ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટોરેન્ટ પાવરની ટીમ વીજ જોડાણ કાપવા માટે ઘટનાસ્થળે પહોંચી
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં ભારત છોડી દેવાનો આદેશ કર્યો હતો. ગુજરાત પોલીસ દ્વારા શનિવારે અમદાવાદનાં ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાંથી કુલ 890 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આજે વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદનાં ચંડોળા તળાવની આસપાસ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓના ઘરના ગેરકાયદે વીજ કનેક્શન કટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ટોરેન્ટ પાવરની ટીમ વીજ જોડાણ કાપવા માટે ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. ટોરેન્ટ પાવર દ્વારા આ કામગીરી કરવા માટે 5 જેટલી ટીમ બનાવવામાં આવી છે.
બાંગ્લાદેશી ઘૂસણખોરોને વીણી વીણીને દેશનિકાલ કરવા ગુજરાત પોલીસે ઓપેરેશન હાથ ધર્યુ છે. 25 એપ્રિલથી અમદાવાદ પોલીસની વિવિધ ટીમો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આજે સવાર સુધીમાં ચંડોળા તળાવની આસપાસના વિસ્તારમાંથી 890 જેટલા ગેરકાયદે રીતે રહેતા લોકોની અટકાયત કરાઈ હતી. હાલમાં 143 બાંગ્લાદેશીની ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.
અમદાવાદમાં ચંડોળા તળાવ, શાહ આલમ, સિયાસતનગર, નવાબનગર ઉપરાંત ફુલગીરીના છાપરા પરપ્રાંતિયોનું એપી સેન્ટર રહ્યુ છે. રોજી રોજગાર મેળવવા આવેલાં પરપ્રાંતિયોની સંખ્યા આ વિસ્તારોમાં સૌથી વધુ છે.
આ બાંગ્લાદેશીઓ પૈકી મોટાભાગના લોકો બંગાળમાંથી બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં વસવાટ કરતા હતા. તે અંગે બારીક તપાસ જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે ચલાવવામાં આવી રહી છે. બાંગ્લાદેશીઓ અગાઉ ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિકિંગ અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું જણાયું છે. ચાર ઝડપાયેલા બાંગ્લાદેશીઓમાંથી બે અલ-કાયદાના સ્લીપર સેલ તરીકે કામ કરતા હોવાની શંકા છે અને તેમની ગતિવિધિઓની તપાસ ચાલુ છે.