ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માણા ગામમાં ગ્લેશિયર તૂટવાથી શુક્રવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આમાં કુલ 55 કામદારો ફસાયા હતા. ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) અને સેનાની ટીમોએ 55 માંથી 50 મજૂરોને બચાવી લીધા છે. જ્યારે 4 લોકોએ જીવ ગુમાવ્યા છે અને એક કામદારની શોધ હજુ ચાલુ છે. રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. બે કામદારોને ઋષિકેશ એઈમ્સમાં રિફર કરવામાં આવી રહ્યા છે. બદ્રીનાથ ધામમાં ITBP અને આર્મી કેમ્પમાં 22 કામદારો સુરક્ષિત છે અને સમગ્ર ઘટનામાં 5 કામદારો હજુ પણ ગુમ છે.
બીજી તરફ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ બચાવ કામગીરી માટે ચાર ટીમો મોકલી છે, જ્યારે ચાર વધુ ટીમો સ્ટેન્ડબાય પર છે. ખરાબ હવામાન હોવા છતાં, બાકીના લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. અત્યાર સુધીમાં, 55 માંથી 50 કામદારોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને ભારતીય સેનાએ 14 નાગરિકોને પણ બચાવ્યા છે.
શુક્રવારે વરસાદ અને હિમવર્ષાને કારણે બચાવ કામગીરીમાં અવરોધ ઉભો થયો હતો અને રાત્રિના કારણે કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. શનિવારે હવામાન સાફ થતાં, હેલિકોપ્ટર કામગીરીમાં જોડાયા.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અસરગ્રસ્ત વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું અને અધિકારીઓને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધામી સાથે વાત કરી અને તેમને સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી.
GOC-ઇન-સી સેન્ટ્રલ કમાન્ડ લેફ્ટનન્ટ જનરલ અનિંદ્ય સેનગુપ્તા અને GOC નોર્થ ઈન્ડિયા એરિયા લેફ્ટનન્ટ જનરલ ડીજી મિશ્રાએ માના ખાતે હિમપ્રપાત સ્થળની મુલાકાત લીધી હતી જેથી ચાલુ શોધ અને બચાવ કામગીરીનું નિરીક્ષણ, સમીક્ષા અને સંકલન કરી શકાય. બચી ગયેલા લોકોને શોધવા માટે ખાસ રેકો રડાર, યુએવી, ક્વોડકોપ્ટર, હિમપ્રપાત બચાવ શ્વાન વગેરેની સેવા લેવામાં આવી છે.
બીજી તરફ, હેલિકોપ્ટર પણ જરૂરી સાધનો, સંસાધનોના પરિવહન અને ઘાયલોને બહાર કાઢવા માટે સતત કાર્યરત છે. આર્મી કમાન્ડરે ખાતરી આપી હતી કે ભારતીય સેના વિવિધ એજન્સીઓ સાથે મળીને ઝડપી બચાવ પ્રયાસો સુનિશ્ચિત કરવા માટે જરૂરી સંસાધનોથી સંપૂર્ણપણે સજ્જ છે.
ઘટનાસ્થળે હાજર ભારતીય સેનાના ડોક્ટરોએ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો પર જીવન બચાવનાર સર્જરીઓ કરી છે જ્યારે જોશીમઠ હેલિપેડથી હેલિકોપ્ટર ઓપરેશન ભારતીય સેના ઉડ્ડયન અને વાયુસેનાના આઠ હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૯ લોકોને માનાથી જોશીમઠ લઈ જવામાં આવ્યા છે. ભારતીય સેનાના સેન્ટ્રલ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, જનરલ ઓફિસર કમાન્ડિંગ નોર્થ ઇન્ડિયા એરિયા અને ડાયરેક્ટર જનરલ બોર્ડર રોડ્સ સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ કામગીરીનું નિરીક્ષણ અને સંકલન કરવા માટે હાજર છે.