મંગળવારે પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ સરકારે બુધવારે સર્વપક્ષીય બેઠક બોલાવવાનો નિર્ણય લીધો હતો. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ માટે તમામ પક્ષોના નેતાઓનો સંપર્ક કર્યો હતો.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક સંસદ ભવનમાં યોજાઈ હતી. આ બેઠક સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મળતી માહિતી મુજબ, સભામાં સૌ પ્રથમ, પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને તેમના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું.
સરકાર વતી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ જયશંકર અને સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુ હાજર રહ્યા હતા. રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યસભામાં ગૃહના નેતા જેપી નડ્ડા, નાણામંત્રી નિર્મલા સીતારમણ, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ તમામ પક્ષોનાં નેતાઓ પણ હાજર હતા.
કેન્દ્ર સરકારે ગુરુવારે સર્વપક્ષીય બેઠકમાં પહેલગામ આતંકવાદી હુમલા વિશે રાજકીય પક્ષોના નેતાઓને માહિતી આપી અને તેમના મંતવ્યો સાંભળ્યા હતા. આતંકવાદ સામે મોટી કાર્યવાહીની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી.
પીએમએ પાઠ ભણાવવાનું વચન આપ્યું
અગાઉ, વિપક્ષે માંગ કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકની અધ્યક્ષતા કરે. પીએમ મોદી ગુરુવારે બિહારના દરભંગામાં હતા, જ્યાં તેમણે જાહેરાત કરી હતી કે પહેલગામના હત્યારાઓનો પીછો દુનિયાના છેવાડાના ખૂણે સુધી કરવામાં આવશે અને દરેક આતંકવાદી અને તેના સમર્થકોને ઓળખીને તેમને પાઠ ભણાવવાનું વચન આપ્યું હતું.
રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ગંભીર પરિણામો ધરાવતી કોઈપણ ઘટના પછી સર્વપક્ષીય બેઠક બોલાવવાની પરંપરા રહી છે. ૨૦૧૯માં પુલવામા આતંકવાદી હુમલા દરમિયાન અથવા ૨૦૨૦માં ભારત-ચીન વચ્ચેના મડાગાંઠ દરમિયાન પણ આવું બન્યું હતું. તે રાષ્ટ્રીય એકતાનું ચિત્ર રજૂ કરવાનું અને વિપક્ષી નેતાઓને તેમના વિચારો સરકાર સુધી પહોંચાડવા અને સત્તાવાર સ્થિતિને વિસ્તૃત કરવા સક્ષમ બનાવવાનું એક માધ્યમ છે.
પહેલગામમાં થયેલા હુમલા બાદ, ભારતે બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોટા નિર્ણયો લીધા, જેમાં રાજદ્વારી સંબંધો ઘટાડા, 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવા અને અટારી ચેકપોસ્ટને તાત્કાલિક બંધ કરવાનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે પહલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને ગુરુવારે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા સેવાઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે 27 એપ્રિલથી તમામ પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા હોવાથી તેમણે ભારત છોડવું પડશે. જેમને મેડિકલ વિઝા મળ્યા છે તેમણે 29 એપ્રિલ, 2025 સુધીમાં ભારત છોડવું પડશે.