પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના દિલ્હી નિવાસસ્થાન પર ચૂંટણી પંચના દરોડા

bhagwantMann

બુધવારે દિલ્હી પોલીસે ‘પંજાબ સરકાર’ સ્ટીકરવાળું એક વાહન પકડ્યું હતું. વાહનમાંથી રોકડ રકમ, દારૂ અને આમ આદમી પાર્ટી (AAP) ની પત્રિકાઓ પણ મળી આવી હતી.

દેશની રાજધાની દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાલમાં પાર્ટીના ઉમેદવારો માટે દિલ્હીમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચની ટીમે આજે ભગવંત માનના દિલ્હી સ્થિત સરકારી નિવાસસ્થાન કપૂરથલા હાઉસ પર દરોડા પાડ્યા છે. આ પહેલા બુધવારે દિલ્હી પોલીસે ‘પંજાબ સરકાર’ સ્ટીકરવાળું એક વાહન પકડ્યું હતું. વાહનમાંથી રોકડ રકમ, દારૂ અને આમ આદમી પાર્ટી (AAP) ના પત્રિકાઓ પણ મળી આવ્યા હતા. પોલીસે આ સંદર્ભમાં કેસ નોંધ્યો છે. એક અધિકારીએ આ માહિતી આપી હતી.

મળતી માહિતી મુજબ, ECની ટીમે દિલ્હીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના સત્તાવાર નિવાસસ્થાન પર દરોડા પાડ્યા છે. ચૂંટણી પંચની ટીમ CM માનના કપૂરથલા હાઉસની તપાસ કરવા પહોંચી હતી. કપૂરથલા હાઉસની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત છે. ટીમને હાલ અંદર જવાથી રોકી દેવામાં આવી છે.

ચૂંટણી પંચને CVIGIL એપ દ્વારા ફરિયાદ મળી હતી, જે મુજબ ત્યાં નાણાંની વહેંચણી કરવામાં આવી રહી હતી. ફરિયાદના આધારે, FST (ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ) દરોડા પાડવા માટે કપૂરથલા હાઉસ પહોંચી હતી. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે FST રિટર્નિંગ ઓફિસર હેઠળ કામ કરે છે. મળતી માહિતી મુજબ, RO પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

ભગવંત માનના ઘરે પહોંચેલા રિટર્નિંગ ઓફિસર ઓપી પાંડેએ કહ્યું, અમને પૈસાની વહેંચણી અંગે ફરિયાદ મળી છે. અમારે 100 મિનિટમાં ફરિયાદ ઉકેલવી પડશે. અમારી ફ્લાઈંગ સ્ક્વોડ ટીમ (FST) અહીં આવી હતી, જેને અંદર જવા દેવામાં આવી ન હતી. હું તેમને વિનંતી કરવા આવ્યો છું કે અમને કેમેરામેન સાથે અંદર જવા દો. CVIGIL એપ પર નાણાંની વહેંચણી અંગેની ફરિયાદ મળી હતી.

ભગવંત માનના સત્તાવાર નિવાસસ્થાન પર દરોડા પર આમ આદમી પાર્ટીએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રી આતિશીએ X પર પોસ્ટ કરી છે અને આ પગલાની કડક શબ્દોમાં ટીકા કરી છે. સીએમ આતિશીએ લખ્યું છે કે, ‘સામે હાર જોઈને ભાજપ ધ્રૂજી ગયું. દિલ્હી પોલીસ ભગવંત માનના દિલ્હીના ઘરે દરોડા પાડવા પહોંચી છે. ભાજપના લોકો દિવસના પ્રકાશમાં પૈસા, જૂતા, ચાદર વહેંચી રહ્યા છે, તે દેખાતું નથી, પરંતુ તેઓ ચૂંટાયેલા મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર દરોડા પાડવા પહોંચી જાય છે. વાહ ભાજપ! દિલ્હીના લોકો 5મી તારીખે જવાબ આપશે!’ તમને જણાવી દઈએ કે જ્યારે RO અને FST સુરક્ષાની માંગ કરે છે, ત્યારે પોલીસ પૂરી પાડવામાં આવે છે.

AAPએ એક વીડિયો શેર કરીને આરોપ લગાવ્યો છે કે બિજવાસન સીટ પરથી બીજેપી ઉમેદવાર કૈલાશ ગહેલોત પોતાની ચૂંટણી ઓફિસમાં લોકોને પૈસા વહેંચી રહ્યા છે. મત ખરીદવા માટે ભાજપના ઉમેદવારની ઓફિસમાં લાખો રૂપિયાની ખુલ્લેઆમ ગણતરી કરવામાં આવી રહી છે. જો પોલીસ અને ચૂંટણી પંચમાં હિંમત હોય તો તેઓ ગૃહમંત્રી અમિત શાહના ઘરે દરોડા પાડે.

આપને જણાવી દઈએ કે સી-વિજિલ એપ દ્વારા કરવામાં ફરિયાદ પર અધિકારીઓએ 100 કલાકની અંદર કાર્યવાહી કરવાની હોય છે. તે અંતર્ગત દરોડો પાડવામાં આવ્યો હતો. ચૂંટણી પંચ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે સી-વિજિલ એપ પર ફરિયાદ બાદ, એફએસટી ટીમ માનક પ્રક્રિયા મુજબ કપૂરથલા હાઉસ પહોંચી હતી. ચૂંટણી પંચે કોઈ દરોડાનો આદેશ આપ્યો ન હતો. કમિશન નિયમિત બાબતોમાં દખલ કરતું નથી. ચૂંટણી દરમિયાન FST ની રચના કરવામાં આવે છે જેથી તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. દરેક ચૂંટણીમાં ચૂંટણી ફરિયાદો માટે ચૂંટણી પંચ દ્વારા C-VIGIL એપ બનાવવામાં આવે છે.