કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ થઈ ગઈ છે. વિવિધ વિસ્તારોમાંથી પાકિસ્તાનીઓને શોધી શોધીને તગેડી મૂકવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓ અને બાંગ્લાદેશી નાગરિકોને પકડવા માટે આજે પોલીસે મોટી કાર્યવાહી કરી હતી.
ગુજરાત પોલીસ દ્વારા શુક્રવારે મધ્યરાત્રિએ એક મોટા ઓપરેશન દરમિયાન, અમદાવાદ અને સુરત શહેરમાંથી લગભગ એક હજારથી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરાયો છે. જેમાં અમદાવાદમાંથી 890 અને સુરતમાંથી 134 ગેરકાયદે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજયને જણાવ્યું હતું કે શનિવારે સવારે 3:00 વાગ્યાથી, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે SOG, EOW, ઝોન 6 અને હેડક્વાર્ટરની ટીમો સાથે મળીને અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી સ્થળાંતર કરનારાઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન 400થી વધુ શંકાસ્પદ સ્થળાંતર કરનારાઓની અટકાયત કરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું હતું કે ગૃહમંત્રી, પોલીસ કમિશનર અને ડીજીપીની સૂચના પર, ક્રાઈમ બ્રાન્ચે એપ્રિલ 2024 થી અત્યાર સુધીમાં 2 એફઆઈઆર નોંધી છે. ૧૨૭ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા હતા અને ૭૭ને દેશનિકાલ કરવામાં આવ્યા હતા. અમને માહિતી મળી હતી કે ચંડોલા વિસ્તારમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ રહે છે. પોલીસે આજે સવારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અમે અત્યાર સુધીમાં 457 લોકોની અટકાયત કરી છે. તેમની પૂછપરછ કર્યા પછી, દેશનિકાલની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
સુરત શહેરમાં પણ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સચિન, ઉન, લાલગેટ અને લિંબાયત સહિતના અમુક વિસ્તારોમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં એવો દાવો કર્યો હતો કે આ લોકો પાસે ભારત સરકાર દ્વારા માન્ય આધારકાર્ડ પણ મળી આવ્યા છે
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપ સિંહ નકુમે જણાવ્યું હતું કે સુરત શહેરના એસઓજી, ડીસીબી, એએચટીયુ, પીસીબી અને પોલીસ કર્મચારીઓએ શુક્રવારે રાત્રે એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં સુરતમાંથી ૧૦૦ થી વધુ બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તમામના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા.
ધરપકડ કરાયેલા તમામ લોકો ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા અને ઘણા વર્ષોથી નકલી દસ્તાવેજો સાથે સુરતમાં રહેતા હતા. ડીસીપીએ કહ્યું કે તપાસ બાદ, તે બધાને બાંગ્લાદેશ પરત મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ સિવાય હર્ષ સંઘવીએ ગેરકાયદે વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સ્વૈચ્છિક રીતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવા ચેતવણી આપી છે, નહીં તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય ગેરકાયદે ઘૂસણખોરોને આશરો આપનારાઓ સામે પણ કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.