લોકો કાશ્મીરનું બુકિંગ કેન્સલ કરાવવા લાગ્યા, એક જ દિવસમાં 70% ટૂર કેન્સલ થઈ, ટૂર ઓપરેટરોને લાખોનુ નુકશાન

kashmirTourCancel

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ જમ્મુ-કાશ્મીરના પ્રવાસન ઉદ્યોગને આંખના પલકારામાં તબાહ કરી દીધો છે. હાલમાં, પ્રવાસીઓએ સમગ્ર પ્રવાસન સીઝન માટે તેમના બુકિંગ રદ કરવાનું શરૂ કરી દીધું છે. એક જ દિવસમાં 70 ટકા સુધીના પ્રવાસ રદ થઈ ગયા છે. આના કારણે ટ્રાવેલ ઓપરેટરોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો કાશ્મીરના બદલે બીજા પર્યટન સ્થળોએ ફરવા જવાના પ્લાન બનાવવા લાગ્યા છે.

કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ અનેક પ્રવાસીઓ જ્યારે બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે, ત્યારે પ્રવાસીઓને કોઈપણ તકલીફ ન પડે તેના માટે અને આગામી નિર્ણય લેવા માટે અમદાવાદમાં ગુજરાત ટુર્સ ટ્રાવેલ એસોસિયેશનની બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે છે કે મોટાભાગની એરલાઇન્સ અને હોટલને ચાર્જીસ રિફંડ આપવામાં માટે વાતચીત કરી છે. એરલાઇન્સો દ્વારા ક્રેડિટમાં રિફંડ અપાશે. જેમણે ટુર બુક કરાવી છે તે કેન્સલ કરે તો ટુર ઓપરેટરો કેન્સલેશન ચાર્જ નહીં કાપશે નહીં. એરલાઇન્સનું રિફંડ તો મળશે અને કાશ્મીર ન બદલે અન્ય શહેરમાં જવા માટે એરલાઇન્સની ટિકિટ મળી શકશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં જે હોટલો આવેલી છે એ હોટલો અન્ય શહેર સાથે સંકળાયેલી નથી એટલે કે હોટલ દ્વારા જે ક્રેડિટ આપવામાં આવશે તે ક્રેડિટ કાશ્મીરની હોટલમાં જ મળશે.

ટૂર ઓપરેટરોએ પણ પ્રવાસીઓ માટે ઓપ્શન મૂક્યા છે. જો તેઓ કાશ્મીરનો પ્લાન કેન્સલ કરાવવા માગતા હોય અથવા તો તેઓ પ્લાન ચેન્જ કરીને હિમાચલ, કેરળ, દાર્જીલિંગ અને સિક્કિમ પણ જવા માગતા હોય તો કરાવી શકે છે. પહેલગામના આતંકી હુમલા બાદ કાશ્મીરનો પ્રવાસ કરનારા લોકો બુકિંગ કેન્સલ અથવા તો સ્થળ ચેન્જ કરી રહ્યા છે. અમરનાથ યાત્રાએ જનારા અમુક લોકો પણ હવે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં આવી ગયા છે.

પહેલગામ હુમલાને કારણે લોકોએ બુકિંગ રદ કર્યા હોવાથી અમરાવતીના એક ટુર ઓપરેટરને 38 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. જમ્મુ રેલ્વે સ્ટેશન પર શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના સરસ્વતી ધામના એક ખૂણામાં ચૂપચાપ બેઠેલા અમરાવતીના ઈશ્વર ટ્રાવેલ્સમાં કામ કરતા 29 વર્ષીય ટુર મેનેજર શુભમ રવિન્દ્ર વાડકરે જણાવ્યું કે તેમની કંપનીને હવે લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

વધુમાં વાડેકરે કહ્યું કે પહેલા પણ અમે મહારાષ્ટ્રથી પ્રવાસીઓને કાશ્મીર લાવતા હતા, પરંતુ કલમ 370 નાબૂદ થયા પછી, અમે સુરક્ષિત અનુભવી રહ્યા હતા પરંતુ મંગળવારના હુમલાએ એક ક્ષણમાં બધું જ તબાહ કરી દીધું. વાડકરે કહ્યું કે તેઓ અમરાવતીથી 40 લોકોનું જૂથ લાવ્યા છે. હુમલા પછી, તે કોઈક રીતે તે પ્રવાસીઓને મુઘલ રોડનાં રસ્તે જમ્મુ પાછા લાવવામાં સફળ રહ્યો હતો.

વાડકરે કહ્યું, “૧૬ એપ્રિલના રોજ આ જ જૂથે પહેલગામમાં ખૂબ મજા કરી, પરંતુ મંગળવારે, આંખના પલકારામાં આખું દ્રશ્ય બદલાઈ ગયું.” મેનેજરે કહ્યું કે 25 એપ્રિલ અને 30 એપ્રિલના રોજ 40-40 પ્રવાસીઓના ત્રણ વધુ જૂથોને પહેલગામ લઈ જવાના હતા, પરંતુ હવે બધા ગ્રાહકોએ તેમના બુકિંગ રદ કરી દીધા છે. તે પ્રવાસીઓને પ્રવાસ રદ ના કરાવવા માટે મનાવી રહ્યા છે. તેઓ પોતાના ગ્રાહકોને માતા વૈષ્ણો દેવી મંદિર અને જમ્મુના અન્ય પર્યટન સ્થળોની મુલાકાત લેવા માટે સમજાવી રહ્યા છે.

તેમણે કહ્યું કે ઈશ્વર ટ્રાવેલ્સ કાશ્મીરની આઠ દિવસની યાત્રા માટે દરેક પ્રવાસી પાસેથી 32,000 રૂપિયા વસૂલ કરે છે જેમાં મુસાફરી, રહેવા અને ભોજનનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે પહેલગામ હુમલા પછી, 40-40 પ્રવાસીઓના ત્રણ જૂથોએ તેમના બુકિંગ રદ કર્યા છે, જેના પરિણામે 38 લાખ રૂપિયાનું મોટું નુકસાન થયું છે.

૭૦% સુધી બુકિંગ રદ થયા
જમ્મુમાં ભાગીદારીમાં એપલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ચલાવતા ૫૦ વર્ષીય અમનીશ શર્માએ જણાવ્યું હતું કે તેમના બુકિંગમાં ૭૦ ટકાનો ઘટાડો થયો છે. તેમણે કહ્યું, “અમે ઉચ્ચ શ્રેણીના પ્રવાસીઓને એસી કેબ પૂરી પાડીએ છીએ. અમે ખુશ હતા કે ધંધો વધી રહ્યો હતો, પરંતુ હવે બધું અચાનક બંધ થઈ ગયું છે. અમારા 70 ટકા બુકિંગ ફક્ત એક જ દિવસમાં રદ કરવામાં આવ્યા છે.”

બિહારના પટનાથી પરિવારના ૧૦ સભ્યો સાથે આવેલા ૪૬ વર્ષીય પ્રવાસી સુરેશ કુમારે જણાવ્યું કે તેઓ માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયા હતા અને પહેલગામ જવાની યોજના બનાવી રહ્યા હતા પરંતુ હવે તેઓ ત્યાં જઈ રહ્યા નથી. તેણે કહ્યું, “ફક્ત કોઈ પાગલ વ્યક્તિ જ અત્યારે ત્યાં જવાનું વિચારી શકે છે.” પટનાના અન્ય એક પ્રવાસી અનિલ કુમાર શર્મા, 58 વર્ષીય, જેઓ તેમના બે મિત્રો સાથે વૈષ્ણો દેવી મંદિરથી પાછા ફર્યા હતા, તેમણે કહ્યું કે 2014 થી જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ સુધરી રહી છે. તેમણે કહ્યું, “ગયા વર્ષે ઓક્ટોબરમાં ઓમર અબ્દુલ્લા સત્તામાં આવ્યા પછી, આતંકવાદી હુમલાઓ ફરી શરૂ થયા છે.”

અમરનાથ યાત્રા પર કેન્દ્ર સરકારને ખાસ અપીલ
ઓલ જમ્મુ હોટેલ્સ એન્ડ લોજ એસોસિએશનના પ્રમુખ ઈન્દરજીત ખજુરિયાએ જણાવ્યું હતું કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની આગામી અમરનાથ યાત્રા પર પ્રતિકૂળ અસર પડી શકે છે. તેમણે કહ્યું, “હું કેન્દ્રને ભારપૂર્વક અપીલ કરું છું કે આગામી યાત્રા સેનાને સોંપવામાં આવે જેથી લોકોમાં કોઈ ભય ન રહે.”

દરમિયાન, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે રાજ્ય છોડીને પ્રવાસીઓને ભાગતા જોવું “હૃદયદ્રાવક” છે. ગઈકાલે પહેલગામમાં થયેલા દુ:ખદ આતંકવાદી હુમલા પછી ખીણમાંથી અમારા મહેમાનોનું સ્થળાંતર જોઈને ખૂબ જ દુઃખ થાય છે, પરંતુ તે જ સમયે અમે સંપૂર્ણપણે સમજીએ છીએ કે લોકો શા માટે ત્યાંથી જવા માંગે છે.

હકીકતમાં, મંગળવારે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા પછી હજારો પ્રવાસીઓ કાશ્મીર છોડી રહ્યા છે. અધિકારીઓ પ્રવાસીઓને સુરક્ષિત રીતે તેમના વતન રાજ્યોમાં પાછા મોકલવા માટે પણ તમામ પ્રયાસો કરી રહ્યા છે.