જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં શનિવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. સેનાની ટ્રક પહાડી પરથી નીચે ખીણમાં પડી હતી, જેમાં 4 સૈનિકોના મોત થયા હતા, જ્યારે કેટલાક ઘાયલ થયા હતા.
જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સેનાના જવાનોને લઈ જઈ રહેલી એક ટ્રક ઊંડી ખાઈમાં પડી હતી, જેમાં ચાર સૈનિકોના મોત થયા હતા, જ્યારે કેટલાક ઘાયલ થયા હતા. બાંદીપોરા જિલ્લા હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મસરત ઈકબાલ વાનીએ જણાવ્યું હતું કે, “અહીં પાંચ ઘાયલોને લાવવામાં આવ્યા હતા, જેમાંથી બેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. અન્ય ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે અને તેમને વધુ સારવાર માટે શ્રીનગર રિફર કરવામાં આવ્યા છે.” બાદમાં અન્ય ઘાયલ સૈનિકનું મોત થયું હતું.
બાંદીપોરા જિલ્લાના એસકે પાઈન વિસ્તારમાં વુલર વ્યૂ પોઈન્ટ પાસે વળાંક પર ટ્રકને ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતાં ટ્રક પહાડની નીચે ખાઈમાં પડી હતી. અકસ્માત બાદ તરત જ સૈનિકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, 2 જવાન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અન્ય જવાનોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. રેસ્ક્યૂ-ઓપરેશન ચાલુ છે.
ગયા વર્ષે 24 ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીરમાં સેનાનું એક વાહન પણ ક્રેશ થયું હતું. પુંછ જિલ્લામાં સૈન્યનું એક વાહન રસ્તા પરથી લપસીને 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું, જેમાં પાંચ સૈનિકોના મોત થયા અને અન્ય પાંચ ઘાયલ થયા. અકસ્માતમાં સામેલ તમામ સૈનિકો 11 મરાઠા રેજિમેન્ટના હતા. સંરક્ષણ પ્રવક્તાએ કહ્યું કે અકસ્માતનું કારણ શોધી કાઢવામાં આવી રહ્યું છે, પરંતુ એવું લાગે છે કે ડ્રાઇવરે રસ્તાના વળાંક પર વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. છ વાહનોનો કાફલો જિલ્લાના બનોઈ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો.
અધિકારીઓએ કહ્યું હતું કે રેસ્ક્યૂ ટીમે 300-350 ફૂટ ઊંડી ખાઈમાંથી પાંચ મૃતદેહો બહાર કાઢ્યા છે. તેઓએ કહ્યું કે ઘાયલ સૈનિકોને પૂંચની ફિલ્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. આ પહેલા 4 નવેમ્બરે રાજૌરીમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. ત્યારબાદ એક સૈનિકનું ખાઈમાં પડી જવાથી મોત થયું હતું.