કરતારપુર સાહિબમાં પ્રવેશ ફક્ત શીખ ધર્મના લોકોને જ મળી શકે છે કે અન્ય લોકો પણ જઈ શકે છે? કરતારપુર સાહિબની ટિકિટ કેટલી છે અને અહીં કેવી રીતે પહોંચી શકાય છે? આ દરેક માહિતી આપની જાણકારી માટે અહીં રજૂ કરેલી છે. તો જાણો સંપૂર્ણ માર્ગદર્શિકા.
આમ તો શીખ ધર્મના ઘણા મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળો છે. દિલ્હી સહિત ઘણા શહેરોમાં ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા લોકપ્રિય ગુરુદ્વારા છે, તેમાં પંચ તખ્ત એટલે કે પાંચ ગુરુદ્વારા સૌથી મહત્વપૂર્ણ છે. આ પાંચ તખ્ત ફક્ત ભારતમાં જ છે. જેમાં સૌથી અગ્રણી શ્રી અકાલ તખ્ત સાહિબ છે. તે અમૃતસરના સુવર્ણ મંદિરમાં આવેલું છે.
બીજું તખ્ત શ્રી કેશગઢ સાહિબ પંજાબના રૂપનગર જિલ્લામાં છે. ત્રીજો તખ્ત શ્રી દમદમા સાહિબ પંજાબના ભટિંડામાં છે. ચોથો તખ્ત બિહારના પટના જિલ્લાના શ્રી પટના સાહિબમાં છે. પાંચમો અને છેલ્લો તખ્ત શ્રી હુઝૂર મહારાષ્ટ્રમાં આવેલો છે. આ પાંચ તખ્તો સિવાય વધુ એક સ્થાન શીખો માટે સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે. આ જગ્યાનું નામ છે કરતારપુર સાહિબ. કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં આવેલુ છે.
દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ કરતારપુર સાહિબની મુલાકાત લે છે. પરંતુ સવાલ એ છે કે કરતારપુર સાહિબમાં ફક્ત શીખ ધર્મના લોકોને જ પ્રવેશ મળી શકે છે કે અન્ય ધર્મના લોકો પણ ત્યાં જઈ શકે છે? કરતારપુર સાહિબની ટિકિટ કેટલી છે અને અહીં કેવી રીતે પહોંચી શકાય?
ચાલો જાણીએ તેના વિષે…

વિશ્વનું સૌથી મોટું ગુરુદ્વારા
કરતારપુર સાહિબને વિશ્વનું સૌથી મોટું ગુરુદ્વારા માનવામાં આવે છે. તે ભારત-પાકિસ્તાન સરહદથી 5 કિમીના અંતરે આવેલું છે. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક આ સ્થાન પર રોકાયા હતા. એવું માનવામાં આવે છે કે તેમણે કરતારપુર ગામમાં 18 વર્ષ સુધી ખેતી કરી હતી.

કોણ જઈ શકે છે કરતારપુર સાહિબ
શીખ ધર્મમાં ધાર્મિક ભેદભાવ જોવા મળતો નથી. કોઈપણ ધર્મ અને જાતિના લોકોને ગુરુદ્વારા જેવા શીખ ધાર્મિક સ્થળોમાં પ્રવેશવાની અનુમતિ છે. અહીં દરેક માટે લંગરની વ્યવસ્થા હોય છે, જેમાં દરેક ધર્મના લોકો પેટ ભરીને ભોજન કરી શકે છે. એ જ રીતે કરતારપુર સાહિબમાં પણ કોઈપણ ધર્મના લોકોના પ્રવેશ પર કોઈ પ્રતિબંધ નથી. શીખ ધર્મ સિવાય હિન્દુ કે મુસ્લિમ કોઈપણ ધર્મના લોકો ત્યાં જઈ શકે છે.

કરતારપુર સાહિબ પ્રવેશ ફી
કરતારપુર પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં આવેલ છે. ત્યાં જ કરતારપુર સાહિબ ગુરુદ્વારા છે. દર વર્ષે ભારતમાંથી લાખો શ્રદ્ધાળુઓ કરતારપુર સાહિબની મુલાકાત લે છે. તેથી તે ભારત અને પાકિસ્તાન બંને દ્વારા સંચાલિત છે. આ સમગ્ર વિસ્તારને કરતારપુર કોરિડોર કહેવામાં આવે છે. ભારતીય તીર્થયાત્રીઓ વિઝા વિના કરતારપુર જઈ શકે છે. જો કે, કરતારપુર સાહિબની મુલાકાત લેવા માટે તેઓએ પ્રવેશ ફી ચૂકવવી પડે છે. આ ફી પાકિસ્તાન સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે. કરતારપુર સાહિબ જવા માટે 20 ડોલરની ફી એટલે કે અંદાજે 1600 રૂપિયા ચૂકવવા પડે છે.

કરતારપુર સાહિબમાં પ્રવેશ કેવી રીતે મેળવવો
અહીંની યાત્રા સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી ચાલે છે. યાત્રાળુઓએ સૂર્યાસ્ત પહેલા પરત ફરવું પડે છે. ગુરુદ્વારાની મુલાકાત લેતા તમામ ભક્તોએ પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. ઓનલાઈન નોંધણી પછી, તમારા ઈમેલ પર ETA (ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન) દ્વારા પરવાનગી આપવામાં આવે છે. મુસાફરી દરમિયાન તમારે તેની એક નકલ તમારી સાથે રાખવી પડે છે.