જો હિંમત હોય તો ઔરંગઝેબની કબર હટાવી બતાઓ, હુસૈન દલવાઈએ કરી ચેલેન્જ, RSS ને ગણાવ્યુ આતંકવાદી સંગઠન

husainDalwai

મહારાષ્ટ્રના સંભાજી નગરમાં સ્થિત ઔરંગઝેબની કબરને લઈને રાજકારણ ગરમાયું છે. તેની કબરને દૂર કરવાની માંગને લઈને વિવાદ પણ વધી રહ્યો છે. જેને લઈને નાગપુરમાં હિંસા પણ થઈ હતી. તેને લઈને નેતાઓ એક બીજા ઉપર વિવાદાસ્પદ નિવેદનો કરી રહ્યા છે. તેવામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સાંસદ હુસૈન દલવાઈનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે “જો સરકારમાં હિંમત હોય તો ઔરંગઝેબની કબર હટાવી બતાવે”.

શુક્રવારે મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના નેતા હુસૈન દલવાઈએ કહ્યું કે અમારા પ્રદેશ પ્રમુખે એક સમિતિની રચના કરી છે, જેમાં હું પણ સામેલ છું. અમે ત્યાં જઈશું અને લોકો સમક્ષ સત્ય લાવીશું. પણ નાગપુર હિંસા કેમ થઈ? આની પાછળ તમને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઔરંગઝેબની કબર હટાવવા અંગે જે રીતે નિવેદનો આપ્યા હતા તે જોવા મળશે. તેમના નિવેદનોથી મુસ્લિમો વિરુદ્ધ વાતાવરણ ઊભું થયું.

તુષાર ગાંધી, અસદુદ્દીન ઓવૈસી અને સંજય રાઉતના તાજેતરના નિવેદનો પર હુસૈન દલવાઈએ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે ઔરંગઝેબની પ્રશંસા કરનારા સપા નેતા અબુ આઝમી પર પણ ટિપ્પણી કરી છે.

હુસૈન દલવાઈએ RSS ને આતંકવાદી સંગઠન ગણાવ્યુ
હુસૈન દલવાઈએ તુષાર ગાંધીના નિવેદનને સમર્થન આપ્યું, જેમાં તેમણે RSS ને ‘કેન્સર’ ગણાવ્યું હતું. દલવાઈએ કહ્યું કે તુષાર ગાંધીએ કંઈ ખોટું કહ્યું નથી, તેમણે જે કંઈ કહ્યું તે સાચું હતું. મેં પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે RSS એક આતંકવાદી સંગઠન છે. તેની શાખાઓમાં ખોટી બાબતો શીખવવામાં આવે છે. વધુમાં તેમણે કહ્યું કે તુષાર ગાંધીના જીવને ખતરો છે અને સરકારે તેમને સુરક્ષા પૂરી પાડવી જોઈએ. ગાંધીજી વિરુદ્ધ હિંસાના પ્રયાસો ચાલુ હોવાથી તુષાર ગાંધીના પરિવારનું રક્ષણ કરવું સરકારની ફરજ છે.

વકફ સુધારા બિલનો વિરોધ
હુસૈન દલવાઈએ વક્ફ સુધારા બિલ પર અસદુદ્દીન ઓવૈસીના નિવેદનને પણ સમર્થન આપ્યુ. તેમણે કહ્યું કે આ બિલ એટલા માટે લાવવામાં આવી રહ્યું છે જેથી મુસ્લિમોને તેમની મસ્જિદો અને સંપત્તિથી વંચિત રાખી શકાય. આ બિલ દ્વારા સરકાર મુસ્લિમોની જમીન અને સંપત્તિ હડપ કરવા માંગે છે. ઘણા વિપક્ષી પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો છે. ઇન્ડિયા એલાયન્સ પણ તેની વિરુદ્ધ છે. અમે આ બિલનો વિરોધ કરીએ છીએ.

દલવાઈએ વીર સાવરકર વિશે કહ્યું કે એ સાચું છે કે વીર સાવરકરે છત્રપતિ સંભાજી મહારાજ વિશે ઘણી ખોટી વાતો લખી હતી અને તેમના વિશે ખોટી ટિપ્પણીઓ કરી હતી. આ ઉપરાંત તેમણે છત્રપતિ શિવાજી મહારાજ વિશે પણ નકારાત્મક વાતો કહી હતી. જ્યારે નેહરુજીને આ વાતની ખબર પડી, ત્યારે તેમણે સાવરકરના પુસ્તકો હટાવી દીધા. પણ દેવેન્દ્ર ફડણવીસ હવે એ કામ કેમ નથી કરી રહ્યા? RSSના લોકો છત્રપતિ શિવાજી મહારાજને રાજા તરીકે નહીં, પરંતુ એક વ્યાવસાયિક તરીકે માનતા હતા. તે અત્યંત શરમજનક છે.

સંજય રાઉતના નિવેદનને સમર્થન
હુસૈન દલવાઈ પણ ઔરંગઝેબ અંગે સંજય રાઉતના નિવેદન સાથે સંમત થયા. ભાજપ સરકારની સરખામણી ઔરંગઝેબ સાથે કરતા રાઉતે કહ્યું હતું કે વર્તમાન શાસન તેનાથી પણ ખરાબ છે. આ અંગે હુસૈન દલવાઈએ કહ્યું કે ઔરંગઝેબનું શાસન ક્રૂર હતું, પરંતુ ભાજપનું શાસન તેનાથી પણ ખરાબ છે. ભાજપ મનસ્વી રીતે કાર્ય કરે છે અને લોકશાહી પ્રક્રિયાઓનું ઉલ્લંઘન કરે છે.

તેમણે ઔરંગઝેબની પ્રશંસા કરવા બદલ સપા નેતા અબુ આઝમીની આકરી ટીકા કરી. તેમણે અબુ આઝમીને ઔરંગઝેબની પ્રશંસા ન કરવાની સલાહ આપી અને કહ્યું કે ઔરંગઝેબ એક ક્રૂર શાસક હતો અને આપણે તેની પ્રશંસા ન કરવી જોઈએ. અબુ આઝમીએ ઇતિહાસ વાંચવાની જરૂર છે.