ઇન્ડી ગઠબંધનમાં બધું બરાબર નથી. ગઠબંધનમાં સતત સંઘર્ષ જોવા મળી રહ્યો છે. પહેલા સંસદમાં હંગામાને કારણે TMCએ કોંગ્રેસનો સાથ છોડી દીધો અને હવે સમાજવાદી પાર્ટી (SP)એ નારાજગી વ્યક્ત કરી છે. લોકસભાની બેઠક વ્યવસ્થાને લઈને ઈન્ડી ગઠબંધનમાં અણબનાવ થયો છે.
સંસદનું શિયાળુ સત્ર શરૂ થયા બાદ સંસદમાં અનેક વાદ-વિવાદ અને વિરોધો શરૂ થઈ ગયા છે. આમ તો સંસદના બંને ગૃહમાં વિવિધ પ્રશ્નો વચ્ચે સત્તાધારી સરકાર અને વિપક્ષો સામે સામે આવી જતા હતા. 18મી લોકસભા માટે બેઠક વ્યવસ્થાને લઈને બધુ ફાઈનલ થઈ ગયું છે. જોકે બેઠક વ્યવસ્થાને અંતિમરૂપ અપાયા બાદ ઈન્ડિયા ગઠબંધનના બે સાથી પક્ષ વચ્ચે વ્યવસ્થાને લઈ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.
સીનિયર સાંસદને પાછળની બેઠક અપાતા અખિલેશ નારાજ
સંસદમાં કોંગ્રેસે પોતે જ તેના સાથી પક્ષોને બેઠકો ફાળવી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવ અને તેમના પત્ની ડિમ્પલ યાદવે બેઠક વ્યવસ્થાને લઈને કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમનુ કહેવુ છે કે કોંગ્રેસે બેઠક વ્યવસ્થામાં ફેરફારને લઈને વિશ્વાસમાં ન લીધા.
બંનેએ પાછળની હરોળમાં અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદની બેઠક પર વાંધો વ્યક્ત કર્યો છે. અયોધ્યાના સીનિયર સાંસદ અવધેશ પ્રસાદને પહેલી હરોળમાંથી ખસેડી બીજી હરોળમાં બેઠક વ્યવસ્થા ફાળવાઈ છે, જેના કારણે અખિલેશે વાંધો ઉઠાવ્યો છે. અવધેશ અગાઉ વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવની બાજુમાં બેસતા હતા.
હવે સપાની પાસે આગળની સીટ એક જ
નવી બેઠક વ્યવસ્થા પ્રમાણે હવે સપા પાસે માત્ર એક જ ફ્રન્ટ સીટ હશે અને તે પણ અખિલેશ યાદવની.
બીજીતરફ રસપ્રદ વાત એ છે કે, DMK પાર્ટીના નેતા ટી.આર.બાલુએ કોંગ્રેસને વિનંતી કરી કે, તેમને રાહુલ ગાંધીની બાજુમાં આગળની હરોળમાં બેસાડવામાં આવે.
વાસ્તવમાં ઈન્ડિયા ગઠબંધનની આગેવાની કરતી કોંગ્રેસ મુખ્ય વિપક્ષ દળની ભૂમિકામાં છે અને તેઓ જ સાથી પક્ષોને બેઠકની ફાળવણી કરે છે. સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભામાં બેઠક વ્યવસ્થાની પ્રથમ લાઈનમાંથી સમાજવાદી પાર્ટીની બે બેઠકો હતી, જોકે સરકારે તેને ઘટાડીને એક કરી દીધી છે. જેના કારણે કોંગ્રેસે સરકાર સમક્ષ મુદ્દો ન ઉઠાવતા અખિલેશ નારાજ થયા છે.
વિરોધ પ્રદર્શનથી અંતર રાખ્યું
સપાની આ નારાજગી આજે સંસદમાં પણ જોવા મળી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ સપાના કોઈપણ સાંસદે વિરોધમાં રાહુલ અને પ્રિયંકાને સમર્થન આપ્યું ન હતું. બીજી તરફ ડિમ્પલ યાદવે સ્પીકર સમક્ષ આ મામલો ઉઠાવ્યો અને કહ્યું કે સપાને આગળની હરોળમાં બે સીટો આપવી જોઈએ.જોકે, ડિમ્પલે અખિલેશની કોંગ્રેસથી નારાજગીની વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે આ તમામ નિર્ણયો સ્પીકર જ લે છે.