અમદાવાદની ઝેબર સ્કૂલમાં ધો.3ની વિદ્યાર્થીનીનું મોત, છાતીમાં દુખાવો થયા બાદ ચેર પર બેસી ગઇ અને ઢળી પડી, હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડોક્ટરે મૃત જાહેર કરી

zebarSchoolStudentDeath

8 વર્ષની બાળકીના મોતનું પ્રાથમિક તારણ કાર્ડિયાક એરેસ્ટ હોવાનું સામે આવ્યું

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલમાં ધો.3માં અભ્યાસ કરતી એક 8 વર્ષની વિદ્યાર્થીનીને અચાનક છાતીમાં દુખાવો થતા તે લોબીમાં રાખેલી ચેર પર બેસી ગઇ હતી અને પછી ઢળી પડી હતી. ત્યારબાદ સ્કૂલના સ્ટાફ દ્વારા બાળકીને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ સારવાર શરૂ કરાઈ હતી, જોકે હોસ્પિટલે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોતનું પ્રાથમિક તારણ કાર્ડિયાક એરેસ્ટ હોવાનું સામે આવ્યું છે. પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના થલેતજ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલમાં ધો.3માં 8 વર્ષીય ગાર્ગી તુષાર રાણપરા નામની વિદ્યાર્થિની અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિની આજે સવારે 8 વાગ્યાની આસપાસ સીડી ચઢીને સ્કૂલે આવી હતી. એ દરમિયાન તેને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. જેથી તે લોબીમાં એક ચેર પર બેસી ગઇ હતી અને થોડીવારમાં ચેર પરથી ઢળી પડી હતી. બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

સ્કૂલના પ્રિન્સિપાલ શર્મિષ્ઠા સિન્હાએ મીડિયાને જણાવ્યું કે, બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાથી સ્કૂલ સ્ટાફ દ્વારા તાત્કાલિક 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. પરંતુ એમ્બ્યુલન્સ આવવામાં મોડું થતાં બાળકીને સ્કૂલના સ્ટાફની ગાડીમાં સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ લઇ જવાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીનું મોત કાર્ડિયાક એરેસ્ટના કારણે થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે. બાળકીના માતા-પિતા મુંબઇ છે જ્યારે બાળકી અમદાવાદમાં તેના દાદા-દાદી સાથે રહેતી હતી. બાળકીના માતા-પિતાને ઘટનાની જાણ કરવામાં આવી છે.

પ્રિન્સિપાલે વધુમાં જણાવ્યું કે, એડમિશન લેતા સમયે બાળકીને કોઈપણ બીમારી નહોતી તેમજ એડમિશન સમયે અમે બાળકીને કોઈપણ બીમારી ન હોવાના ડોક્યુમેન્ટ લીધેલા છે. અન્ય કોઈપણ બીમારી ન હોવા છતાં અચાનક બાળકીને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો.

બાળકીના મૃતદેહને પીએમ અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસ સ્કૂલ પહોંચી હતી અને અક્સમાતે મોતની નોંધ કરી છે. પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ આગળની તપાસ હાથ ધરશે.