ પાસે મોટી સંખ્યામાં બુલડોઝર અને ટ્રકો ગોઠવી દેવામાં આવ્યા હતા. અંદાજે 40થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પર દ્વારા આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. વહેલી સવારે શરૂ કરાયેલી કાર્યવાહી દરમિયાન વહીવટીતંત્ર દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, SRP તથા SOGની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ બે હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે.

ચંડોળામાં અત્યાર સુધી 500 જેટલા મકાનો અને ઝૂપડાં ધ્વસ્ત કરાયા છે. લલ્લા બિહારીએ તળાવ પર ગેરકાયદેસર રીતે એક વૈભવી ફાર્મહાઉસ બનાવ્યું હતું, જ્યાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને આશ્રય આપવામાં આવતો હતો. લલ્લા બિહારીએ પચાવી પાડેલી 2 હજાર વાર જગ્યા ખુલ્લી કરીને તેના ગેરકાયદે ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું છે. લલ્લા બિહારી ગેરકાયદે ફાઇનાન્સનો ધંધો કરતો હતો.

લલ્લા બિહાર પશ્વિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો હતો. તે વ્યક્તિ દીઠ 10થી 15 હજાર રૂપિયા લેતો હતો અને જગ્યા ભાડે આપતો હતો. તેનાં પર ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીઓને ખોટા દસ્તાવેજ બનાવી આપતો હોવાના આરોપ છે. તે નકલી ભાડા કરાર બનાવતો હતો જેથી આધાર કાર્ડ બનાવી શકાય. ત્રણ દિવસ પહેલા, અહીંથી 1,000 થી વધુ શંકાસ્પદ ગેરકાયદેસર ઘુસણખોરો પકડાયા હતા. કેટલાક લોકોએ ગેરકાયદેસર રીતે પાસપોર્ટ પણ મેળવ્યા હોવાનું તપાસમાં જાણવા મળ્યુ હતુ. પોલીસે લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરી તેમને ક્રાઇમ બ્રાન્ચ લઇ જવામાં આવ્યા છે.

જોઈન્ટ સીપી (ક્રાઈમ) શરદ સિંઘલે જણાવ્યું હતું કે, “સિયાસતનગર એક બંગાળ વસાહત છે જ્યાં મોટાભાગના બાંગ્લાદેશીઓ રહે છે. એએમસીએ એક સર્વે હાથ ધર્યો અને જાણવા મળ્યું કે ત્યાં ગેરકાયદેસર બાંધકામ હતું. ડિમોલિશન ઝુંબેશ ચાલી રહી છે. અહીં કુલ 40 જેસીબી કામ કરી રહ્યા છે અને લગભગ 2,000 પોલીસકર્મીઓ તૈનાત છે.

અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે જણાવ્યું હતું કે, ‘બંગાળ વાસ એક એવો વિસ્તાર છે જ્યાં ઘણા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ રહે છે.’ તેમની સામે કાર્યવાહી પહેલાથી જ કરવામાં આવી છે. અગાઉ પણ તોડફોડની ઘટનાઓ બની છે. ત્રણ દિવસ પહેલા, પોલીસે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં 180 થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઓળખવામાં આવ્યા હતા અને આ પ્રક્રિયા ચાલુ છે. પોલીસે અહીં લગભગ 2000 પોલીસ ફોર્સ તૈનાત કરી છે. અમે અમદાવાદના સમગ્ર પોલીસ દળને સ્ટેન્ડબાય પર રાખ્યું છે. જો ક્યાંય પણ કોઈ ઘટના બનશે તો પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી કરશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કાર્યવાહી સામે સ્થાનિક લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહીને પડકારતા તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. જોકે, હાઈકોર્ટે સ્થાનિક લોકોને કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને મહાનગરપાલિકાની કાર્યવાહી પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો અને અરજી ફગાવી દીધી હતી.

ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદના ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાંથી કુલ 800થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. ફરી એકવાર પોલીસ દ્વારા કાર્યવાહી વધુ ઝડપી કરતાં ચંડોળા તળાવ આસપાસના વીજ કનેક્શન કાપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

વર્ષ 2009 માં પણ અહીં કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ પછી ધીમે ધીમે આ લોકોએ તળાવ પર માટી નાખીને પોતાના ઘરો બનાવ્યા. તાજેતરમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક સર્વે હાથ ધર્યો હતો, જેના પછી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.