ઉત્તર પ્રદેશના મેરઠમાં પંડિત પ્રદીપ મિશ્રાની કથા દરમિયાન ભીડ કાબૂ બહાર થતા ભાગદોડ મચી ગઈ હતી, જેમાં ચાર મહિલાઓ ઘાયલ થઈ હતી. ધક્કામુક્કી થતા અનેક મહિલાઓ-વૃદ્ધો એક બીજા પર પડતા કચડાઈ ગયા હતા.
ઉત્તર પ્રદેશના મેરઠમાં શુક્રવારે બપોરે પંડિત પ્રદીપ મિશ્રાની કથા દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. કથાનો પ્રારંભ બપોરે 1 વાગે થયો હતો. લગભગ 1 લાખ લોકો પહોંચ્યા હતા. જ્યારે કથા શરૂ થઈ ત્યારે લોકો અંદર જવા માટે ઉતાવળ કરતા હતા. ભીડ અચાનક વધી જતાં બાઉન્સરોએ લોકોને પ્રવેશતા અટકાવ્યા અને પછી દોડાદોડી થઈ ગઈ. આ દરમિયાન અનેક મહિલાઓ અને વૃદ્ધો પડી ગયાં અને ઘાયલ થયા હતા. ત્યારબાદ મહિલાઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
છેલ્લા પાંચ દિવસથી શિવ મહાપુરાણની કથા ચાલી રહી હતી. આજે કથાનો છઠ્ઠો દિવસ હતો. દરરોજ લગભગ 1 થી 1.5 લાખ લોકો કથા સાંભળવા આવતા હતા. જેમા અનેક VVIP પણ પહોંચ્યા હતા.
મળતી માહિતી મુજબ આ દુર્ઘટના કથા પંડાલના પ્રવેશ દ્વાર પર બની હતી. કથામાં મુખ્ય યજમાન પણ એ જ માર્ગ પરથી જતા હતા, જે માર્ગથી ભીડ આવતી હતી. ત્યાર બાદ પ્રવેશ બાબતે ઝઘડો થયો હતો. એન્ટ્રી ગેટ પર બાઉન્સરોએ મહિલાઓને અંદર જતાં અટકાવી હતી. પાછળથી ટોળું આગળ વધવા દબાણ કરતું રહ્યું. દરમિયાન 15-20 મહિલાઓ એક પછી એક પડી ગઈ હતી.
અચાનક આ અરાજકતા બાદ ત્યાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જે બાદ મહિલાઓ મદદ માટે બૂમો પાડવા લાગી હતી. પરિસ્થિતિ વણસતી જોઈ આસપાસના લોકોએ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી અને પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ ભારે સુરક્ષાબળ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. હજુ સુધી અધિકારીઓ દ્વારા આ ઘટના અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે પોલીસ દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ જાતે જ પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો અને તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. સમાચાર લખાય છે ત્યાં સુધી ઘાયલોમાંથી કોઈની હાલત નાજુક નહોતી અને તમામ ખતરાની બહાર છે. આજુબાજુના ગામોના લોકોએ પરિસ્થિતિને સંભાળવામાં મદદ કરી.