કાર્ડિયોલોજીની સેવામાં કાર્ડિયોલોજિસ્ટ તથા કાર્ડિયોથોરાસિક સર્જન સાથે ફૂલ ટાઇમ કામ કરતા સેન્ટરોને માન્યતા પ્રાપ્ત ગણવામાં આવશે.
ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે(23 ડિસેમ્બર) નવી SOP જાહેર કરવામાં આવી છે. જેમાં હવે કાર્ડિયોલોજી સેવાઓ માટે ફુલ ટાઇમ કામ કરતાં સેન્ટરોને જ માન્યતા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની નવી SOPમાં અલગ અલગ સારવાર માટેની અલગ અલગ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ SOP મુજબ દર્દીની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હોય તેના પરિવારને અને આરોગ્ય વિભાગને પણ પુરાવારૂપે સીડી આપવાની રહેશે.
PMJAY યોજનામાં રહેલી ક્ષતિઓને દૂર કરવા રાજ્ય સરકારે નવી SOP જાહેર કરી છે. આ ક્ષતિઓ અંગે કેન્દ્ર સરકારને પણ જાણ કરવામાં આવી છે. જેથી હવે કેન્દ્ર સરકારના પોર્ટલ પર રહેલી SOPમાં સુધારા કરશે.
કેન્સર સારવાર
નિષ્ણાત તબીબોના સૂચન બાદ ઓન્કોલોજી એટલે કે કેન્સરની વિવિધ પ્રોસિઝર સારવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે.
કેન્સરની સારવારમાં સુધારા અંગે જણાવ્યું કે, કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબ સારવારનો પ્લાન નક્કી કરવા મેડિકલ ઓનકોલોજિસ્ટ ,સર્જિકલ ઓનકોલોજિસ્ટ અને રેડિયેશન ઓનકોલોજિસ્ટની સયુંકત પેનલ ટ્યૂમર બોર્ડ તરીકે નિર્ણય દરદીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરાશે. TBC(ટ્યૂમર બોર્ડ સર્ટિફિકેટ) અપલોડ કરવાનું ફરજિયાત રહેશે. કેન્સરની ટ્રીટમેન્ટ માટેની રેડીયેશન થેરાપીમાં સારવાર પેકેજની પસંદગી માટે સુધારા કરવામાં આવ્યા છે. મહિલાઓમાં જોવામાં આવતા ગર્ભાશય, યોનીમુખ ના કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકી થેરાપી જરૂરી હોય તેવા કિસ્સામાં હોસ્પિટલ PMJAY અંતર્ગત સારવાર આપવામાં આવશે. દર્દીને કેન્સરની યોગ્યત્તમ સારવાર મળી રહે તે માટે IGRT (ઇમેજ ગાઈડેડ રેડિએશન થેરાપી)માં CBCT (કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) ઇમેજ KV (કિલો વોટ)માં જ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. વધુમાં આ થેરાપી ક્યા કયા ટ્યૂમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઇડલાઇન બનાવવામાં આવી છે. રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલા ક્વોલિટી કન્ટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે રેકોર્ડ નિભાવવાનો રહેશે.
કાર્ડિયોલોજીની સેવાઓ
કાર્ડિયોલોજીની સેવાઓ માટે કાર્ડિયોલોજિસ્ટ તથા કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફુલ ટાઈમ કામ કરતા હોય તેવાં સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કલ્સ્ટર માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય. આ ઉપરાંત હોસ્પિટલો ખાતે ફુલ ટાઇમ કાર્ડિયાક એનેસ્થેટિસ્ટ તથા ફિજિયોથેરાપિસ્ટ રાખવા આવશ્યક રહેશે. ખાસ કિસ્સામાં ઇમર્જન્સી સારવાર અતિઆવશ્યક હોય તેવા સંજોગોમાં જ ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે. હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટીની CD/વીડિયોગ્રાફી પ્રિઓથના સમયે અપલોડ કરવાની રહેશે. ઇમર્જન્સી કેસમાં CD/વીડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે.
નિયોનેટલ કેર
નિયોનેટલ કેરમાં સુધારા અંગે જણાવ્યું કે, નિયોનેટલ કર ખાસ કરીને બાળકોને ICUમાં સારવારમાં પણ સુધારો કરાયો છે. Nicu /sncu માં માતાની પ્રયવસી સચવાય તે માટે CCTV લગાવવામાં આવશે. THO દ્વારા NICUની મુલાકાત લઈ SHAને રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. બાળકોની સારવાર માટે ફૂલ ટાઈમ પીડિયાટ્રિશિયન ફરજિયાત કરવામાં આવશે. પિડીયાટ્રીક હોસ્પિટલ માટે ધારા ધોરણ મુજબ દરદીના બેડ પ્રમાણે નર્સિંગ સ્ટાફ રાખવાનો રહેશે.
TKR/THR (Total Knee replacement/Total Hip replacement)
TKR/THR ઓપરેશન કરતી હોસ્પિટલે ઓર્થોપેડીક અને પોલીટ્રોમાના કેસોમાં ઓછામાં ઓછા 30 ટકા ઓર્થોપેડીક અને પોલીટ્રોમા(અકસ્માત)ના કેસોને સારવાર ફરજિયાત કરવામાં આવેલ છે. જો યુક્ત રેશિયોનું પાલન ન થાય તો હોસ્પિટલને પેનલટી કરવામાં આવશે. હોસ્પિટલ દ્વારા સળંગ 9 માસ સુધી ઉક્ત રેશિયોનું પાલન ન થાય તો, તેવા કિસ્સામાં હોસ્પિટલને “ઓર્થોપ્લાસ્ટી (TKR/THR)” સ્પેશ્યાલીટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે. યોજના અંતરગત જોડાયેલ કુલ 75 હોસ્પિટલને રૂપિયા 3.51 કરોડની TKR અંતર્ગત પેનલટી કરવામાં આવી છે.
કલીનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ
કલીનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંગે જણાવ્યું કે, એક્ટની જોગવાઇ મુજબ પૂર્વવ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગત વાર પૂરતી સમજણ દર્દી અને તેઓના સગાને આપતી વખતે વિડિયો રેકોર્ડિંગ સાથે નું સંમતિ પત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી અંગ વિચ્છેદન સર્જરી, શરીરનો કોઈ પણ ભાગ દૂર કરવાની સર્જરી, ઓર્ગન ડોનેશન, બ્રેઇન, કેન્સર, સ્પાઈનલ સર્જરી, દર્દીને ડીશ ચાર્જ વખતે લેબોરેટરી, રેડીયોલોજી, વગેરે ડાયગનોસ્ટીક રીપોર્ટસ ફરજિયાત આપવાના રહેશે. ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલોએ Infection control and prevention માટેની ભારત સરકારની ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.