જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ, 2 માર્ચે વનતારા અને સાસણ જશે, 3જીએ સાસણ ગીર ખાતે નેશનલ વાઈલ્ડલાઈફ કોન્ફરન્સમાં ભાગ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસ સુધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ કાલે સાંજે જામનગર પહોંચશે. ત્યાં રાત્રિરોકાણ બાદ રવિવારે સવારે 7 વાગ્યે રિલાયન્સ રિફાઈનરી સ્થિત અનંત અંબાણીના પ્રાણીસંગ્રહાલય અને રેસ્ક્યૂ સેન્ટર ‘વનતારા’ની મુલાકાત લેશે. બાદ સાસણ ગીર ખાતે નેશનલ વાઈલ્ડલાઈફ કોન્ફરન્સમાં ભાગ લેશે. અહીં તેઓ 3 હજાર કરોડના પ્રોજેક્ટ લાયનનું લોચિંગ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમને આવકારવા માટે પ્રોટોકોલ મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર આવશે. તેમની સાથે ગૃહમંત્રી હર્ષ સંધવી પણ આવશે. બંને મહાનુભાવો પી.એમ.ની સુરક્ષા વ્યવસ્થા નિહાળશે અને માર્ગદર્શન આપશે.આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ વડાપ્રધાનના સ્વાગત માટે જામનગર આવે એવી શક્યતા છે.
વડાપ્રધાન મોદી સંભવત: આવતીકાલે સાંજે 6થી 7 દરમિયાન જામનગર એરપોર્ટ ખાતે ખાસ વિમાનમાં આવી પહોંચશે. જામનગર એરપોર્ટ ઉપર મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓ વડાપ્રધાનને આવકારશે. વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસમાં રાત્રિરોકાણ કરશે.
જામનગરમાં વડાપ્રધાનની મુલાકાતને પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાનની સુરક્ષા માટે એસપીજીની ટીમ જામનગર પહોંચી ગઈ છે. ટીમે સર્કિટ હાઉસ અને એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીના રૂટનું નિરીક્ષણ કર્યું છે. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, એસપી પ્રેમસુખ ડેલુ અને અન્ય અધિકારીઓ તૈયારીઓમાં વ્યસ્ત છે.
વડાપ્રધાન મોદી રવિવારે સવારે જામનગરથી 30 કિમી દૂર આવેલા રિલાયન્સ રિફાઈનરી સ્થિત અનંત અંબાણીના પ્રાણીસંગ્રહાલય અને રેસ્ક્યૂ સેન્ટર ‘વનતારા’ની મુલાકાત લેશે. જ્યાં આશરે ચાર કલાકનું રોકાણ કરશે. ત્યાર બાદ તેઓ જૂનાગઢ જવા રવાના થશે. જામનગર હવાઈ મથકેથી સીધા સાસણ પહોંચશે. સાસણ ગીર ખાતે 2 માર્ચને રવિવારના રોજ વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નેશનલ વાઈલ્ડલાઈફ કોન્ફરન્સનું આયોજન થયું છે, તેમાં ભાગ લેશે તેમજ સાસણમાં જ રાત્રિરોકાણ કરશે.
સોમવારે સોમનાથ મહાદેવનાં દર્શન કરીને વડાપ્રધાન બપોરે બે વાગ્યાની આસપાસ રાજકોટના હીરાસર વિમાની મથકે આવશે અને અહીં તેઓ 30 મિનિટનું ટૂંકું રોકાણ કરશે. હીરાસર એરપોર્ટ પર તેઓ રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના ટોચના નેતાઓને મળશે.
સુરક્ષાની દૃષ્ટિએ જામનગરથી મેઘપર-પડાણા સુધીના મુખ્ય માર્ગો 26 કલાક માટે વાહનવ્યવહાર માટે બંધ રહેશે. પ્રદર્શન મેદાનમાંથી ઝૂંપડાં અને રસ્તા પરનાં તમામ દબાણો દૂર કરવામાં આવ્યાં છે. વડાપ્રધાનના સ્વાગત માટે ભાજપના આગેવાનો અને પદાધિકારીઓનાં બેનરો લગાવવામાં આવ્યાં છે.
વડાપ્રધાનની લોખંડી સુરક્ષા વ્યવસ્થા રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવની રાહબરી હેઠળ ગોઠવાઈ છે. બંદોબસ્તને લઈને 6 આઈ.પી.એસ. અધિકારી, 37 ડી.વાય.એસ.પી., 67 પી.આઈ., 150 પી.એસ.આઈ. તેમજ 1500 જેટલા પોલીસ અને હોમગાર્ડ સહિતના સુરક્ષા કર્મીઓ તહેનાત રહેશે, જેની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને લોખંડી સુરક્ષા જાપતો ગોઠવી દેવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં બે વખત ગુજરાતના પ્રવાસે આવશે. આવતી કાલથી 3 દિવસ સુધી અને ત્યારબાદ 7 અને 8 માર્ચે તેઓ ફરીવાર ગુજરાતના પ્રવાસે આવશે.