કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મધ્ય પ્રદેશના મહુમાં બંધારણ રેલીને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા છે.મહાકુંભમાં અમિત શાહના ગંગા સ્નાન પર પણ ટીપ્પણી કરતાં ખડગેએ કહ્યું કે, શું ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી દૂર થશે?
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપના નેતાઓના મહાકુંભ સ્નાનને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓમાં ગંગામાં ડૂબકી મારવાની સ્પર્ધા છે. ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર નહીં થાય.
ગંગામાં ડૂબકીથી ગરીબી નહીં ધોવાય
વધુમાં ખડગેએ કહ્યું કે, ‘શું ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી દૂર થશે? તેઓ બધાને મૂર્ખ બનાવી રહ્યા છે. બાળકોના પેટમાં ભોજન પણ હોવુ જોઈએ. હું કોઈની આસ્થાને દુભાવવા માગતો નથી. કોઈને દુઃખ થયુ હોય તો હું માફી માગું છું. પણ એકબાજુ ઘણાં બાળકો ભૂખ્યા છે, રોજગારી મળી રહી નથી. અને તેઓ કરોડો રૂપિયા ખર્ચી ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છે.’
ભાજપ-આરએસએસ પર નિશાન સાધતા ખડગેએ કહ્યું, RSS-BJP દેશદ્રોહી છે. જો તમારે ગરીબી અને બેરોજગારીથી આઝાદી જોઈતી હોય તો બંધારણની રક્ષા કરો.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહુમાં આયોજિત એક રેલીને સંબોધિત કરતાં કહ્યું કે, ‘મોદી-શાહ અમને ગાળો આપે છે. પરંતુ આઝાદીની લડાઈમાં તેમણે બલિદાન આપ્યું નથી. આ લોકોને બોધપાઠ ભણાવવા આપણે એકજૂટ થવુ પડશે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, બાબા સાહેબ આંબેડકરે દેશમાં દલિતો અને વંચિતોને તેમના અધિકારો અપાવવાનું કામ કર્યું. એકલા બાબા સાહેબ આટલું કામ કરી શકે છે ત્યારે જો તમામ લોકો આંબેડકર બની જશે તો ભાજપ સરકારનો પાયો ડગમગી જશે. રાહુલ ગાંધીજી આ લડાઈ તમારા વતી લડી રહ્યા છે. તેઓ આપણા બાળકોને ઘોડા પર ચડવા દેતા નથી. ધર્મના નામે ગરીબોનું શોષણ અને લૂંટફાટ મચાવી છે. જે અમે ક્યારેય ચલાવી લઈશુ નહીં.’
RSS-BJP દેશદ્રોહી છે
મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, ‘આપણે સાંપ્રદાયિકતાના તે વિષયને નષ્ટ કરી દેવો જોઈએ, જેણે યુગ પુરુષની હત્યા કરી. ગાંધીજીની હત્યા પર સમારોહ કરનારા લોકોને ભારતીય કહેવાનો કોઈ હક નથી. RSS-BJP પોતે દેશદ્રોહી છે. આ મારા શબ્દો નથી, નેહરૂ અને વલ્લભજીના શબ્દ છે. બાબા સાહેબ તમામને સાથે લઈને ચાલ્યા છે.
ખડગેએ કહ્યું, ‘મોદી અને શાહે મળીને એટલા પાપ કર્યા છે કે તેઓ 7 જન્મમાં પણ સ્વર્ગમાં નહીં જાય. ભાજપના લોકો મસ્જિદની નીચે મંદિર શોધી રહ્યા છે, શિવલિંગ શોધી રહ્યા છે. એક તરફ ભાગવત કહે છે કે આવું ન કરો અને બીજી તરફ તેઓ પણ એવું જ કરે છે.
ભાજપે વળતો પ્રહાર કર્યો
ખડગેના નિવેદન પર બીજેપી સાંસદ સંબિત પાત્રાએ કહ્યું, ‘શું તે અન્ય કોઈ ધર્મ વિશે આવું કહી શકે છે? સનાતન ધર્મ વિરુદ્ધ આવા શબ્દો અને નિવેદનો નિંદનીય છે. કોંગ્રેસ પાર્ટીએ આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. આ એ જ ખડગે છે જેણે કહ્યું હતું કે જો અમે સત્તામાં આવીશું તો સનાતનનો નાશ કરીશું.