પાકિસ્તાન છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદને પોષી રહ્યું છેઃ પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે સ્વીકાર્યુ

khwajaAsif

પાકિસ્તાનના આ નિવેદનથી ભારતનું વલણ મજબૂત બન્યું છે. ભારતે વૈશ્વિક મંચ પર હંમેશા કહેતું આવ્યું છે કે પાકિસ્તાની સરકાર આતંકવાદને સમર્થન આપે છે.

પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ દરમ્યાન પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સ્વીકાર્યું છે કે પાકિસ્તાન છેલ્લા 30 વર્ષથી આતંકવાદીઓને પોષી રહ્યો છે અને તેમને તાલીમ આપી રહ્યો છે. તેમણે કહ્યું કે તેઓ અમેરિકા અને પશ્ચિમી દેશો માટે આ ‘ગંદા કામ’ કરી રહ્યા છે. તેમણે બ્રિટિશ મીડિયાને આપેલ એક ઈન્ટરવ્યૂમાં આ કબૂલાત કરી હતી.

પાકિસ્તાનના સંરક્ષણમંત્રીના આ નિવેદનથી ભારતનું વલણ મજબૂત બન્યું છે. ભારતે વૈશ્વિક મંચ પર હંમેશા કહેતું આવ્યું છે કે પાકિસ્તાની સરકાર આતંકવાદને સમર્થન આપે છે.

બ્રિટિશ અખબાર ‘ધ સ્કાય’ને શુક્રવારે આપેલા ઈન્ટરવ્યૂમાં ખ્વાજા આસિફે આ વાત કહી હતી. બ્રિટિશ એન્કર યાલ્દા હાકિમે ખ્વાજા આસિફને પૂછ્યું હતું કે શું પાકિસ્તાન આતંકવાદી સંગઠનોની પ્રવૃત્તિઓ માટે જવાબદાર છે? આ અંગે તેમણે કહ્યું કે વૈશ્વિક શક્તિઓએ પોતાના હિતો માટે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો.

ખ્વાજા આસિફને પૂછવામાં આવ્યું હતું કે, ‘શું તમે સ્વીકારો છો કે પાકિસ્તાનનો આતંકવાદી સંગઠનોને ટેકો આપવા, તાલીમ આપવા અને ભંડોળ પૂરું પાડવાનો લાંબો ઇતિહાસ છે?’ જવાબમાં, આસિફે એક સનસનાટીભરી કબૂલાતમાં કહ્યું, ‘હા, અમે છેલ્લા ત્રણ દાયકાથી અમેરિકા અને પશ્ચિમમાં બ્રિટન સહિત આ ગંદુ કામ કરી રહ્યા છીએ.’

પાકિસ્તાને આ નિવેદનમાં પોતાની આતંકવાદી નીતિઓ માટે અમેરિકાને દોષી ઠેરવતાં કહ્યું કે, ‘અમે ત્રણ દાયકા સુધી અમેરિકા અને પશ્ચિમી દેશો માટે આતંકવાદી સંગઠનોને ટેકો આપ્યો કારણ કે આ અમારી વ્યૂહરચનાનો એક ભાગ હતો.’ પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ‘આ માટે પાકિસ્તાનને દોષ આપવો અયોગ્ય છે કારણ કે તે પશ્ચિમી દેશોના નિર્દેશો પર કામ કરી રહ્યું હતું.’

ખ્વાજા આસિફે પણ સ્વીકાર્યું કે આતંકવાદીઓને ટેકો આપવો કે તાલીમ આપવી એ એક મોટી ભૂલ હતી. અમે આની સજા ભોગવી રહ્યા છીએ. તેમણે કહ્યું, જો અમે સોવિયેત યુનિયન સામેના યુદ્ધમાં જોડાયા ન હોત અને 9/11ના હુમલા પછી જે પરિસ્થિતિઓ ઊભી થઈ તે ન થઈ હોત, તો પાકિસ્તાનનો રેકોર્ડ બેદાગ હોત.

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારનાર આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) વિશે પૂછવામાં આવતા, આસિફે કહ્યું કે તેમણે ક્યારેય તેનું નામ પણ સાંભળ્યું નથી. જ્યારે એન્કરે તેમને યાદ અપાવ્યું કે TRF લશ્કર-એ-તૈયબાનો એક ભાગ છે, ત્યારે તેમણે તેને જૂઠાણું ગણાવ્યું અને કહ્યું- લશ્કર હવે જૂનુ થઈ ગયુ છે. તે હવે અસ્તિત્વમાં નથી.

26/11ના મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ લશ્કરનો વડા છે અને હજુ પણ પાકિસ્તાનમાં રહે છે? તેના જવાબમાં ખ્વાજા આસિફે બેશરમીથી કહ્યું કે લશ્કર પાકિસ્તાનમાં નથી.