માનનીય પ્રધાનમંત્રીનું સુત્ર “સહકાર થી સમૃધ્ધી” ભારત સહિત વિશ્વ સ્વિકૃત બન્યું છે. દેશની સર્વ પ્રથમ સહકારી વિશ્વ વિદ્યાલય યુવા શક્તિમા સહકારી શિક્ષણના બીજ રોપશે જે લાંબાગાળે ઉગશે અને આપણને ઉગારશે.
આઝાદીના ૭૫ વર્ષ બાદ દેશની સર્વ પ્રથમ “ત્રિભૂવન સહકારી વિશ્વવિદ્યાલય”ની સ્થાપના ગુજરાતની ભૂમિ ઉપર સાકાર થવા જઈ રહેલ છે. ભારતમાં સહકારી આંદોલનને નવી દિશા આપવી અને યુવાનો માટે રોજગારીના નવા અવસરો ઊભા કરવાના હેતુથી ભારત સરકારે “ત્રિભુવન સહકારી વિશ્વ વિદ્યાલય” ની સ્થાપનાનું સૂચન કર્યું હતું. આજે એ સપનું સાકાર થયું છે, કારણ કે “ત્રિભુવન સહકારી વિશ્વ વિદ્યાલય” બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમા પાસ થઈ ચુક્યું છે. વધુમાં આ વિશ્વ વિદ્યાલયના કાર્યકારી કુલપતિની પણ નિમણુક થઇ ગયેલ છે.
‘ત્રિભુવન સહકારી વિશ્વ વિદ્યાલય’ સહકારી આંદોલન માટે એક ઐતિહાસિક પગલું સાબિત થશે. આ વિશ્વ વિદ્યાલય સહકારી શિક્ષણને એક નવી ઊંચાઈ સુધી લઈ જશે, જેના કારણે સહકારી સંસ્થાઓનું કાર્ય વધુ વ્યવસાયિક, આધુનિક અને અસરકારક બનશે. ગુજરાતની સહકારી પ્રવૃતિ અનેક દિવંગત અને વર્તમાન મહાનુભાવોની પ્રવૃતિથી ઓજસ્વી છે તેમા હવે ભારતની યુવા પ્રતિભાઓને સહકારી ડિગ્રી પ્રાપ્ત કરવાનું માધ્યમ પણ આ વિશ્વવિદ્યાલય બની રહેશે, જેનો આનંદ ગુજરાતી હોવાના નાતે અનહદ થાય છે. પ્રાચીન કૌટિલ્યના અર્થશાસ્ત્રમા સહકાર એ ગામડાનું નાણું તરીકે ઓળખાય છે.
આ વિશ્વ વિદ્યાલય માત્ર સહકારી શિક્ષણ, સંશોધન અને તાલીમને વેગ આપશે એટલું જ નહીં, પણ સમગ્ર સહકારી ક્ષેત્રને વધુ વ્યાવસાયિક અને અસરકારક બનાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.વ્યાવસાયીક શિક્ષણની ઉણપને કારણે યુવાનો સહકારની નજીક આવી શકતા ન હોવાથી આ ઉણપ દૂર કરવા ‘ત્રિભૂવન સહકારી વિશ્વ વિદ્યાલય’ યુવાનોને સહકારી તાલીમ, પ્રચાર, શિક્ષણ, માર્કેટિંગ, ડીજીટલ શિક્ષણ, મંડળી વ્યવસ્થાપન વિગેરેનું જ્ઞાન આ વિશ્વ વિદ્યાલયમા આપશે. યુવા તાલીમના માધ્યમથી સહકાર ક્ષેત્ર હવે કોર્પોરેટ સેકટર સાથે વ્યવસાયીક તાલમેલ સાધવા સક્ષમ બની રહેલ છે તેનું એકમાત્ર કારણ સહકારને વેગ અને સહકારમા યુવાનોનું પર્દાપણ છે.
સહકારી અને સાર્વજનીક વિકાસમાં યુવાનોને હિસ્સેદાર બનાવવા તેમને પડતી અનેક મુશ્કેલીઓમાંથી બહાર લાવવા અને સ્વાવલંબી જીવનશૈલી આત્મનિર્ભર વ્યવસાયના પ્રયાસ માટે ‘ત્રિભૂવન સહકારી વિશ્વ વિદ્યાલય’ “સહકાર થી સમૃધ્ધિનો” માર્ગ બનશે. ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયમાં સહકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઉધોગો જેવા કે પશુપાલન, ડેરી, મત્સ્યોદ્યોગ, મધ ઉછેર અને ગૃહ ઉદ્યોગ જેવી અનેક પ્રવૃતિઓ દ્રારા ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ કેળવી શકાશે. જેના થકી અસંખ્ય યુવાનો પગભર બની રહેશે. આ વિશ્વ વિદ્યાલયના ડિગ્રી શિક્ષણમાં યુવાનોની સામેલગીરી સહકારને નવી શક્તિ પ્રદાન કરશે. ભારત સરકારનું લક્ષ્ય છે કે, વિકસિત ભારત 2047. આ ઉદ્દેશ પ્રાપ્ત કરવા સહકારી ક્ષેત્ર મહત્વપૂર્ણ સહયોગ આપશે.
૧૯૨૧ માં આંધ્રપ્રદેશમાં ગાંધીજીની મૂલાકાત બાદ દુર્ગાબાઈના પરિવારે હાથે વણેલી ખાદી પહેરવાનું શરૂ કર્યું, સ્વદેશી કપડા તૈયાર થયા, લોકો ખરીદી કરવા લાગ્યા, ગામડાને રોજગારી મળી અંતે સ્વદેશી કપડા એટલા પ્રસિધ્ધ થયા કે કાપડ ઉત્પાદન કરતી વિદેશી કંપની દુર્ગાબાઈને મળી અને તેમનામાંથી પ્રેરણા મેળવી. આ છે ગુજરાતની શક્તિશાળી સહકારી પ્રવૃતિ, જને હવે સમગ્ર દેશમાં નવી દિશા આપવાનું કામ કરશે ત્રિભૂવન સહકારી વિશ્વ વિદ્યાલય. અમૂલ, ઇફકો, ગુજકોમાસોલ વિ. જેવી સંસ્થાઓ સહકારી આંદોલનના સફળ ઉદાહરણો છે.
ભારત વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવી રહ્યું છે તેનુ કારણ વિશ્વના અન્ય દેશોના વિકાસ માટે એક પ્રેરણાદાયી માળખા તરીકે સહકાર કામ કરી રહેલ છે. માનનીય પ્રધાનમંત્રીનું સુત્ર “સહકાર થી સમૃધ્ધી” ભારત સહિત વિશ્વ સ્વિકૃત બન્યું છે. દેશની સર્વ પ્રથમ સહકારી વિશ્વ વિદ્યાલય યુવા શક્તિમા સહકારી શિક્ષણના બીજ રોપશે જે લાંબાગાળે ઉગશે અને આપણને ઉગારશે.
સમગ્ર વિશ્વ સહકારીતાના શ્વાસોશ્વાસથી સભર છે, સહકારના ઉદ્ગમને પીછાણવાનો પ્રયાસ પૂર્ણ હોય પણ ન શકે તેમ છતા સને ૧૯૦૪માં ઔપચારીક સમિતિઓના ગઠન સાથે નિતી–નિયમોના પ્રારંભનો પથ કહી શકાય. ભારત પાસે સહકારીતાનો જૂનો અને મજબૂત વારસો છે જે દેશના વિકાસને અને સામાજીક જીવનધોરણને સ્પર્શે છે.
યુનિવર્સિટીનું નામકરણ ભારતીય સહકારી આંદોલનના અગ્રણી અને અમૂલના સ્થાપક ત્રિભુવનદાસ કિશીભાઈ પટેલના નામ પરથી કરવામાં આવ્યું છે. ત્રિભુવનદાસ પટેલે 1946માં ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના કરી હતી, જે આજે અમૂલ તરીકે જાણીતું છે. તેમણે “એક વ્યક્તિ, એક મત”ના સિદ્ધાંત દ્વારા ખેડૂતોને સમાન અધિકાર આપ્યા. તેમના કાર્યની કદરરૂપે તેમને રેમન મેગ્સેસે એવોર્ડ અને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય સ્થાપવાનો હેતુ દેશને સહકારથી સમૃદ્ધિ તરફ લઈ જવાનો તેમજ સહકારી પ્રવૃત્તિઓમાં વધારે સારો વિકાસ કેવી રીતે થાય તે માટેના અભ્યાસો, પ્રયોગો અને અવલોકનો કરવાનો છે. સહકારી પ્રવૃત્તિઓને ગ્રામથી લઇને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ કેવી રીતે વિકસાવી શકાય તે બાબતનું ચિન્તન આ વિશ્વવિદ્યાલયમાં થશે.

ગુજરાતની સહકારી ક્રાન્તિના પ્રણેતા એવા શ્રી ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં તા.૨૨/૧૦/૧૯૦૩ ના રોજ થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનથી તેમણે તે વખતની પોલસન ડેરીના આપખુદશાહી વલણ સામે જાન્યુઆરી ૧૯૪૬ માં એક ગામડામાં દૂધ મંડળી સ્થાપીને સહકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી. ઓક્ટોબર ૧૯૪૬માં આણંદ તાલુકામાં પ્રથમ સહકારી દૂધ મંડળી તેમણે બનાવી હતી. બાદમાં વધુ ને વધુ દૂધ મંડળીઓની રચના કરીને ધીરે ધીરે એક વિશાળ વટવૃક્ષ ઊભું થયું, જેની ખેડા ડિસ્ટ્રિકટ મિલ્ક પ્રોડ્યુસર્સ લિમિટેડ નામથી તા.૧૪/૧૨/૧૯૪૬ ના દિવસે તેની નોંધણી કરાવી અને ત્યારપછી વર્ગીસ કુરિયન જેવા ટેકનોલોજી અને રૂરલ મેનેજમેન્ટના પ્રખર નિષ્ણાત વ્યકિત આ સહકારી પ્રવૃત્તિમાં જોડાયા. તેમણે અને ત્રિભુવનદાસ પટેલ, બંનેએ ભેગા થઈને અમૂલ બ્રાન્ડ નામથી એક મજબૂત પાયો નાખ્યો. આજે ગુજરાતના 17 જેટલા જિલ્લા કક્ષાના કાર્યરત દૂધ ઉત્પાદક સંઘો તેની સાથે જોડાયેલા છે. રાજયમાં 35 લાખ કરતાં વધુ પશુપાલુકો અને બહેનો ગામડાંની દૂધ મંડળી સાથે જોડાઈને દેશ અને દુનિયામાં નોંધપાત્ર કહી શકાય તેવી દૂધની શ્વેતક્રાન્તિના હિસ્સેદાર બન્યા છે. આજે અમૂલ બ્રાન્ડ હેઠળનાં વિવિધ સહકારી ઉત્પાદનો થકી દર વર્ષે રૂપિયા 90 હજાર કરોડથી વધારે રકમનું ટર્નઓવર થાય છે. જેને પરિણામે ગુજરાત રાજ્યના લાખ્ખો પશુપાલકો તેમના આર્થિક જીવનમાં સહકારી પ્રવૃત્તિથી ચાલતા આ ડેરી ઉદ્યોગ દ્વારા તેમના જીવનમાં પરિવર્તન લાવી રહ્યા છે. ‘સહકારથી સમૃદ્ધિ’નો મંત્ર સાચા અર્થમાં સાર્થક થયો છે.
કેન્દ્ર સરકારે ધી ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય એક્ટ પસાર કરીને અને દેશની સર્વ પ્રથમ સહકારી યુનિવર્સિટી સાથે શ્વેતક્રાન્તિના પ્રણેતા એવા ત્રિભુવનદાસ પટેલનું નામ જોડીને સહકારી ક્ષેત્રમાં ત્રિભુવનદાસ પટેલે આપેલા ઉત્તમ પ્રદાન બદલ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે.