વર્ષ 2005 પહેલાના સરકારી કર્મીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે, રવિવારે યોજાનાર કેબિનેટ બેઠકમાં લેવાશે નિર્ણય

govt.-employee

ગુજરાતના 2005 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. આવતીકાલે રવિવારે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાનાર છે. તેની પૂર્વસંધ્યાએઆજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મોટી માહિતી આપી છે.

વર્ષ 2005 પહેલાના ગુજરાત સરકારના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. કર્મચારી મંડળના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, રાજ્ય સરકારને અમે 10 પ્રશ્નોની રજૂઆત કરી છે. જેમાંથી સરકાર કેટલીક સ્વીકારે છે તે કાલે ખબર પડશે. ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓને નવરાત્રિ અને દિવાળી સુધરે તેવી આશા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના વિવિધ કર્મચારી સંગઠનો જૂની પેન્શન યોજના મુદ્દે આંદોલન કરી રહ્યા હતા. એટલું જ નહીં, તાજેતરમાં વડાપ્રધાનની મુલાકાત સમયે આંદોલન કરવાની ચીમકી આપી હતી પરંતુ આ કાર્યક્રમ સરકારની હૈયાધારણા બાદ મુલતવી રાખ્યો હતો,

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કર્મચારી મહામંડળ અને તેની સાથે સંલગ્ન તમામ મંડળના હોદ્દેદારો સાથે આજે સકારાત્મક વાતાવરણમાં આજે ચર્ચાઓ થઈ છે. જેમાં કર્મચારીઓની કેટલીક માગ રાજ્ય સરકારે સ્વીકારી છે. કેબિનેટની મંજૂરી લીધા બાદ ભૂપેન્દ્ર પટેલની મંજૂરી મળ્યા પછી આવતીકાલે તમામ બાબતોની જાહેરાત અને પરિપત્ર જાહેર થશે. ફિક્સ પગાર યોજના મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થઈ. જેમાં ફિક્સ પગારનો સમયગાળો ઘટાડવા માટે વાત કરવામાં આવી.

ગુજરાતના ઈતિહાસમાં પહેલીવખત એક સકારાત્મક બાબત જોવા મળી કે કર્મચારી મંડળે કહ્યું કે અમે અમારા જોબચાર્ટ છે. અમારે કરવાના કામમાં અમે કેટલા કામ વધારાના કરીશું અને એ કામોની ગુણવત્તા વધારવા માટે પણ પ્રયત્ન કરીશું. કર્મચારી સાથે જોડાયેલા બાબતો માટે સકારાત્મક સૂચનો પણ કરીશું. આમ બંને પક્ષે કર્મચારી મહામંડળના બંને હોદ્દેદારોએ સકારાત્મક વાત તરીકે સ્વીકારી છે, તે લેખિત સ્વરૂપે પણ આપવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ગુજરાતમાં સરકારી કર્મચારીઓના આંદોલનના મંડાણ થયા હતા. રાજ્ય કર્મચારી મહામંડળે એલાન કર્યું હતું કે, 17મી સપ્ટેમ્બરે પેન ડાઉન અને શટ ડાઉન કાર્યક્રમ દ્વારા કામગીરીનો બહિષ્કાર કરાશે. ત્યારે સફાળી જાગેલી સરકારે વિવિધ કર્મચારી મંડળના આગેવાનો સાથે 9મી સપ્ટેમ્બરે સ્વર્ણિમ સંકુલ ખાતે બેઠક યોજી હતી.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે પણ ઓક્ટોબર મહિનાના ચારેય રવિવારે રાજ્યના દરેક ઝોનમાં સરકારી કર્મચારીઓ વિરોધ નોંધાવશે તેવી જાહેરાત કરી હતી.