અમદાવાદની ‘કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક’નું લાયસન્સ થયુ કેન્સલ, જાણો ખાતાધારકોને તેમના રૂપિયા પાછા મળશે કે નહીં?

colourMerchantsCoOpBank

રિઝર્વ બેંકે લાઈસન્સ રદ કરવા પાછળ કારણ જણાવતા કહ્યું કે, બેંકની પાસે પર્યાપ્ત મૂડી અને કમાણીની શક્યતા નથી. સહકારી બેંક બેંકિંગ વિનિયમન અધિનિયમ હેઠળ કેટલાક આવશ્યકતાઓનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બુધવારે અમદાવાદ સ્થિત કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કરી દીધું છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક પાસે ન તો પૂરતી મૂડી હતી અને ન તો તેની પાસે કમાણીની કોઈ સંભાવના હતી. આ ઉપરાંત આ બેંક બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવામાં પણ નિષ્ફળ રહી છે. જેના કારણે આ મોટું પગલું ભરવું પડ્યું.

બેંકની નાણાકીય સ્થિતિ ખૂબ જ ખરાબ
આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું કે કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકની નાણાકીય સ્થિતિ એટલી બગડી ગઈ છે કે તે તેના થાપણદારોને સંપૂર્ણ ચુકવણી કરવામાં સક્ષમ નથી. જો આવી સ્થિતિમાં બેંક ચાલુ રહેશે તો તે થાપણદારોના હિતની વિરુદ્ધ હશે.

બેંક અત્યારે નવી થાપણો સ્વીકારી શકશે નહીં તેમજ કોઈ નવી લોનનું વિતરણ કરી શકશે નહીં.
આ બેંકનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય 16 એપ્રિલ 2025 ના રોજ બેંકનો વ્યવસાય બંધ થયા પછી અમલમાં આવ્યો. આનો અર્થ એ છે કે બેંક અત્યારે નવી થાપણો સ્વીકારી શકશે નહીં તેમજ કોઈ નવી લોનનું વિતરણ કરી શકશે નહીં. આરબીઆઈએ રજીસ્ટ્રાર ઓફ કો-ઓપરેટિવ સોસાયટી, ગુજરાતને બેંકનું લાઇસન્સ રદ કરવા અને તેની કામગીરી બંધ કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે લિક્વિડેટરની નિમણૂક કરવા પણ કહેવામાં આવ્યું છે.

ખાતાધારક મહત્તમ રૂ. 5 લાખ સુધીની રકમ મેળવવા માટે હકદાર
ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન(DICGC) હેઠળ લિક્વિડેર પાસેથી દરેક ગ્રાહક તેમની થાપણો પર મહત્તમ રૂ. 5 લાખ સુધીની રકમ મેળવવા માટે હકદાર રહેશે. સહકારી બેંક દ્વારા સબમિટ કરાયેલા ડેટા મુજબ, સારી વાત એ છે કે લગભગ 98.51% થાપણદારોને તેમની સંપૂર્ણ રકમ મળશે. ડીઆઈસીજીસીએ 31 માર્ચ, 2024 સુધી થાપણદારોને 13.94 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે.

આરબીઆઈએ પહેલા પણ આ બેંક પર ઘણા પ્રતિબંધ લગાવ્યા હતા
બેંકની ખરાબ નાણાકીય સ્થિતિને કારણે આરબીઆઈ પહેલા પણ બેંકની ઉપર કાર્યવાહી કરી ચૂક્યું છે. સપ્ટેમ્બર 2023માં બેંકની ખરાબ સ્થિતિને કારણે ઘણા પ્રતિબંધ લગાવ્યા હતા. આ પ્રતિબંધોમાં 50,000 રૂપિયા પ્રતિ ગ્રાહકના ઉપાડની મર્યાદા, નવા પૈસા જમા કરવા પર પ્રતિબંધ અને લોન કે રોકાણ વગેરે સામેલ હતા. આરબીઆઈ દ્વારા આ પ્રતિબંધોને માર્ચ અને જૂન 2024માં ત્રણ-ત્રણ મહિના માટે વધારવામાં આવ્યો હતો. જેથી તે નક્કી કરી શકાય કે બેંકની નાણાકીય સ્થિતિમાં સુધાર થયો છે કે નહીં.