યુપીના પીલીભીતમાં 3 ખાલિસ્તાની આતંકવાદીઓ ઠાર, ભારે માત્રામાં હથિયાર મળી આવ્યા

pilibhitKhalistani

પંજાબના ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો, યુપી અને પંજાબ પોલીસની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી.

છેલ્લા કેટલાક દિવસોમાં પંજાબમાં અલગ-અલગ જગ્યાએ બ્લાસ્ટ કરીને આતંક ફેલાવી રહેલા ખાલિસ્તાની આતંકવાદીઓ સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પંજાબ અને યુપી પોલીસે મળીને ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. ત્રણેય પર પંજાબના ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર હુમલો કરવાનો આરોપ હતો. માર્યા ગયેલા ત્રણેય આતંકવાદીની ઓળખ થઈ ગઈ છે. ત્રણેય આતંકવાદીઓ પંજાબના ગુરદાસપુરના રહેવાસી હતા. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે જેમાં બે એકે-47, બે ગ્લોક પિસ્તોલનો સમાવેશ થાય છે. જીવતા કારતુસ પણ મળી આવ્યા છે. ઉત્તર પ્રદેશ અને પંજાબ પોલીસની સંયુક્ત ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પંજાબ અને યુપી પોલીસે આજે સવારે પૂરનપુર વિસ્તારની નહેર પાસે આ ત્રણેયને ઘેરી લીધા તો ત્રણેયએ પોલીસ પર ગોળીબાર કર્યો. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી. બંને તરફથી ગોળીઓ છોડવામાં આવી હતી. આ દરમિયાન ત્રણેય આતંકીઓ ગોળીઓથી ઘાયલ થયા હતા. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા.

આ એન્કાઉન્ટરમાં પીલીભીત પોલીસ વતી અવિનાશ પાંડે (SP), SI અમિત પ્રતાપ સિંહ, ઈન્સ્પેક્ટર નરેશ ત્યાગી, (SHO પુરનપુર), SI લલિત કુમાર, HC જગવીર, ઈન્સ્પેક્ટર અશોક પાલ (SHO મધોટાંડા), કોન્સ્ટેબલ સુમિત, ઈન્સ્પેક્ટર કેબી. સિંઘ, એસઓજીના ઈન્ચાર્જ એસઆઈ સુનિલ શર્મા સહિત પંજાબ પોલીસની ટીમ હાજર રહી હતી. એન્કાઉન્ટર દરમિયાન બે પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસની ગાડી પર ગોળીઓના નિશાન છે.

પંજાબ ડીજીપીએ કરી પુષ્ટિ
પંજાબના ડીજીપી ગૌરવ યાદવે X પર લખ્યું – આ એન્કાઉન્ટર પીએસ પુરનપુર, પીલીભીતના કાર્યક્ષેત્રમાં થયું હતું. યુપી અને પંજાબની સંયુક્ત પોલીસ ટીમે આ કામગીરી હાથ ધરી છે. ત્રણેય આતંકવાદીઓ ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર થયેલા ગ્રેનેડ હુમલામાં સામેલ હતા. તેનો સંબંધ આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ સાથે હતો. ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આની જવાબદારી લીધી છે. સમગ્ર આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવા માટે તપાસ ચાલી રહી છે.

માર્યા ગયેલા ત્રણેય આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. ત્રણેયની ઉંમર 18 થી 25 વર્ષની વચ્ચે છે.

  • માર્યા ગયેલા આતંકવાદીઓમાં ગુરવિંદર સિંહનો સમાવેશ થાય છે, જે કલાનૌર જિલ્લા ગુરદાસપુરમાં રહેતો હતો.
  • બીજો આતંકવાદી રણજીત સિંહ ઉર્ફે જીતાનો પુત્ર વીરેન્દ્ર સિંહ ઉર્ફે રવિ છે જે કલાનૌરનો રહેવાસી હતો.
  • ત્રીજા વ્યક્તિની ઓળખ નિક્કા સુર ગામનો રહેવાસી જસનપ્રીત સિંહ ઉર્ફે પ્રતાપ સિંહ તરીકે થઈ છે.

પંજાબના ગુરદાસપુરમાં શું થયું હતું?

તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા પંજાબના ગુરદાસપુરમાં પોલીસ ચોકીની સામે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ગુરદાસપુરમાં બક્ષીવાલ બંધની બહાર ધડાકો થયો, જે એટલો જોરદાર હતો કે લોકો ડરી ગયા. ગુરદાસપુર પહેલા પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોમાં અનેક બ્લાસ્ટ થયા છે. 28 દિવસમાં 8 બ્લાસ્ટ બાદ પોલીસે તપાસ તેજ કરી અને આરોપીઓની શોધ શરૂ કરી છે.

19 ડિસેમ્બરે બક્ષીવાલ પોલીસ ચોકી પર અને 20 ડિસેમ્બરે વડાલા બાંગર ચોકીમાં વિસ્ફોટ થયા હતા. બંને પોસ્ટ ગુરદાસપુર જિલ્લાના કલાનૌર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે.