ભાવેશચંદ્ર રોય (58) બાંગ્લાદેશ પૂજા ઉદ્યાપન પરિષદના બિરાલ એકમના ઉપપ્રમુખ હતા. હિન્દુ સમુદાયમાં તેમનો ભારે પ્રભાવ હતો. તેઓ ઢાકાથી લગભગ 330 કિમી દૂર દિનાજપુરના બસુદેવપુર ગામના રહેવાસી હતા.
બાંગ્લાદેશમાં એક મોટા હિન્દુ નેતાની અજાણ્યા લોકોએ અપહરણ કર્યા બાદ હત્યા કરી દીધી છે. ભાવેશ ચંદ્ર રોય (58) બાંગ્લાદેશ પૂજા ઉદ્યાપન પરિષદના બિરાલ એકમના ઉપપ્રમુખ હતા. હિન્દુ સમુદાયમાં તેમનો ભારે પ્રભાવ હતો. ગુરુવારે બપોરે તેમનું તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને નિર્દયતાથી માર મારીને હત્યા કરવામાં આવી હતી. તેઓ ઢાકાથી લગભગ 330 કિમી દૂર દિનાજપુરના બસુદેવપુર ગામના રહેવાસી હતા.
ભાવેશ ચંદ્ર રોયની પત્ની શાંતાનાએ જણાવ્યું કે ગુરુવારે સાંજે લગભગ 4:30 વાગ્યે તેમના પતિને એક ફોન આવ્યો હતો. ફોન કરનાર ફક્ત એ જાણવા માગતો હતો કે ભાવેશ ઘરે છે કે નહીં. ત્યાર બછી લગભગ 30 મિનિટ પછી બે બાઇક પર ચાર ઉપદ્રવીઓ તેમના ઘરે આવ્યા અને ભાવેશને બળજબરીથી ઊપાડી ગયા હતા. તેમને નજીકના નારાબારી ગામમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. ત્યારબાદ હુમલાખોરોએ ભાવેશને બેભાન અવસ્થામાં વાનમાં નાખી તેના ઘરે મોકલી દીધો. ત્યાર બાદ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાર બાદ તેમને દિનાજપુર મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને લઈને મૃતકના પરિવારે ન્યાયની માંગણી કરી છે.
બિરાલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી અબ્દુસ સબુરે જણાવ્યું હતું કે આ મામલે પોલીસે હજુ સુધી કેસ નોંધ્યો નથી, પરંતુ કેસ નોંધવાની તૈયારી ચાલી રહી છે. તેમજ પોલીસ શંકાસ્પદોની ઓળખ કરવા અને ધરપકડ કરવા માટે તપાસ કરી રહી છે. ભાવેશની પત્ની શાંતાનાએ કહ્યું હતું કે તે બે હુમલાખોરોને ઓળખી શકે છે.

બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું હતું કે ભારતે તે લઘુમતી મુસ્લિમોનું રક્ષણ કરવું જોઈએ, જેઓ ગયા અઠવાડિયે બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસાથી પ્રભાવિત થયા છે. આ સાથે તેમણે આ હિંસા ભડકાવવામાં બાંગ્લાદેશનો હાથ હોવાનો ઇનકાર કર્યો હતો.
ભારતે પણ તાજેતરમાં જ મુર્શિદાબાદ હિંસાને લઈને બાંગ્લાદેશના ડહાપણનો જવાબ આપતી વખતે બાંગ્લાદેશના લઘુમતી સમુદાયોની રક્ષા પર ધ્યાન આપવાની સલાહ આપી હતી. ભારતે કહ્યું કે તે પોતાના દેશમાં લઘુમતીઓના નરસંહાર પરથી ધ્યાન હટાવવા માગે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે “પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાઓ અંગે બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને અમે નકારીએ છીએ. બાંગ્લાદેશ આવાં નિવેદનો આપી રહ્યું છે જ્યારે ત્યાં લઘુમતીઓ પર અત્યાચાર કરનારા ગુનેગારો ખુલ્લેઆમ ફરે છે.”
બાંગ્લાદેશમાં એક હિન્દુ નેતાની હત્યાનો મામલો વૈશ્વિક મુદ્દો બની ગયો છે. હિન્દુ લઘુમતી નેતા ભાવેશ ચંદ્ર રોયના અપહરણ અને હત્યા પર ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ હત્યા વચગાળાની સરકાર હેઠળ હિન્દુ લઘુમતીઓ પર વ્યવસ્થિત અત્યાચારની પેટર્નને અનુરૂપ હતી.
બીજી તરફ આ ઘટના બાદ અમેરિકાએ બાંગ્લાદેશ જતા તેના નાગરિકોને સાવધ રહેવા કહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશમાં અશાંતિ, ગુના અને આતંકવાદનું જોખમ નોંધપાત્ર રીતે વધ્યું છે. અમેરિકી નાગરિકોએ ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ્સ પ્રદેશમાં મુસાફરી ન કરવી જોઈએ. અમેરિકાએ આ પ્રદેશ માટે લેવલ 4 ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. બાંગ્લાદેશના આ વિસ્તારો સાંપ્રદાયિક હિંસા, ગુના, આતંકવાદ, અપહરણ અને અન્ય સુરક્ષા જોખમો માટે સંવેદનશીલ છે.

નોંધનીય છે કે, છેલ્લા ઘણા મહિનાઓથી બાંગ્લાદેશમાં હિંદુવિરોધી હિંસા ફરી વધતી જોવા મળી રહી છે. મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી નવી સરકાર આવ્યા બાદ હિંદુવિરોધી હિંસામાં પણ વધારો થયેલો જોવા મળ્યો છે. માનવાધિકાર સંગઠનોએ પણ લઘુમતીઓ પર થઈ રહેલી આ હિંસાઓને લઈને એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો અને બાંગ્લાદેશના લઘુમતીઓને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. રિપોર્ટમાં પણ અનેક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં હિંદુ મંદિરોમાં તોડફોડ, હિંદુઓની હત્યાઓ, મકાનો અને દુકાનોમાં આગ ચાંપીને કરાયેલી લૂંટફાટ અને દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરવા જેવા કિસ્સાઓનો સમાવેશ થાય છે.
બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરુદ્ધ બળવા બાદ ભારે હિંસા ફાટી નીકળી હતી. બેકાબૂ ભીડે સૌથી વધુ લઘુમતીઓ, ખાસ કરીને હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના અહેવાલ મુજબ, અહીં સાંપ્રદાયિક હિંસામાં 32 હિન્દુએ જીવ ગુમાવ્યા. બળાત્કાર અને મહિલાઓ પર અત્યાચારના 13 કેસ પ્રકાશમાં આવ્યા. લગભગ 133 મંદિર પર હુમલા થયા. બળવા પછી માત્ર 15 દિવસમાં લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના 2,010 બનાવો બન્યા. 11 જાન્યુઆરી 2025ના રોજ બાંગ્લાદેશ સરકારે આમાંથી 1769 કેસોની પુષ્ટિ કરી. આમાંથી 1415 કેસોમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે. 354 કેસોની સમીક્ષા ચાલી રહી છે. આ હુમલાઓના સંબંધમાં બાંગ્લાદેશ સરકારે 10 ડિસેમ્બર સુધીમાં 70 લોકોને કસ્ટડીમાં લીધા હતા તેમજ કુલ 88 કેસ નોંધાયા હતા.