કેન્દ્ર સરકારે મોંઘવારીને ધ્યાનમાં રાખી સંસદના સભ્યોના પગાર, ભથ્થા અને પેન્શન અધિનિયમ 1954 અંતર્ગત વેતન તથા પેન્શનમાં આ સુધારો કર્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા સાંસદોના પગારમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ‘સંસદ સભ્ય પગાર, ભથ્થાં અને પેન્શન અધિનિયમ-1954 હેઠળ વેતન અને ભથ્થામાં સંશોધન કર્યા બાદ વધારો કર્યો છે. સાંસદોના પગારમાં 24% વધારો થયો છે. સરકારના નોટિફિકેશન મુજબ નવો પગાર વધારો પહેલી એપ્રિલ 2023થી લાગુ થશે.
સાંસદોના પગાર વધારવા પાછળ સરકારે કહ્યું કે, ‘છેલ્લા પાંચ વર્ષમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે, જેને ધ્યાને રાખી આ ફેરફાર કરવામાં આવ્યો છે.’ આ પહેલાં 2018માં મોદી સરકારે દર પાંચ વર્ષે સાંસદોના પગાર અને ભથ્થાંની સમીક્ષા કરવાનો નિયમ બનાવ્યો હતો. આ સમીક્ષા ફુગાવાના દર પર આધારિત છે.
સાંસદોના પગારમાં કેટલો વધારો થશે?
- સાંસદોને પહેલા મહિને રૂપિયા 1,00,000 પગાર મળતો હતો, જે વધારીને 1.24 લાખ કરવામાં આવ્યો છે. જ્યારે દૈનિક ભથ્થું (Daily Allowance) રૂપિયા 2000થી વધારી 2500 કરવામાં આવ્યું છે.
ભૂતપૂર્વ સાંસદોના પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
- ભૂતપૂર્વ સાંસદોનું પેન્શન 25,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 31,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે. જ્યારે પાંચ વર્ષથી વધુ સમય માટે સાંસદ રહેલા સભ્યોને આપવામાં આવતું વધારાનું પેન્શન પણ 2,000 રૂપિયા પ્રતિ માસથી વધારીને 2,500 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યું છે. સંસદીય કાર્ય મંત્રાલયની માહિતી પ્રમાણે 1લી એપ્રિલ 2023થી આ સુધારો લાગુ કરવામાં આવ્યો છે.
સાંસદોને મળતી અન્ય સુવિધાઓ
- 34 હવાઈ મુસાફરી, ફર્સ્ટ એસીમાં સીટ: દરેક સાંસદ એક વર્ષમાં 34 મફત હવાઈ મુસાફરી કરી શકે છે. જો સાંસદ ઈચ્છે તો તેઓ તેમના સાથીદારો અથવા સ્ટાફને 8 ટ્રિપ્સ ટ્રાન્સફર કરી શકે છે. તેમને ભારતીય રેલવેના તમામ વર્ગોમાં મફત મુસાફરીની સુવિધા મળે છે. આ સુવિધા સંસદ સત્ર દરમિયાન અને પછી ઉપલબ્ધ છે. રોડ મુસાફરી માટે પ્રતિ કિમી ₹16 સુધીનું ભથ્થું આપવામાં આવે છે. આ ત્યારે લાગુ પડે છે જ્યારે સાંસદો સત્તાવાર કામ માટે રોડ દ્વારા મુસાફરી કરે છે અને હવાઈ કે રેલ મુસાફરી શક્ય નથી. સંસદ સત્ર દરમિયાન દિલ્હીમાં સાંસદોને પરિવહન સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. નિવૃત્ત સાંસદોને પણ રેલ અને હવાઈ મુસાફરીમાં અમુક હદ સુધી છૂટ મળે છે.
- 50 હજાર યુનિટ મફત વીજળી: આ ઉપરાંત દિલ્હીમાં મફત સરકારી આવાસ અને ઓફિસ માટે 50,000 યુનિટ મફત વીજળી અને 4 લાખ લિટર મફત પાણીની સુવિધાનું ડિસ્કાઉન્ટ છે. લોકસભાના સાંસદોને 1,50,000 મફત કોલ અને રાજ્યસભાના સાંસદોને 50,000 મફત કોલ મળે છે.
- સાંસદોને પૂરી પાડવામાં આવતી તબીબી સુવિધાઓ: સાંસદોને બધી તબીબી સુવિધાઓ મફત મળે છે, CGHS હોસ્પિટલોમાં સારવાર મફત છે. જો દેશમાં કોઈ રોગની સારવાર શક્ય ન હોય તો સરકાર ખાસ પરવાનગી હેઠળ વિદેશમાં સારવારનો ખર્ચ ઉઠાવી શકે છે. સાંસદોને પદ છોડ્યા પછી પણ CGHS હેઠળ તબીબી સુવિધાઓ મળતી રહે છે. ભૂતપૂર્વ સાંસદો અને તેમના જીવનસાથીઓને પણ મફત સારવારની સુવિધા મળે છે.
- સાંસદોને સરકારી વાહનો, રિસર્ચ અને સ્ટાફ સહાયકો અને સંસદ કેન્ટીનમાં સબસિડીવાળા દરે ભોજનની સુવિધા પણ મળે છે.