કર્ણાટકના પૂર્વ DGPની છરીનાં ઘા મારી કરી હત્યા, પત્નીએ મિત્રને કોલ કરી કહ્યું “મેં રાક્ષસનો વધ કર્યો છે”

DGPkarnataka

કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપી ઓમ પ્રકાશની હત્યાના કેસમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. હત્યા બાદ તેની પત્ની પલ્લવીએ વીડિયો કોલ કર્યો હતો.

કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપી ઓમ પ્રકાશની હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ઘટના પછી તરત જ, ઓમ પ્રકાશની પત્ની પલ્લવીએ તેના એક મિત્રને વીડિયો કોલ કર્યો. આ સમય દરમિયાન તેણે કહ્યું હતું કે, “મેં રાક્ષસનો વધ કર્યો છે.”

સૂત્રોના જણાવ્યા અનુસાર, બપોરે પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ પછી તેની પત્ની પલ્લવીએ ઓમ પ્રકાશ પર મરચાંનો પાઉડર ફેંક્યો. તેમને બાંધી દીધા અને પછી છરીના ઘા મારીને હત્યા કરી દીધી. મળતી માહિતી મુજબ, 68 વર્ષીય ઓમ પ્રકાશના શરીર, પેટ અને છાતી પર છરીના અનેક ઘા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, હત્યા બાદ ઓમ પ્રકાશની પત્ની પલ્લવીએ બીજા અધિકારીની પત્ની સાથે વાત કરી અને તેને તેના પતિની હત્યા વિશે માહિતી આપી. પલ્લવીએ તેને કહ્યું- મેં રાક્ષસનો વધ કર્યો. હત્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પલ્લવી (પત્ની) અને પુત્રીને કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં અને લગભગ 12 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

પોલીસ તપાસ કરી રહી છે કે હત્યામાં તેમની પુત્રીની કોઈ ભૂમિકા છે કે નહીં. ઓમ પ્રકાશના પુત્રની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. બેંગલુરુના એડિશનલ પોલીસ કમિશનર વિકાસ કુમારે જણાવ્યું હતું કે પોલીસને રવિવારે સવારે લગભગ 4 વાગ્યે નિવૃત્ત અધિકારીના મૃત્યુની માહિતી મળી હતી. ઓમ પ્રકાશનો મૃતદેહ રવિવારે બેંગલુરુમાં તેમના ઘરેથી મળ્યો હતો.

રિપોર્ટ અનુસાર, ઓમ પ્રકાશ અને તેમની પત્ની પલ્લવી વચ્ચે મિલકતને લઈને વિવાદ હતો. ઓમ પ્રકાશે મિલકત એક સંબંધીને ટ્રાન્સફર કરી હતી. આ કારણે બંને વચ્ચે ઝઘડા થયા, જે બાદમાં મારામારી સુધી પહોંચ્યું.

પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે પલ્લવી પોતાના ભયને લઇને વાત કરતી હતી. પલ્લવીએ દાવો કર્યો હતો કે તેનો પતિ તેના ઉપર હુમલો કરી શકે છે. પલ્લવીએ પરિવારજનને એવું પણ કહ્યું હતું કે મારા પતિ ઘરમાં બંદૂક લઈને ફરતા રહે છે. લોકોનું એવું પણ કહેવું છે કે પલ્લવી મોટે ભાગે શંકાની સ્થિતિમાં રહેતી હતી અને કોઈ વાત વિના જ ચિંતામાં રહેતી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું કે પલ્લવી ‘સ્કિઝોફ્રેનિયા’ (માનસિક વિકાર) નામની બીમારીથી પીડાતી હતી અને તે તેના માટે દવા પણ લઈ રહી હતી.

1981 બેચના આઈપીએસ અધિકારી ઓમ પ્રકાશે 2015થી 2017 સુધી રાજ્યના ડીજીપી અને આઈજીપી તરીકે સેવા આપી હતી. તેમણે લોકાયુક્ત, ફાયર વિભાગ, ઇમર્જન્સી સેવા અને ગુના તપાસ વિભાગ (CID)માં DIG તરીકે પણ સેવા આપી હતી. માર્ચ 2015માં તેમને રાજ્યના DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 2017માં તેઓ નિવૃત્ત થયા હતા.