સમુદ્રથી આકાશ સુધી પાકિસ્તાન પર પ્રતિબંધ! પાકિસ્તાની વિમાનોને નો-ફ્લાય ઝોનમાં મૂકવા અને સમુદ્રી જહાજોને પણ રોકવાની તૈયારી

indiaBanPakistan

પાકિસ્તાનને સમુદ્રથી આકાશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે, પાકિસ્તાની વિમાનોને નો-ફ્લાય ઝોનમાં મૂકવામાં આવશે, દરિયાઈ જહાજોને પણ રોકવાની તૈયારીઓ ચાલી રહી છે.

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ ચરમસીમાએ છે. ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ પોતાનું વલણ ઘણું આક્રમક બનાવ્યું છે. ભારતે સિંધુ જળ સંધિનો ભંગ કરીને પાકિસ્તાનનું પાણી રોકવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હવે ભારત પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહ્યું છે. ભારત સરકાર પાકિસ્તાની એરલાઇન્સ માટે પોતાનું એરસ્પેસ બંધ કરવાનું વિચારી રહી છે.

સૂત્રોનું કહેવું છે કે ભારત સરકાર પાકિસ્તાની એરલાઇન્સને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ ન આપવાનું વિચારી રહી છે. જો ભારત તેના હવાઈ ક્ષેત્ર અને દરિયાઈ માર્ગો બંધ કરે છે, તો પાકિસ્તાની એરલાઇન્સને દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો સુધી પહોંચવા માટે ચીન અને શ્રીલંકા થઈને જવું પડશે. જે ઘણુ લાંબુ પડશે. આનાથી ફક્ત મુસાફરીનો સમય જ નહીં વધે પણ એરલાઇન ખર્ચ અને ટિકિટ ભાડામાં પણ નોંધપાત્ર વધારો થશે. આની સીધી અસર સામાન્ય લોકો પર પડશે અને મોંઘવારી વધુ વધશે.

ભારત સરકાર પણ પાકિસ્તાનને તેના બંદરોથી દૂર રાખવાની તૈયારી કરી રહી છે. ભારતીય બંદરો પર પાકિસ્તાની જહાજોના ડોકીંગ પર પણ પ્રતિબંધ મુકવા માટે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જો દરિયાઈ માર્ગ બંધ થઈ જશે, તો પાકિસ્તાન માટે જરૂરી ચીજવસ્તુઓનો વેપાર અને આયાત કરવી અત્યંત મુશ્કેલ બની જશે. આનાથી ત્યાં પહેલાથી જ ક્ષીણ થઈ રહેલી અર્થવ્યવસ્થા વધુ બગડી શકે છે.

22 એપ્રિલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) એ તાત્કાલિક અસરથી સિંધુ જળ સંમજુતીને સ્થગિત કરી દીધી હતી. અને જણાવ્યું હતું કે આ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે. આ પહેલી વાર છે જ્યારે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ આટલી મોટી અને કડક કાર્યવાહી કરી છે. અગાઉ આ સંધિ ક્યારેય સ્થગિત કરવામાં આવી નથી.

ભારતના આ મોટા પગલાંની પાકિસ્તાનના સામાન્ય લોકો પર ભારે અસર પડશે. ફુગાવો ચરમસીમાએ પહોંચશે, ગરીબી અને બેરોજગારી વધશે. આના કારણે પાકિસ્તાન સરકાર પર જાહેર દબાણ પણ વધી શકે છે. એકંદરે, ભારતનું આ વ્યૂહાત્મક પગલું પાકિસ્તાન માટે કમર તોડનાર સાબિત થઈ શકે છે.

નોંધનીય છે કે યુરોપિયન એર સેફ્ટી એજન્સી (EASA) એ પણ સુરક્ષા કારણોસર 30 જૂન, 2020 ના રોજ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) ને યુરોપમાં ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, લગભગ 4 મહિના પછી 29 નવેમ્બર 2024 ના રોજ આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. આ પહેલા પણ આંતરરાષ્ટ્રીય દબાણને કારણે પાકિસ્તાનને ખરાબ રીતે નુકસાન થયું છે.