ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ઇમિગ્રેશન રિફોર્મ બિલ રજૂ કર્યું, જે દેશની સુરક્ષા અને વિદેશી નાગરિકોના હિસાબની ખાતરી કરશે. તેમણે કહ્યું કે, આ બિલ જૂની ઇમિગ્રેશન નીતિઓમાં ફેરફાર કરશે અને નવી નીતિ લાવશે.
ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે લોકસભામાં ઇમિગ્રેશન રિફોર્મ બિલ રજૂ કર્યું. આ વિશે વાત કરતાં અમિત શાહે કહ્યું કે, ઇમિગ્રેશન એ કોઈ અલગ મુદ્દો નથી. દેશના ઘણા મુદ્દાઓ તેની સાથે જોડાયેલા છે. આપણા દેશની સીમાઓમાં કોણ આવે છે? ક્યારે આવે છે? કેટલા સમય માટે આવે છે? અને તે કયા કારણથી આવે છે? દેશની સુરક્ષા માટે આ બધુ જાણવાનો આ અધિકાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બિલ આ બધુ સુનિશ્ચિત કરશે. કારણ કે હવે ભારતમાં આવનારા તમામ વિદેશી નાગરિકોના એકાઉન્ટ મેઈન્ટેન કરવામાં આવશે. ભારતમાં આવનારા લોકોનો ડેટાબેઝ આપોઆપ તૈયાર થઈ જશે.
અમિત શાહે કહ્યું કે, જે લોકો ભારતની વ્યવસ્થામાં યોગદાન આપવા આવે છે તેમનું સ્વાગત છે. પરંતુ રોહિંગ્યા હોય કે બાંગ્લાદેશના લોકો, જો તેઓ ભારતની શાંતિને ખલેલ પહોંચાડશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મારો સંદેશ સ્પષ્ટ અને મજબૂત છે. જો કોઈ આપણા દેશની કાયદો અને વ્યવસ્થા અને શાંતિને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે, તો અમે તેની સામે કડક કાર્યવાહી કરીશું. પછી ભલે તે રોહિંગ્યા હોય કે બાંગ્લાદેશી. આ બિલ દેશની સુરક્ષા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે એક મજબૂત પોલિસી છે. શાહે કહ્યું કે, આ નવી ઇમિગ્રેશન પોલિસી નવા ભારતની પોલિસી છે. ત્રણ જૂના કાયદા જે બિનઅસરકારક બની રહ્યા છે તે બ્રિટિશ સંસદમાં બનાવવામાં આવ્યા હતા. જૂનો કાયદો અંગ્રેજોના હિતોનું રક્ષણ કરવા માટે હતો જ્યારે નવો કાયદો વિકસિત ભારતને પ્રતિબિંબિત કરે છે. જો ભારતમાં પ્રવેશ્યા પછી નિયમોનું પાલન ન થતું હોય તો સંબંધિત એજન્સીઓને આરોપીની ધરપકડ કરવાની સત્તા આપવામાં આવી છે.
વધુમાં ગૃહમંત્રીએ કહ્યું કે, ભારતનો શરણાર્થીઓ પ્રત્યે એક ઇતિહાસ છે. આક્રમણકારોએ પારસી લોકોને પર્શિયામાંથી હાંકી કાઢ્યા હતા. આ પછી, પારસીઓ દુનિયામાં બીજે ક્યાંય ગયા નહીં, તેઓ ભારતમાં આવ્યા અને આજે પણ સુરક્ષિત છે. જો વિશ્વની સૌથી મોટી લઘુમતી વિશ્વમાં ક્યાંય પણ સન્માન સાથે રહે છે, તો તે ભારતમાં રહે છે. પીએમ મોદીના નેતૃત્વમાં, ભાજપે CAA હેઠળ પડોશી દેશોના છ અત્યાચારગ્રસ્ત સમુદાયોના નાગરિકોને આશ્રય આપવાનું કામ પણ કર્યું છે. આ અમારી વિચારસરણી છે.
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આ બિલ દ્વારા જૂના કાયદાઓ રદ કરવામાં આવશે અને નવા યુગ પ્રમાણે અને દેશની જરૂરિયાતો અનુસાર તર્કસંગત કાયદા બનાવવામાં આવશે. નવું બિલ ભારતીય વ્યવસ્થાને મોટી સુરક્ષા પૂરી પાડશે અને તે પારદર્શક રહેશે. તે વિશ્વસનીય હશે. 3 વર્ષના ઊંડા વિચાર-વિમર્શ પછી ગૃહ મંત્રાલયે આ મહત્વપૂર્ણ બિલ તૈયાર કર્યું છે. વિપક્ષે આનો વિરોધ ન કરવો જોઈએ.
તેમણે કહ્યું કે, દેશની સુરક્ષા માટે, દેશની અર્થવ્યવસ્થા, ઉત્પાદન અને વેપારને મજબૂત બનાવવા માટે, દેશની શિક્ષણ પ્રણાલીને ફરી એકવાર વિશ્વમાં સ્વીકૃત બનાવવા માટે, આપણી યુનિવર્સિટીઓને વૈશ્વિક બનાવવાનો માર્ગ મોકળો કરવા માટે અને 2047 માં આ દેશને વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બનાવવા માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ બિલ છે.