હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું આજે નિધન થયું છે. તેઓ 89 વર્ષના હતા. શુક્રવારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ 11.30 વાગ્યે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જો કે અડધા કલાક બાદ બપોરે 12 વાગ્યે તેમણે હોસ્પિટલમાં જ છેલ્લા શ્વાસ લીધા હતા. તેમના નિધનથી સમગ્ર રાજ્યમાં શોકની લહેર જોવા મળી રહી છે.
ઓમ પ્રકાશ ચૌટાલાના પાર્થિવ દેહને આજ સાંજ સુધીમાં સિરસામાં તેમના વતન ગામ ચૌટાલા લાવવામાં આવશે અને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ત્યારબાદ ગામમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
દેશ અને હરિયાણાને પૂરી ન શકાય તેવી ખોટ: મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની
ઓમપ્રકાશ ચૌટાલાના નિધન પર મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે લખ્યું હતું કે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન થયું છે. દેશ અને હરિયાણા રાજ્યની રાજનીતિ માટે આ એક ન પુરી શકાય તેવી ખોટ છે. ભગવાન શ્રી રામ દિવંગત પુણ્યાત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને શોકગ્રસ્ત પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
મોટા ભાઈ જેવો હતો: ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ પ્રતિક્રિયા આપી છે. હુડ્ડાએ કહ્યું કે જ્યારે ઓમ પ્રકાશજી સીએમ હતા ત્યારે હું વિરોધ પક્ષનો નેતા હતો. અમારા સારા સંબંધો હતા. તેમણે લોકોની સેવા કરી. તે હજુ પણ સક્રિય હતા. એવું લાગતું ન હતું કે તે આટલી જલ્દી અમને છોડી દેશે. તે એક સારા વ્યક્તિ હતો અને મારા માટે મોટા ભાઈ જેવો હતો.
ચૌટાલાએ 82 વર્ષની વયે જેલમાં રહીને ધોરણ 10ની પરીક્ષા આપી અને પાસ કર્યુ
ઓપી ચૌટાલાનો જન્મ 1 જાન્યુઆરી, 1935ના રોજ થયો હતો. પૂર્વ નાયબ વડાપ્રધાન ચૌધરી દેવીલાલના પાંચ સંતાનોમાં તેઓ સૌથી મોટા હતા. ચૌટાલાએ પ્રાથમિક શિક્ષણ બાદ અભ્યાસ છોડી દીધો હતો. વર્ષ 2013માં જ્યારે ચૌટાલા શિક્ષક ભરતી કૌભાંડ દરમિયાન તિહાર જેલમાં બંધ હતા, ત્યારે તેમણે 82 વર્ષની વયે પ્રથમ ધોરણ 10મા અને પછી 12માની પરીક્ષા પાસ કરી હતી.
ચૌટાલાની રાજનીતિ સફર
ઓમપ્રકાશ ચૌટાલાની ચૂંટણીની રાજનીતિ 1968માં શરૂ થઈ હતી. તેમણે દેવીલાલની પરંપરાગત બેઠક એલેનાબાદથી તેમની પ્રથમ ચૂંટણી લડી હતી. તેમની સામે લાલચંદ ખોડે પૂર્વ સીએમ રાવ બિરેન્દ્ર સિંહની વિશાલ હરિયાણા પાર્ટીમાંથી ચૂંટણી લડી હતી. ચૌટાલા આ ચૂંટણી હારી ગયા. ત્યારબાદ ચૌટાલાએ ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો અને હાઈકોર્ટમાં પહોંચ્યા. એક વર્ષ લાંબી સુનાવણી બાદ કોર્ટે લાલચંદનું સભ્યપદ રદ કર્યું હતુ. 1970માં જ્યારે પેટાચૂંટણીમાં ચૌટાલા જનતા દળની ટિકિટ પર ચૂંટણી લડ્યા અને ધારાસભ્ય બન્યા.
હરિયાણા અને દેશની વિરાસતમાં ચૌધરી દેવીલાલ તાઉ પ્રખ્યાત હતા. તેઓ દેશના ડેપ્યુટી પીએમ પણ હતા. જ્યારે દેવીલાલ ડેપ્યુટી પીએમ બન્યા ત્યારે મોટા પુત્ર ઓમપ્રકાશ ચૌટાલાએ રાજકીય વારસો સંભાળ્યો અને હરિયાણાના મુખ્યમંત્રી બન્યા. ઓમ પ્રકાશ 1989 થી 1991 સુધી મુખ્યમંત્રી હતા. તેઓ 1991માં લોકસભા ચૂંટણી હારી ગયા અને તેમની રાજકીય સફર અહીંથી સમાપ્ત થઈ ગઈ. 1999માં ઓમપ્રકાશ ચૌટાલાએ હરિયાણામાં ભાજપની મદદથી સરકાર બનાવી હતી. 2005 સુધીમાં તેઓ હરિયાણાના સીએમ બન્યા.
1987ની વિધાનસભા ચૂંટણીમાં લોકદળે 90માંથી 60 બેઠકો જીતી હતી. ઓપી ચૌટાલાના પિતા દેવીલાલ બીજી વખત સીએમ બન્યા હતા. બે વર્ષ બાદ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રમાં જનતા દળની સરકાર બની હતી. જેમાં વીપી સિંહ વડાપ્રધાન બન્યા હતા. દેવીલાલ પણ આ સરકારનો હિસ્સો બન્યા અને તેમને નાયબ વડાપ્રધાન બનાવ્યા. બીજા દિવસે દિલ્હીમાં લોકદળના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં ઓપી ચૌટાલાની સીએમ તરીકે પસંદગી કરવામાં આવી હતી. ચૌટાલા 5 વખત હરિયાણાના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.