એન્યુઅલ ફંક્શનની ફી ના આપતાં સ્કૂલે સજા કરી, વાલીઓએ હોબાળો મચાવ્યો
સુરતમાં એક સ્કૂલના 60 વિદ્યાર્થીને એન્યુઅલ ફંક્શનની રૂ.1000 ફી નહીં આપવા બદલ તડકામાં છ કલાક સુધી ઊભા રાખવામાં આવ્યા હતા. એટલુ જ નહીં પરંતુ સ્કૂલ દ્વારા અમાનવીય વ્યવહાર બાદ બાળકોને LC આપી દેવાની ધમકી આપી હતી, જેને લઇ વાલીઓએ સ્કૂલમાં જઈ હોબાળો મચાવ્યો હતો. વાલીઓએ આક્ષેપ કર્યો કે વિદ્યાર્થીઓને માર પણ મારવામાં આવ્યો છે.
આજે વહેલી સવારે સૂરતના અલથાણમાં આવેલી નંદુબા CBSE ઇંગ્લિશ એકેડમીના ગેટની બહાર વાલીઓએ હંગામો મચાવ્યો હતો. જેથી ટ્રસ્ટી અર્જુન પટેલ સ્કૂલે દોડી આવ્યા હતા. તેમણે વાલીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમને આ અંગે ફરિયાદ મળી છે, જે વાલીઓ ફી નથી આપવા માગતા તેમને કોઈ દબાણ નથી. હાલ અમારા એક ટ્રસ્ટીનું અવસાન થયું છે, જે અંગે અમે સ્કૂલે આવતા નહોતા.
વધુમાં તેમણે કહ્યું હતું કે શા માટે ફીની માગણી કરવામાં આવી છે એ અમારી જાણ બહાર છે. બાળકો સાથે કરવામાં આવેલું વર્તન તદ્દન ખોટું છે. અમે સોમવારે આચાર્યને બોલાવીને પૂછપરછ કરીશું અને યોગ્ય પગલાં લઈશું. હાલ આચાર્ય સુરત બહાર છે. તેમ છતા વાલીઓના ભારે રોષને પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
વાલીઓએ આક્ષેપ કર્યા હતા કે સ્કૂલનાં આચાર્ય મોનિકા શર્માએ પહેલા તમામ વિદ્યાર્થીઓને એન્યુઅલ ફંકશનની 1000 ફી ભરવા માટે જણાવ્યું હતું. આ માટે આચાર્ય દ્વારા અલગથી બેંક એકાઉન્ટ નંબર પણ આપવામાં આવ્યાં હતાં. જે વિદ્યાર્થીઓની ફી બાકી હતી, તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. ક્લાસ બહાર ધોરણ 2થી 4 સુધીનાં બાળકોને તડકામાં 6 કલાક સુધી ઊભાં રાખવામાં આવ્યાં હતાં.
સ્કૂલ પ્રિન્સીપાલ મોનિકા શર્માના વર્તન સામે રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે. વાલીઓ વારંવાર રજૂઆત કરી રહ્યા હતા કે અમાનવીય વર્તન કરનાર મોનિકા શર્મા સામે કડક કાર્યવાહી કરવામાં આવે.